ગુજરાતના લોકો હવે સાવધાન બની જજો. કારણ કે, જે કોરોનાની સંભવીત ત્રીજી લહેરની હવે શરૂઆત થઈ ગઈ છે. કોરોના ફરી તેની પીક પકડી રહ્યો છે
ગુજરાતમાં ફરી કોરોના વકર્યો
આજે 968 કેસ કોરોનાના નોંધાયા
1 દર્દીનું કોરોનાને કારણે મોત
ગુજરાતમાં કોરોનાના કેસોમાં ફૂંફાડો યથાવત છે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 968 કેસ આવતા આરોગ્ય વિભાગની ઊંઘ ઉડી ગઈ છે. સૌથી વધુ 404 કેસ અમદાવાદમાં સામે આવ્યા છે, સુરતમાં 223 તો વડોદરામાં 69 કેસ નોંધાયા છે કુલ 141 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે વલસાડના એક દર્દીનું કોરોનાને કારણે મોત થયું છે. સારી વાત એ છે કે ઓમિક્રોનનો એકપણ કેસ આજે સામે આવ્યો નથી. કોરોના એક્ટિવ કેસની સંખ્યા 4,753 સુધી પહોંચી ગઈ છે. 6 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે.
અમદાવાદ, સુરતની હાલત બગડી શકે છે
જો જિલ્લા પ્રમાણે કોરોના કેસોની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 404 કેસ, સુરતમાં 223 કેસ, વડોદરામાં 69 કેસ, રાજકોટમાં 60, ગાંધીનગરમાં 20, ભાવનગરમાં 10, જામનગરમાં 4. જુનાગઢ 8, સાબરકાંઠામાં 2 કેસ,ખેડામાં 36, આણંદમાં 29, વલસાડમાં 27, નવસારીમાં 21, કચ્છ 17, ભરુચ 9 કેસ, ગીર સોમનાથમાં 5 કેસ, અમરેલીમાં 4 કેસ, મહીસાગરમાં 4 કેસ, દેવભૂમિ દ્વારકામાં 3 કેસ, મહેસાણામાં 3 કેસ, મોરબીમાં 3 કેસ, તાપીમાં 3 કેસ, બનાસકાંઠામાં 2 તેમજ પંચમહાલમાં 2 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે
ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર 98.22 ટકા
અત્યાર સુધી રાજ્યમાં 10,120 દર્દીઓના કોરોનાથી મૃત્યુ નીપજયા છે. કોરોનાને માત આપીને કુલ 8,18,896 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પહોંચ્યા છે. આજે વધુ 1.01 લાખ નાગરિકોનું રસીકરણ થયુ છે. ગુજરાતમાં કુલ રસીના 8.96 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે. કોરોનાથી સાજા થવાનો દર 98.22 ટકા સુધી પહોંચી ગયો છે
ગુજરાત ઓમિક્રોન અપડેટ(2-1-2022)
આજે ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટનો એકપણ કેસ નહીં, અત્યાર સુધી ઓમિક્રોન વેરિયન્ટના 136 કેસ રાજ્યમાં નોંધાયા, ઓમિક્રોન ગ્રસ્ત 85 દર્દીઓ અત્યાર સુધી ડિસ્ચાર્જ થયા છે.
આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની તમામ રાજ્યોના આરોગ્ય મંત્રી સાથે સમીક્ષા બેઠક
ભારતમાં કોરોનાના કેસોમાં વધારો થતાની સાથે કેન્દ્રીય આરોગ્યમંત્રીએ આજે તમામ રાજ્યોના આરોગ્યમંત્રી અને આરોગ્ય અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઇ છે ત્યારે રાજ્યોની તૈયારી અંગે ચર્ચા કરવામાં આવી હતી.ગુજરાત દ્વારા તરૂણોને રસી આપવા માટેની તૈયારી કરી દેવાઇ છે. તરૂણોને 3 થી 8 તારીખ સુધીમાં શાળા એ જઇ રસી આપવામાં આવશે. 6 થી 7 દિવસમાં તમામ બાળકોને રસી મળી રહે તે માટે તૈયારી કરી પૂર્ણ કરવામાં આવી છે.રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે રાજ્યોની ઓમિક્રોનના સંભવિત ખતરાને લઈને કેવા પ્રકારની તૈયારીઓ છે તેની સમીક્ષા કરવા માટે યોજાયેલી આ બેઠકને સૂચક માનવામાં આવી રહી છે.ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ પર ભાર આપવા માટે આગ્રહ કરવામાં આવ્યો છે. બુસ્ટર ડોઝને લઈ કેવી રીતે પ્રક્રિયા આગળ વધારવી એ અંગે પણ ચર્ચા થઈ છે.
દિલ્હીમાં યલો એલર્ટ નિષ્ફળ, ભારતમાં 27,553 કેસ નોંધાયા
દિલ્હીમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. રવિવારે રાજધાનીમાં 3194 કોવિડ-19 દર્દીઓની પુષ્ટિ કરવામાં આવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન 1156 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે કોરોનાને નાથવા લગાડવામાં આવેલ યલો એલર્ટ પણ નિષ્ફળ રહ્યું હોવાનું સ્પસ્ટ જણાઈ રહ્યું છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 27,553 નવા કેસ નોંધાયા હતા. કોરોના ફરી અનિયંત્રિત રીતે ફેલાઈ રહ્યો છે ત્યારે લોકડાઉન જેવા પગલાંના ભણકારા વાગી રહ્યા છે.કોરોનાનો ખતરો દિનપ્રતિદિન વધી રહ્યો છે. નવા વર્ષની શરૂઆતમાં કેસ સંખ્યા જે ઝડપથી વધી રહી છે તે જોતાં હવે ત્રીજી લહેર બેકાબૂ બનશે તેવી આશંકા છે. હાલ તો કોરોનાનાં ઓમિક્રોન વેરિયન્ટના કેસ 1500 ને પાર પહોંચી ગયા હોવાથી સ્વાસ્થ્ય મંત્રાલય સહિત રાજ્યોના આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે.