દેશના કેપિટલ દિલ્હીમાં કોરોના વાયરસના કારણે ઑક્સીજનની અછત ઊભી થઈ ગઈ છે, મોટી મોટી હોસ્પિટલોમાં દર્દીઓના જીવ તાળવે ચોંટયા છે.
દિલ્હીમાં ઑક્સીજનનું ખૂબ મોટું સંકટ
મોટી મોટી હોસ્પિટલોમાં ઑક્સીજન ખતમ થવાના આરે
સહેજ પણ મોડું થયું તો કઈ રીતે શ્વાસ લેશે દર્દીઓ?
દેશની રાજધાની દિલ્હીમાં અત્યારે કોરોના વાયરસના કારણે હાહાકાર મચી ગયો છે. દરરોજ હજારોની સંખ્યામાં નવા કેસ સામે આવી રહ્યા છે, હોસ્પિટલો ઉભરાઇ ગઈ છે અને લોકોને ઑક્સીજન મળી નથી રહ્યો. દિલ્હીની મોટી મોટી હોસ્પિટલોમાં ઑક્સીજનની તકલીફ ઊભી થઈ છે.
દિલ્હીની હોસ્પિટલોની અપડેટ
સવારે 10 વાગ્યાં સુધીના અપડેટ અનુસાર સર ગંગારામ હોસ્પિટલમાં 8800 ક્યુબિક મીટર ઑક્સીજન સ્ટોર છે અને જે આવતીકાલે સવારે 10 વાગે સમાપ્ત થઈ જશે. દિલ્હીના રોહિણીમાં આવેલ સરોજ હોસ્પિટલમાં ઑક્સીજનનો સ્ટોર માત્ર બે કલાકનો જ બચ્યો છે. હોસ્પિટલે કહ્યું કે જેની પાસેથી ઑક્સીજનની સપ્લાય મળે તે વેન્ડર તેમની સાથે વાત નથી કરી રહ્યો. અહિયાં રોજના 2700 ક્યુબિક મીટર ઑક્સીજનની જરૂર પડી રહી છે, અહિયાં 130 કોરોના દર્દીઓ દાખલ થયા છે.
LNJP હોસ્પિટલમાં દરરોજ 20 ટન ઑક્સીજન જોઈએ છે, 12 કલાકનું જ બચ્યું છે.
દિલ્હીની કેટલીય હોસ્પિટલોમાં ચાર દિવસનો સ્ટોક રહેતો હતો, હવે માત્ર અમુક કલાકનો જ બચ્યો
એપોલો હોસ્પિટલમાં 10થી 12 કલાકનું જ ઑક્સીજન બચ્યું
બુરાડીની હોસ્પિટલમાં માત્ર અમુક કલાકનું જ ઑક્સીજન બચ્યું
બે જ કલાકનું ઑક્સીજન બચ્યું
દિલ્હીની રાજીવ ગાંધી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં માત્ર બે કલાકનું ઑક્સીજન બચ્યું છે જેના કારણે ખૂબ મોટું સંકટ ઊભું થઈ ગયું છે. આ હોસ્પિટલમાં દરરોજ પાંચ થી 6 ટન ઑક્સીજનની જરૂર પડે છે જ્યાં 900 દર્દીઓ દાખલ થયા છે.
આ હોસ્પિટલમાં ઑક્સીજન સમાપ્ત
દિલ્હીની માતા ચાનન દેવી હોસ્પિટલમાં તો સવારે જ હોસ્પિટલ સમાપ્ત થઈ ગયો હતો અને અહિયાં 200 દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે જેમને ઑક્સીજનની જરૂર છે. હોસ્પિટલ તરફથી ઑક્સીજન માટે લાખ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે પરંતુ આ સમાચાર લખાઈ રહ્યા છે તે સમય સુધી કોઈ જ સુવિધા ઊભી થઈ શકી નથી.
આ લાલચની હદ છે. શું જરાય માનવતા નથી બચી?
નોંધનીય છે કે ભારતની રાજધાનીમાં કોરોના વાયરસના કારણે ખૂબ મોટું સંકટ ઊભું થઈ ગયું છે. ગઇકાલે ઑક્સીજન માટે હોસ્પટલે હાઇકોર્ટના દરવાજા ખખડાવવા પડ્યા. દિલ્હી હાઇકોર્ટે તાત્કાલિક સુનાવણી હાથ ધરી અને કેન્દ્ર સરકારને ખૂબ તતડાવી. દિલ્હી હાઈકોર્ટે બુધવારે કેન્દ્રને નિર્દેશ કર્યા કે કોવિડ 19ના ગંભીર દર્દીઓની સારવાર માટે રાષ્ટ્રીય રાજધાનીની એ હોસ્પિટલોને તાત્કાલીક ઓક્સિજન પુરો પાડે જે આ ગેસની અછત સામે લડી રહ્યા છે. હાઈકોર્ટે કહ્યુ, કેન્દ્ર સ્થિતિની ગંભીરતાને કેમ નથી સમજી રહ્યું? અમે એ વાતથી સ્તબ્ધ અને નિરાશ છે કે હોસ્પિટલોમાં ઓક્સિજન ખતમ થઈ રહ્યા છે પરંતુ સ્ટીલ પ્લાન્ટ ચાલી રહ્યા છે. કોર્ટે કહ્યું કે જ્યારે ટાટા પોતાના સ્ટીલ પ્લાન્ટમાં બનાવેલ ઓક્સિજન મેડિકલ ઉપયોગમાં આપી શકે છે તો બીજા એવું કેમ નથી કરી શકતા. આ લાલચની હદ છે. શું જરાય માનવતા નથી બચી?
કોરોના વાયરસ કેસ અપડેટ
નોંધનીય છે કે ભારતમાં કોરોના વાયરસના કારણે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે. દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે તથા મૃત્યુ પણ દરરોજ વધી રહ્યા છે. ભારતમાં આજે કોરોના વાયરસના કેસની સંખ્યા 3 લાખને પાર થઈ ગઈ છે. ભારતમાં એક જ દિવસમાં નવા 3,14,835 કેસ આવ્યા છે જે ખૂબ જ ચિંતાજનક છે. એક જ દિવસમાં 2,104 લોકોના મોત થયા છે જ્યારે 1,78,841 લોકો સાજા થયા છે.