છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 3,17,532 નવા કેસ, જ્યારે ગુજરાતમાં આજે 24,485 કેસ સામે આવતા ફફડાટ
ગુજરાતમાં કોરોના કેસોમાં ફરી ધરખમ વધારો
છેલ્લા 24 કલાકમાં 24,485 કેસ સામે આવતા તંત્રના પણ હોશ ઊડ્યાં
ગુજરાતમાં કોરોના કેસોમાં ત્રીજી લહેરે સપાટો બોલાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 24,485 કેસ કોરોના પોઝિટિવ આવતા સરકાર અને તંત્ર વધુ આયોજન કરવા જોતરાઈ ગયું છે. આજે સૌથી વધુ અમદાવાદમાં 9957 કેસ સામે આવ્યા છે જ્યારે સુરતમાં 3709 કેસ તો રાજકોટમાં 1521 કેસ, વડોદરામાં 3194 કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં 734 કેસ, ભાવનગરમાં 587 કેસ સામે બહાર અવાતા ફરી ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તો 13 લોકોના મોત થયા છે 10,310 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,048,888 સુધી પહોંચી ગઈ છે.કોરાનાગ્રસ્ત કુલ 156 દર્દીઓ હાલ વેન્ટિલેટર પર જ્યારે અત્યાર સુધી કોરોનાને કારણે રાજ્યમાં કુલ 10,199 મૃત્યુ થયા છે.જો ઘાતક ત્રીજી લહેરમાં છેલ્લા 3 દિવસની વાત કરીએ તો 18 જાન્યુઆરી-17,119 કેસ, 19 જાન્યુઆરી- 20,966 કેસ, 20 જાન્યુઆરીએ રેકોર્ડ બ્રેક 24,485 કેસ સામે આવતા હાહાકાર મચ્યો છે. 3 જ દિવસમાં કુલ 62,570 કોરોના કેસ નોંધાઈ ચૂક્યા છે.
ગુજરાતમાં આગામી સપ્તાહમાં કોરોના પીક પર હશે
કાનપુર IITના નિષ્ણાંતોના આંકલન મુજબ દેશ સહિત સમગ્ર રાજ્યમાં ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. તેમજ આગામી 23 જાન્યુઆરીએ ભારતમાં ત્રીજી લહેરની પીક આવશે. તેમજ ગુજરાતમાં પણ આગામી સપ્તાહમાં કોરોનાની ત્રીજી લહેરની પીક આવશે. 15 ફેબ્રુઆરી બાદ દેશ સહિત ગુજરાતમાં પણ કોરોના કેસોમાં જેટલી ઝડપે વધારો આવ્યો છે તેટલી જ ઝડપે ઘટાડો આવશે તેવો દાવો નિષ્ણાતો કરી રહ્યા છે.
શહેર
એક્ટિવ કેસ (ગઈ કાલના આંકડા મુજબ)
અમદાવાદ
31870
સુરત
24332
વડોદરા
9660
રાજકોટ
5345
ગાંધીનગર
2659
ભાવનગર
2455
જામનગર
1656
જૂનાગઢ
310
દેશ આખોય કોરોના લપેટામાં
દેશમાં જીવલેણ કોરોનાવાયરસ રોગચાળાના કેસ સતત વધી રહ્યા છે. આ સાથે, કોરોનાના સૌથી ઝડપથી ફેલાતા વેરિયન્ટ ઓમિક્રોનના કેસ પણ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 3,17,532 નવા કેસ નોંધાયા છે અને 491 લોકોના મોત થયા છે.આ સાથે અત્યાર સુધીમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના 9, 287 કેસ નોંધાયા છે. દેશમાં ડેઇલી પોઝિટીવીટી રેટ હવે 16.41% છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ એક્ટિવ કેસ વધીને 19,24,051 થયા છે. હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 19,24,051 થઈ ગઈ છે. તો સામે દેશમાં, આ મહામારીને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 87 હજાર 693 થઈ ગઈ છે. માહિતી અનુસાર, ગઈકાલે 2,23,990 લોકો સાજા થયા હતા, અત્યાર સુધીમાં 3 કરોડ 58 લાખ 7 હજાર 29 લોકો સંક્રમણ મુક્ત થઈ ગયા છે.