કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે શિક્ષણકાર્ય શરૂ થયુ છે પરંતુ ગુજરાતમાં શાળાઓમાં કોરોનાનું સંક્રમણ વધતા હવે તો વિદ્યાર્થીઓ પણ શાળાએ જતા ડરી રહ્યા છે.
શાળાઓમાં વકર્યો કોરોના
અમદાવાદની વધુ 3 શાળામાં કોરોના સંક્રમણ
6 વિદ્યાર્થી અને 1 શિક્ષક કોરોના પોઝિટીવ
છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે શિક્ષણકાર્યમાં મુશ્કેલીઓ આવી રહી છે જો કે કોરોનાની ગાઇડલાઇન મુજબ શિક્ષણકાર્ય શરૂ તો કરવામાં આવ્યુ છે પરંતુ અંહી પણ જેનો ડર હતો એજ થયુ. વિદ્યાર્થીઓ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. વાલીઓ પણ વિદ્યાર્થીઓને શાળાએ મોકલતા ડરી રહ્યા છે. વાત કરીએ અમદાવાદની તો અમદાવાદની 3 શાળાના 6 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. જ્યારે અમદાવાદમાં એક શિક્ષક પણ કોરોનાગ્રસ્ત થયા છે. પાલડીની દામુભાઈ શુક્લ સ્કૂલના શિક્ષક કોરોનાગ્રસ્ત થતા શાળા બંધ કરવામાં આવી છે.
અમદાવાદમાં કુલ 32 વિદ્યાર્થીઓ સંક્રમિત
એક તરફ રાજ્યમાં તરુણોને કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે તો બીજી તરફ શાળામાં કોરોના સંક્રમણ વધી રહ્યુ છે. અમદાવાદની મહારાજા અગ્રસેન સ્કૂલના 3 વિદ્યાર્થી, ઉદગમ સ્કૂલના 2 અને DPS સ્કૂલનો એક વિદ્યાર્થી કોરોના પોઝિટીવ આવ્યો છે. આ સાથે જ અમદાવાદની શાળાઓમાં કુલ 32 વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત નોંધાયા છે. સંક્રમણ વધતા કેટલીક શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવાની ફરજ પડી છે.
સુરતમાં 110 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત
સુરતમાં બાળકોમાં કોરોનાના સંક્રમણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 15 દિવસમાં 110 જેટલા વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. વિદ્યાર્થીઓના કેસમાં સુરતમાં 9 ઘણો વધારો જોવા મળી રહ્યો છે. સુરતમાં કોરોનાના રોજીંદા કેસો પણ 100ને પાર પહોંચ્યા છે. 1 જાન્યુઆરી એક જ દિવસમાં 26 વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે. શાળોમાં વધતા કેસોને લઇ મનપાનું આરોગ્ય તંત્ર ચિંતામાં જોવા મળી રહ્યું છે. સુરત મનપા દ્વારા હવે શાળામાં કેસ આવે તો આખી શાળા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. એક તરફ સુરતમાં કોરોનાએ રફતાર પકડી છે તો બીજી તરફ વિદ્યાર્થીઓ પણ કોરોનાગ્રસ્ત થતા આરોગ્યવિભાગ દોડતુ થયુ છે.
વડોદરામાં 2 વિદ્યાર્થીઓ અને 1 શિક્ષિકાને કોરોના
તો બીજી તરફ 3જી જાન્યુઆરીએ વડોદરામાં શાળાના વધુ 2 વિદ્યાર્થીઓ અને શિક્ષિકા કોરોનાની ચપેટમાં આવ્યા હતા. પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ સ્કૂલનો વિદ્યાર્થી, રોયલ સ્કૂલનો ધો. 11નો વિદ્યાર્થી પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. પોલોગ્રાઉન્ડમાં આવેલી શાળાની શિક્ષિકા કોરોનાના ઝપેટમાં આવી જતાં વડોદરાનું તંત્ર દોડતું થયું હતું તો નવસારીમાં 3 શાળાના 9 વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા.
શાળાઓ ફરી ઓનલાઈન શરૂ કરવાની માંગ
મહત્વનું છે વિદ્યાર્થીઓમાં વધી રહેલા સંક્રમણને જોતા વાલીઓ દ્વારા શાળાઓ ફરી ઓનલાઈન શરૂ કરવાની માગ કરવામાં આવી રહી છે.. જ્યારે શિક્ષણ મંત્રીએ હાલ શાળાઓ નહીં બંધ કરવાનું સૂચન આપ્યું છે.અને કોવિડની ગાઈડ લાઈનનું પાલન કરવા માટે કહેવાયું છે..ત્યારે સવાલ એ થાય છે કે, વધારે સંખ્યામાં વિદ્યાર્થીઓ સંક્રમિત થશે તો તેના માટે જવાબદાર કોણ હશે?.ત્રીજી લહેરની સંભાવના વચ્ચે બાળકોના આરોગ્ય સાથે આવું જોખમ કેમ લઈ રહ્યું છે શિક્ષણ વિભાગ?. શાળાઓ વિદ્યાર્થીઓને ફરજિયાત શાળાએ આવવાની ફરજ પાડે છે તેનુ શું ? સરકાર શા માટે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની ચિંતા નથી કરતી? વિદ્યાર્થી સંક્રમિત થાય તે પછી શાળા બંધ કરાવો છો તો હાલની સ્થિતિને ધ્યાને રાખીને ક્યારે નિર્ણય લેશે સરકાર ?
મુંબઈમાં 31 જાન્યુઆરી સુધી ધોરણ 1થી8ની સ્કૂલ બંધ
વધી રહેલા કોરોના સંક્રમણની વચ્ચે બીએમસીના અધિકારીોએ આજે એક મોટી બેઠક કરી હતી. બેઠકમાં સ્કૂલ બંધ રાખવા પર બધા અધિકારીઓ સંમત થયા હતા જે પછી 1થી 9 અને 11મા ધોરણની સ્કૂલ 31 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
રાજસ્થાનમાં પણ સ્કૂલો બંધ
રાજસ્થાનમાં વધતા કોરોના કેસને લઇ નવા પ્રતિબંધો લાગૂ કરાયા છે. રાજસ્થાનમાં કેસ વધતા 9 જાન્યુઆરી સુધી ધોરણ-1થી 8ની સ્કૂલો બંધ કરવાનો નિર્ણય કરાયો.કોચિંગ ક્લાસમાં હવે ઓફલાઇનની સાથે ઓનલાઇનની સુવિધા આપવી પડશે. કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ 31 જાન્યુઆરી સુધી બંને ડોઝ લેવા ફરજિયાત છે.
કોરોનાના કેસ વધતા અહીં લેવાયા પગલા
ઉત્તરપ્રદેશમાં ધોરણ 8 સુધીની સ્કૂલ 15 દિવસ બંધ
પટનામાં ધોરણ 8 સુધીની સ્કૂલ 8 જાન્યુઆરી સુધી બંધ
પ.બંગાળમાં સ્કૂલ-કોલેજ, યુનિવર્સિટી બંધ
તમિલનાડુમાં 8 ધોરણ સુધીની સ્કૂલ 10 જાન્યુઆરી સુધી બંધ
ઓડિશામાં આજથી સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય મોકૂફ રખાયો
રાજસ્થાનમાં ધોરણ 8 સુધીની સ્કૂલ 9 જાન્યુઆરી સુધી બંધ