દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. બે દિવસની રાહત મળ્યાં બાદ બુધવારે ફરી એક વખત કોરોનાના આંકડાએ બધાને ચોંકાવી દીધા છે.
બે દિવસની રાહત બાદ દેશમાં કોરોનાનો ગ્રાફ વધ્યો
છેલ્લાં 24 કલાકમાં 37,875 કોરોનાના સંક્રમિત કેસો
24 કલાકમાં કોરોનાથી 369 લોકોના થયા મોત
છેલ્લાં 24 કલાકમાં 369 લોકોના મોત
તાજેતરના આંકડા મુજબ, દેશમાં 24 કલાકની અંદર 37,875 નવા કોરોનાના સંક્રમિત કેસો સામે આવ્યાં છે. જ્યારે મંગળવારે આ સંખ્યા 31,222 હતી. એક દિવસની અંદર 6653 કેસ વધવાથી આરોગ્ય તંત્રની ચિંતા વધી છે. આરોગ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા હેઠળ છેલ્લાં 24 કલાકમાં કોરોનાથી 369 લોકોના મોત થયા છે. જ્યારે મંગળવારે 290 લોકોના મોત થયા હતા. તો બુધવારે કોરોનાના 39,114 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે.
દેશમાં 3,91,256 કેસો સક્રિય
છેલ્લાં 24 કલાકમાં સામે આવેલા 37,875 કોરોના દર્દીઓની સંખ્યા બાદ દેશમાં 3,91,256 કેસો સક્રિય થયા છે. તો અત્યાર સુધી દેશમાં કુલ 3,30,96,718 સંક્રમિત કેસો સામે આવ્યાં છે. જેમાંથી 3,22,64,051 લોકો સાજા થઇ ગયા છે. જ્યારે 4,41,411 દર્દીઓના મોત થયા છે.
મુંબઈમાં આગામી 15 દિવસ મહત્વપૂર્ણ
મુંબઈના મેયર કિશોરી પેડણેકરે લોકોને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, મુંબઈ માટે આગામી 15 દિવસ મહત્વના સાબિત થશે. તેમણે કોરોના દર્દીઓની વધતી સંખ્યા પર ચિંતા દર્શાવતા કહ્યું કે, કોરોનાની ત્રીજી લહેર અંગે વાત કરવી અયોગ્ય છે, ત્રીજી લહેર આવી ગઇ છે. નાગપુરમાં તેની જાહેરાત કરવામાં આવી છે. તેથી મુંબઈવાસીઓએ સાવધાન થવાની જરૂર છે. કિશોરીએ કહ્યું કે, 10 સપ્ટેમ્બરથી ગણેશ ઉત્સવ શરૂ થઇ રહ્યો છે. જેને કારણે માર્કેટમાં ખરીદી માટે લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઇ રહ્યાં છે. કોરોનાના નિયમોનું છડેચોક ઉલ્લંઘન થઈ રહ્યું છે. જો લોકો કોરોના પ્રોટોકોલનું પાલન નહીં કરે તો તહેવાર ટાણે કોરોના મુંબઈમાં કોહરામ મચાવી શકે છે.