રાજ્યમાં સૌથી વધારે કોરોનાના કેસ નોંધાતા હોય તો તે અમદાવાદ છે. હવે તો સાબરમતી જેલના કેદીઓ અને AMCના અધિકારીઓ પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે
અમદાવાદમાં કોરોના વકરતા તંત્ર એલર્ટ
સાબરમતી જેલમાં કોરોના બ્લાસ્ટ
AMCના અધિકારી-સ્ટાફ કોરોનાની ચપેટમાં
રાજયમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે હવે તો કેસ 10 હજારને પાર પહોંચી ગયા છે. તેમાં પણ અમદાવાદ તો જાણે કોરોનાનું હોટ ફેવરિટ સ્થળ બની ગયુ હોય તેમ લાગી રહ્યુ છે. છેલ્લા 15 દિવસમાં શહેરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. એક્ટિવ કેસની સંખ્યા પણ વધી રહી છે. જો કે વધતા કેસને પગલે અમદાવાદનું વહીવટી તંત્ર પણ સતર્ક થયુ છે.
ટેસ્ટિંગ અને ટ્રેસિંગમાં વધારો
અમદાવાદ વહીવટી તંત્ર દ્વારા ટેસ્ટિંગ અને ટ્રેસિંગની કામગીરી પર ભાર મુકવામાં આવ્યો છે. શહેરમાં વિવિધ 60 જગ્યાએ ડોમ બાંધીને કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. 17 જાન્યુઆરીએ અમદાવાદમાં કુલ 17,500 RTPCR ટેસ્ટ કરાયા હતા. જ્યારે 5500 જેટલા રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાયા હતા. RTPCRમાં પોઝિટિવિટી રેશિયો 30 ટકાને પાર જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ કોરોનાના દર્દીની તો મનપા સંચાલિત હોસ્પિટલમાં 65 દર્દીઓ સારવાર હેઠળ છે.
સાબરમતી જેલમાં કોરોના બ્લાસ્ટ
કોરોનાની ત્રીજી લહેરમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં કોરોના બ્લાસ્ટ થયો છે. અહીં એક જ દિવસમાં 17 કેદી કોરોનાથી સંક્રમિત થયા છે.જેને લઇને કેદીઓ અને સ્ટાફને પ્રિકોઝન ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે. અત્યારે 20 જેટલા કેદીઓ અને પોલીસકર્મીને પ્રિકોઝન ડોઝ આપવામાં આવ્યો છે. મહત્વનુ છે કે સેન્ટ્રલ જેલમાં અત્યારે 3480 કાચા-પાકા કામના કેદી છે. જેમાં દરરોજ વધારો ઘટાડો થતો હોય છે. ઉપરાંત હાલ જેલમાં 3523 કેદીઓને પ્રથમ ડોઝ અને 2000 કેદીઓને બીજો ડોઝ પૂર્ણ થઈ ગયો છે.
AMC કોરોનાની ચપેટમાં
અમદાવાદમાં કોરોનાનો કહેર વકરતા AMCના અધિકારીઓ અને સ્ટાફ પણ બાકાત રહ્યા નથી. AMCના અધિકારીઓ પણ કોરોના સંક્રમિત થયા છે.
BRTS મેનેજર વિશાલ ખન્ના કોરોના પોઝિટિવ આવ્યા છે. ડેપ્યુટી હેલ્થ ઓફિસર મિલન નાયક પણ કોરોના સંક્રમિત થયા છે. ચિરાગ શાહને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. AMCના હેલ્થ અધિકારી ભાવિન જોશી, સ્કૂલ બોર્ડના શાસનધિકારી લગધીર દેસાઇ પણ કોરોના પોઝિટીવ આવ્યા છે. આમ અધિકારીઓ અને કર્મચારીઓ મળીને કુલ 50 થી વધુ સ્ટાફ કોરોનાની ઝપેટમાં આવ્યો છે.
અમદાવાદમાં આઉટ ઓફ કંટ્રોલ કેસ
અમદાવાદ ધીરે ધીરે કોરોનાના ખપ્પરમાં હોમાતુ હોય તેવુ દેખાઈ રહ્યું છે. જો જાન્યુઆરી થયેલી ત્રીજી લહેરની શરૂઆતમાં 1 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં 559 કેસ સામે આવ્યા હતા જે બાદ 3 દિવસમાં એટલે કે 4 જાન્યુઆરીના રોજ તે કેસ ડબલ થઈ 1290 સુધી પહોંચી ગયા હતા. અહીથી કોરોનાએ અમદાવાદમાં પીક પકડી હતી અને જોત જોતામાં 07 જાન્યુઆરી 2000, 12 જાન્યુઆરી 3000ને પાર તેમજ આજે સોમવારનાને 17 જાન્યુઆરી 4000ને પાર કોરોના કેસના આંકડા પહોંચી ગયા છે.
અમદાવાદમાં કુલ 111 માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન
ગુજરાત સહિત અમદાવાદમાં ઉત્તરાયણ પર્વ બાદ કોરોનાના કેસ ની સંખ્યા પણ ઉત્તરોતર વધી છે. આ વચ્ચે અમદાવાદ મહાનગર પાલિકાએ વધુ નવા 16 વિસ્તારોને માઈક્રો કન્ટેન્ટમેંટ ઝોન યાદીમાં ઉમેર્યા છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કોરોનાના સંક્રમણમનો આંક 5 હજારની નજીક પહોંચ્યો છે.આ પરિણામે AMCએ અમદાવાદ શહેરના વધુ 16 વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનની યાદીમાં મુકવામાં આવ્યાં છે. આમ અમદાવાદમાં અત્યાર સુધી 111 વિસ્તારો માઇક્રો કન્ટેઇન્ટમેન્ટ ઝોન જાહેર થયા છે.