કોરોના વાયરસ અને તેના નવા વેરિયન્ટ ઓમિક્રોને સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. આજના કેસ પણ ચોંકાવનારા...
રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે સતત કોરોનાના કેસમાં વધારો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 654 નવા કોરોનાના કેસ નોંધાયા
63 દર્દી સાજા થયા, 2962 એક્ટિવ કેસ
ગુજરાતમાં છેલ્લા 24માં કોરોના વાયરસના નવા 654 નવા કેસ નોંધાયા છે. જ્યારે 63 દર્દીઓ સાજા થયા છે, જોકે એકપણ દર્દીનું મોત નથી થયું. તો હાલ રાજ્યમાં 2962 એક્ટિવ કેસ છે. જેમાંથી વેન્ટીલેટર પર 17 દર્દીઓ છે અને 2945 દર્દી સ્ટેબલ છે. રાજ્યનો રિકવરી રેટ 98.43 ટકા જેટલો છે. આજે 188125 લોકોનું વેક્સિનેશન થયું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 818652 દર્દીઓ સાજા થયા અને 10118 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,94,35,345 લોકોનું વેક્સિનેશન થઇ ચૂક્યું છે.
અમદાવાદમાં રાજ્યના અડધા કેસ નોંધાયા છે. અમદાવાદમાં આજે 317 કેસ નોંધાયા છે. રાજ્યમાં અમદાવાદમાં કોરોનાનું સૌથી વધુ સંક્રમણ જોવા મળી રહ્યું છે.
કઇ જગ્યાએ કેટલાક કેસ નોંધાયા
અમદાવાદ શહેરમાં 311 અને ગ્રામ્યમાં 6 કેસ સાથે કુલ જિલ્લામાં 317 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 97 અને ગ્રામ્યમાં 19 કેસ સાથે જિલ્લામાં 126 નોંધાયા છે. વડોદરા શહેરમાં 38 અને ગ્રામ્યમાં 3 કેસ સાથે જિલ્લામાં કુલ 41 કેસ નોંધાયા છે. તો રાજકોટ શહેરમાં 21 કેસ અને ગ્રામ્યમાં 11 કેસ સાથે જિલ્લામાં કુલ 31 કેસ નોંધાયા છે. જામનગર શહેરમાં 12 અને ગ્રામ્યમાં 5 કેસ સાથે જિલ્લામાં કુલ 17 કેસ નોંધાયા છે. ગાંધીનગર શહેરમાં 9 અને ગ્રામ્યમાં 9 કેસ સાથે જિલ્લામાં કુલ 18 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં આજે 24 કલાકમાં કોરોનાના વેરિયન્ટ ઓમિક્રોનના 16 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 6, સુરત શહેરમાં 3, આણંદમાં 3, અમરેલીમાં 1, બનાસકાંઠામાં 1, ભરૂચમાં 1 અને જૂનાગઢ શહેરમાં 1 ઓમિક્રોનનો દર્દી નોંધાયો છે. આમ, રાજ્યમાં અત્યાર સુધીમાં 113 ઓમિક્રોનના કેસ નોંધાઇ ચૂક્યા છે. જ્યારે કુલ 54 દર્દી સાજા થઇ ચૂક્યા છે. જ્યારે રાજ્યમાં ઓમિક્રોનથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી.
અમદાવાદ પોલીસે 247 હોટલ, રેસ્ટોરન્ટ અને ક્લબને ફટકારી નોટિસ
અમદાવાદમાં 31 ડિસેમ્બરની ઉજવણી અગાઉ પોલીસ એક્શનમાં આવી છે. 247 હોટલ, રેસ્ટોરન્ટ અને ક્લબને નોટિસ ફટકારી છે. અમદાવાદ પોલીસ જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહીના મૂડમાં આવી છે. રાતે 11 વાગે રાત્રી કર્ફ્યુનો કડક અમલ કરાવવા પોલીસ મક્કમ છે. તો શહેરમાં એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ પર સતત પોલીસ દ્વારા ચેકીંગ શરૂ કરી દેવાયું છે.
ગાંધીનગરમાં સચિવાલયમાં વેક્સિનના બે ડોઝ લીધા હશે તો જ પ્રવેશ મળશે
ગાંધીનગરમાં સચિવાલયમાં પ્રવેશ માટે પાસ બારીમાં ડોઝનું સર્ટિફિકેટ રજૂ કરવું પડશે. વેક્સીન સર્ટિફિકેટ રજૂ કરશે તેને જ પાસ ઇસ્યુ કરવાનો નિર્ણય લેવાયો છે. ગઈકાલે આરોગ્ય મંત્રીએ સરકારની તમામ કચેરી માટે નિયમ જાહેર કર્યો હતો. વેક્સીના બન્ને ડોઝ લેનારને જ સરકારી કચેરીમાં પ્રવેશ મળશે.
સુરત પોલીસના કર્મચારીઓ પણ કોરોનાની ઝપેટમાં
સુરત ટ્રાફિક વિભાગના DCP પ્રશાંત સુંબે કોરોનાગ્રસ્ત થયા છે. ડિંડોલીના PI મહેન્દ્ર સાલુનકે પણ કોરોનાગ્રસ્ત થયા છે. બંને પોલીસ અધિકારીઓને હોમ આઈસોલેટ કરાયા છે. તેમના સંપર્કમાં આવેલા જવાનોના ટેસ્ટ કરવામાં આવશે.
ભાજપ નેતા ગોરધન ઝડફિયા કોરોના સંક્રમિત
ગુજરાતમાં સરકારની ત્રીજી લહેરની આશંકાઓની સાબિતી આપતા કોરોના કેસ હવે VIPની પડખે ચઢ્યા હોય તેમ ભાજપ નેતા ગોરધન ઝડફિયા કોરોના સંક્રમિત થયા છે. કોરોના સંક્રમિત થતા જ ઝડફિયા હોમ આઇસોલેટ થયા છે. તેમણે પોતાના સંપર્કમાં આવેલ તમામને ટેસ્ટ કરવા સલાહ આપી છે. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે સુરતના ચોર્યાસીના ધારાસભ્ય ઝંખના પટેલ કોવોના સંક્રમિત થયા હતા. બે દિવસ પૂર્વે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આજ કાર્યક્રમમાં ઉપસ્થિત મહા નગર પાલિકાના બે પદાધિકારીઓ પણ સંક્રમિત થતા ફફડાટ ફેલાયો હતો.
ગઇકાલે અમદાવાદ શહેરના 10 વિસ્તાર માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં મુકાયા
ગુજરાતમાં કોરોના કેસોમાં ધરખમ વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ કોરોનાએ પોતાની રફ્તાર પકડી છે. અમદાવાદમાં કેસોની સંખ્યા વધતાની સાથે તંત્ર હરકતમાં આવ્યું છે. ગઇકાલે તંત્ર દ્વારા શહેરમાં 10 જેટલા માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. શહેરમાં વસ્ત્રાપુરમાં કાસાવ્યોમા એપાર્ટમેન્ટમાં 36 મકાનો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં મુકાયા જ્યારે સાયન્સ સિટીના ડિવાઇનમાં 75 મકાનોને ક્ન્ટેઇન્મેન્ટ ઝોનમાં આવરી લેવાયા છે.
AMCએ મેના છેલ્લા અઠવાડિયામાં બિલ્ડીંગ્સને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવાની પ્રથા બંધ કરી દીધી હતી. જો કે, ગુજરાત અને અમદાવાદમાં કોવિડ 19 કેસમાં વધારો થવાના વલણને કારણે નવેમ્બરથી આ પ્રથા ફરી શરૂ કરવામાં આવી છે.
ગુજરાતમાં ગઇકાલે 571 કોરોનાના કેસ નોંધાયા હતા
ગઇકાલે રાજ્યમાં 571 કોરોનાના કેસ નોંધાયા હતા, તો કોરોનાને માત આપીને 102 દર્દી ડિસ્ચાર્જ થયા હતા. જ્યારે ગઇકાલે અમદાવાદમાં સૌથી વધુ 278 કેસ નોંધાયા હતા. જ્યારે એક પણ ઑમિક્રૉનનો કેસ નોંધાયો ન હતો. જોકે ગઇકાલે 2 દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો હતો. ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર 98.50 ટકા હતો. અને રાજ્યભરમાં આજે 2.32 લાખ નાગરિકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું
ભારતમાં કોરોનાના દૈનિક કેસમાં વધારો
દેશમાં એક દિવસના કોરોનાના નવા કેસ 16 હજાર 764 થયા છે. એક દિવસમાં દેશમાં 7 હજાર 585 દર્દી કોરોનાથી સ્વસ્થ થયા છે. તો એક દિવસમાં કોરોનાથી 220ના મૃત્યુ થયા છે. દેશમાં કોરોનાના એક્ટીવ કેસ 91 હજાર 361 અને કોરોનાના કુલ કેસ 3 કરોડ 48 લાખ 38 હજાર 804 થયા છે. જ્યારે ભારતમાં કોરોનાથી સ્વસ્થ દર્દીની કુલ સંખ્યા 3 કરોડ 42 લાખ 66 હજાર 363 થઇ છે. ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4 લાખ 81 હજાર 80 પર પહોંચ્યો છે. તો ભારતમાં વેક્સિનેશનનોકુલ આંક 1 અબજ 44 કરોડ 54 લાખ 16 હજાર 714 થયો છે.