ગુજરાતમાં ગઈકાલ કરતા આજે ઓછા કેસ નોંધાયા છે પરંતુ મોત ત્રીજી લહેરના સૌથી વધુ મોત નોંધાતા ખળભળાટ મચ્યો છે. આજ રોજ નવા 21,225 કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં કોરોનાના 21,225 નવા કેસ
આજે 9254 સાજા થયા અને 16 દર્દીના મોત થયા
હાલ 116843 એક્ટિવ કેસ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 21,225 નવા કેસ નોંધાયા છે. આજે 9254 સાજા થયા અને 16 દર્દીના મોત થયા છે. હાલ 116843 એક્ટિવ કેસ છે. જેમાંથી 172 દર્દી વેન્ટિલેટર પર છે અને બાકીના તમામ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 895730 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે, તો 10215 દર્દીઓના મૃત્યુ થઇ ચૂક્યા છે. રાજ્યમાં હાલ રિકવરી રેટ ઘટીને 87.58 ટકા પર પહોંચ્યો છે.
આજે ત્રીજી લહેરના સૌથી વધુ મોત
અમદાવાદ શહેરમાં 8, વડોદરા શહેરમાં 1, સુરત શહેરમાં 2, સુરત ગ્રામ્યમાં 2, વડોદરા ગ્રામ્યમાં 1, ખેડામાં 1 અને ભાવનગર ગ્રામ્યમાં 1 દર્દીનું મોત થયું છે.
સરકારમાં નોંધાય છે તેના કરતા બમણાં કેસ છેઃ AHNA પ્રમુખ
કોરોનાને લઇ અમદાવાદ શહેરની સ્થિતિ ગંભીર બની રહી છે. આ વચ્ચે AHNAના પ્રમુખ ડૉ.ભરત ગઢવીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, સરકારમાં નોંધાય છે તેના કરતા બમણાં કેસ છે. સેલ્ફ ટેસ્ટ કીટથી ટેસ્ટ કરતા દર્દીઓની સંખ્યા વધી છે. ટેસ્ટ ન કરાવી આઇસોલેટેડ થતા દર્દીઓની સંખ્યા વધુ છે. મોટા ભાગના લોકો જાતે જ દવા લઇ આઇસોલેટેડ થઇ રહ્યાં છે. જાન્યુઆરીના અંત સુધી પીક આવી શકે છે. કોમોર્બીડ, ડાયાબીટીસના દર્દીઓ અને વેક્સિન ન લેનારને વધુ અસર છે. 45થી વધુની વયના લોકો હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે.
વેક્સિન ન લેનારા માતા-પિતા માટે ચેતવણી
સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, માતા-પિતાથી બાળકો સંક્રમિત થઈ રહ્યા છે. બાળકોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદની સિવિલમાં 6 બાળકોને કરાયા દાખલ છે. 37 દિવસમાં 12 વર્ષ સુધીના બાળકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. બાળકોના માતા-પિતાએ વેક્સિન ન લીધી હોવાનો ખુલાસો થયો છે. સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે 300 બેડની વ્યવસ્થા કરાઈ છે. સૌને વેક્સિન લેવા માટે તબીબોએ અપીલ કરી છે.
ગઇકાલે નોંધાયેલા કેસની વિગત(20-1-2022):
ગુજરાતમાં ગઇકાલે 24 કલાકમાં 24,485 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 9957 કેસ, સુરતમાં 3709 કેસ તો રાજકોટમાં 1521 કેસ, વડોદરામાં 3194 કેસ સામે આવ્યા હતા. જ્યારે ગાંધીનગરમાં 734 કેસ, ભાવનગરમાં 587 કેસ નોંધાયા હતા. તો 13 લોકોના મોત થયા હતા, 10,310 દર્દીઓ સાજા થયા હતા.