દેશમાં દિલ્હી, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં કોરોનાના કેસો વધતા ક્યાંક કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા તો ક્યાંક 144 કલમ લાગુ કરાઇ.
દેશમાં 20થી વધુ રાજ્યોમાં કોરોનાનો ગ્રાફ વધ્યો
દિલ્હીમાં 920 કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર
ઉત્તરપ્રદેશના 4 જિલ્લાઓમાં એલર્ટ
દેશમાં ફરી વાર કોરોના બેલગામ થઇ ગયો છે. દેશમાં દિલ્હી, મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યો એવાં છે કે જ્યાં 24 કલાકમાં જ 100થી વધુ નવા કેસ નોંધાયા છે. દેશમાં 20થી વધુ રાજ્યો એવાં છે કે જ્યાં સતત કોરોનાનો ગ્રાફ વધી રહ્યો છે. જેમાં દિલ્હીમાં તો હજારની નજીક કન્ટેન્ટમેન્ટ ઝોન પણ જાહેર કરાયા છે.
દેશમાં પોઝિટિવિટી દર પણ 1% ને પાર પહોંચી ગયો
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં અનુસાર, દેશમાં પોઝિટિવિટી દર પણ 1% ને પાર પહોંચી ગયો છે. બે મહિના બાદ સંક્રમણ દર 1 ટકાને વટાવી ગયો છે. તમને જણાવી દઇએ કે, અગાઉ 27મી ફેબ્રુઆરીએ દેશમાં સંક્રમણ દર 1.11% હતો. વધતો જતો પોઝિટિવિટી દર પણ કોરોનાની નવી લહેર એટલે કે ચોથી લહેર તરફ ઈશારો કરી રહ્યો છે, કારણ કે આ દર જેટલો ઊંચો રહેશે સંક્રમણ પણ તેટલું જ વધારે રહેશે.
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, દેશમાં છેલ્લાં 24 કલાકમાં 2.95 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 3 હજારથી વધુ લોકો પોઝિટિવ મળી આવ્યાં છે. દૈનિક પોઝિટિવિટી દર વધીને 1.07% એ આવી ગયો છે. છેલ્લાં 24 કલાકમાં દેશમાં 26 દર્દીઓના મોત થયા છે, જેમાંથી 21 મોત તો માત્ર કેરલમાં થયા છે. જો કે, આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે, 70%થી વધુ મૃત્યુ કોર્મોબિડિટીના કારણે થાય છે. એટલે કે જે દર્દીઓ મૃત્યુ પામી રહ્યાં છે તેઓ પહેલેથી જ કોઈ ને કોઇ ગંભીર બીમારીથી પીડિત હતા.
આ 6 રાજ્યોમાં કોરોના બેકાબુ!
1. દિલ્હી: રવિવારે અહીં કોરોનાના નવા 1,485 કેસ નોંધાયા. જ્યારે પોઝિટિવિટી દર 4.89% રહ્યો. એક દિવસ પહેલાં 1,520 કેસ અહીં નોંધાયા હતા. દિલ્હીમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 6 હજારની નજીક પહોંચી ગઈ છે. દિલ્હીમાં 920 જેટલાં કન્ટેનમેન્ટ ઝોન પણ બની ગયા છે.
2. મહારાષ્ટ્ર: રવિવારે અહીં કોરોનાના 169 કેસ નોંધાયા હતા. જેમાંથી 92 તો માત્ર મુંબઈમાંથી સામે આવ્યા છે. એક દિવસ પહેલાં મહારાષ્ટ્રમાં 155 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. જો કે રાહતની વાત એ છે કે રવિવારે અહીં એક પણ દર્દીનું કોરોનાથી મોત નથી નિપજ્યું.
3. ઉત્તર પ્રદેશ: છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 269 કેસ નોંધાયા છે, જેમાંથી 117 તો માત્ર ગૌતમ બુદ્ધ નગરમાં આવ્યા છે. ચંદૌલીમાં એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 1,587 થઈ ગઈ છે. યુપીમાં ગૌતમ બુદ્ધ નગર અને ગાઝિયાબાદમાં સૌથી વધારે કેસ નોંધાયા છે.
4. હરિયાણા: રવિવારે હરિયાણામાં કોરોનાના નવા 479 કેસ નોંધાયા છે. જો કે અહીં રાહતની વાત એ છે કે અહીંયા એક પણ દર્દીનું મોત નથી થયું. હરિયાણામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા અઢી હજારની નજીક પહોંચી ગઈ છે.
5. કેરલ: રવિવારે અહીંયા 314 નવા સંક્રમિત લોકો સામે આવ્યા જ્યારે એક દર્દીનું મોત થયું છે. 108 દર્દીઓ સાજા થયા છે, જેનાથી કેરલમાં એક્ટિવ કેસની સંખ્યા ઓછી થઇને 1,780 એ પહોંચી ગઈ છે.
6. કર્ણાટકઃ અહીં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 104 કેસ નોંધાયા છે જ્યારે એક દર્દીનું મોત નિપજ્યું છે. 108 દર્દીઓ સાજા પણ થયા છે, જેના કારણે એક્ટિવ કેસ ઘટીને 1,780 થઈ ગયા છે.
UPના 4 જિલ્લાઓમાં એલર્ટ
દેશમાં કોરોનાના વધતા જતા કેસોએ નવી લહેરનું જોખમ વધારી દીધું છે. આ અંગે એલર્ટ પણ વધી ગયું છે. ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે રવિવારે અધિકારીઓ સાથે બેઠક કરીને સંપૂર્ણ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ બેઠક બાદ યુપીના 4 જિલ્લામાં એલર્ટ જાહેર કરી દેવાયું છે. જે ચાર જિલ્લાઓમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે તેમાં ગૌતમ બુદ્ધ નગર, ગાઝિયાબાદ, આગ્રા અને લખનઉનો સમાવેશ થાય છે. આ ચાર જિલ્લામાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. રવિવારે ગૌતમ બુદ્ધ નગરમાં 117, ગાઝિયાબાદમાં 55, લખનઉમાં 26 અને આગ્રામાં 15 નવા સંક્રમિતોની ઓળખ કરવામાં આવી છે.