દેશમાં કોરોના સંક્રમણે ઉતાર-ચઢાવ વચ્ચે ફરી ચિંતા વધારી દીધી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર સાત રાજ્યોની સ્થિતિ ખૂબ ચિંતાજનક છે.
કોરોનાએ દિલ્હીમાં છ મહિનાનો રેકોર્ડ તોડ્યો
2726 નવા કેસ, છ દર્દીનાં મોત
દેશમાં કોરોનાના 16,561 નવા કેસ નોંધાયા
દેશમાં કોરોના સંક્રમણે ઉતાર-ચઢાવ વચ્ચે ફરી ચિંતા વધારી દીધી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર સાત રાજ્યોની સ્થિતિ ખૂબ ચિંતાજનક છે. કુલ એક્ટિવ કેસમાંથી ૬૮,૭૯૫થી વધુ એક્ટિવ કેસ દેશનાં સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોંધાયા છે. પંજાબમાં ૧૩,૨૫૩ એક્ટિવ કેસ, મહારાષ્ટ્રમાં ૧૧,૮૮૯, કર્ણાટકમાં ૧૦,૩૫૧, કેરળમાં ૯,૮૬૫, દિલ્હીમાં ૮,૨૦૫, તામિલનાડુમાં ૮,૫૮૬ અને પશ્ચિમ બંગાળમાં ૬,૬૪૬ એક્ટિવ કેસ છે.
દિલ્હીમાં કોરોના કેસો વધ્યા
દેશમાં કોરોના સંક્રમણના દૈનિક નવા કેસમાં નજીવો વધારો થયો છે, પરંતુ દિલ્હીમાં કોરોના સંક્રમણ ધીમે ધીમે ડેન્જર બની રહ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં દિલ્હીમાં કોરોનાના ૨,૭૨૬ નવા કેસ સામે આવ્યા છે અને છ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. દિલ્હીમાં કોરોનાના નવા કેસનો છ મહિનાનો રેકોર્ડ તૂટી ગયો છે. આ અગાઉ ૨ ફેબ્રુઆરીએ દિલ્હીમાં કોરોનાના ૩,૦૨૮ નવા કેસ નોંધાયા હતા.
ઓમિક્રોન વેરિઅન્ટના નવા સ્ટ્રેન સામે આવ્યા
તબીબી નિષ્ણાતોએ દિલ્હી-એનસીઆરમાં એલર્ટ થઈ જવાની સલાહ આપી છે. દિલ્હી-એનસીઆરમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેટલાય એવા સ્ટ્રેન સામે આવ્યા છે, જે ઓરિજિનલ ઓમિક્રોન વાઈરસની તુલનાએ ૨૦થી ૩૦ ટકા વધુ સંક્રામક છે. કોવિડ વર્કિંગ ગ્રૂપ-નેશનલ ટેકનિકલ એડ્વાઈઝરી ગ્રૂપ ઓન ઈમ્યુનાઈઝેશન (NTAGI)નાં ચેરપર્સન ડો. એન.કે. અરોરાએ જણાવ્યું છે કે આ વર્તમાન સ્ટ્રેન ચોમેરથી દિલ્હીને ખતરનાક રીતે ભરડો લઈ રહ્યો છે.
દેશમાં કોરોના કેસમાં નજીવો વધારો
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના દૈનિક નવા કેસમાં નજીવો વધારો જોવા મળ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર રિપોર્ટ અનુસાર દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૬,૫૬૧ નવા કેસ નોંધાયા છે અને ૪૯ સંક્રમિતોએ જીવ ગુમાવ્યા છે. રાહતની વાત એ છે કે દેશમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૮,૦૫૩ દર્દીઓ કોરોનાથી સાજા થતાં એક જ દિવસમાં ૧,૪૯૨ એક્ટિવ કેસ ઘટ્યા છે. આ સાથે હવે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને ૪,૪૨,૨૩,૫૫૭ થઈ છે અને તેની સામે અત્યાર સુધીમાં કુલ ૪,૩૫,૭૩,૦૯૪ સંક્રમિતો કોરોનામુક્ત થતાં હવે દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૧,૨૩,૫૩૫ થઈ છે, જે કુલ કેસના ૦.૨૮ ટકા છે. દેશમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને ૫,૨૬,૯૨૮ થયો છે.
પોઝિટિવિટી રેટમાં અચાનક વધારો
દેશમાં હવે કોરોના મોરચે મળેલી રાહત એક જ દિવસમાં ચિંતામાં ફેરવાઈ ગઈ છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનો ડેઈલી પોઝિટિવિટી રેટ ૪.૫૮ ટકાથી ઊછળીને ૫.૪૪ ટકા થઈ જતાં ફરી એક વખત તંત્ર દોડતું થઈ ગયું છે. વીકલી પોઝિટિવિટી રેટ પણ ૪.૮૫ ટકાથી વધીને ૪.૮૮ ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૫૩ ટકા પર સ્થિર રહ્યો છે.