12 દિવસ કોરોના સામે ઝઝૂમી તેને પરાસ્ત કરી ૫૬ વર્ષીય હેડ નર્સ સરલાબેન મોદી ઘરે પરત ફર્યા ત્યારે ઘેર ઉંધ ન આવે. 14 દિવસ હોમ ક્વોરન્ટાઇન સમયગાળા દરમિયાન દિલ-દિમાગમાં એક જ વસ્તુ ફર્યા કરે કે મારા સિવિલ હોસ્પિટલ પરિવારને મારી જરૂર છે. સિવિલમાં સારવાર લઇ રહેલા દર્દીઓને મારી જરૂર છે. જેવો હોમ ક્વોરન્ટાઇનનો સમયગાળો પૂરો થયો કે તરત જ ફરી વખત જોમ અને જુસ્સા સાથે ફરજ પર હાજર થયા.
ફરજ દરમિયાન કોરોનાગ્રસ્ત થયા હતા સરલાબેન
12 દિવસે કોરોનાને મ્હાત આપી ફરી ફરજ પર
પ્લાઝમાં ડોનેટ કરવા સરલાબેન મોદી સંકલ્પબધ્ધ
જ્યારે પણ સરલાબેનને કોરોના ડ્યુટી સોંપી તેઓએ બાહોશીપૂર્વક નિભાવી. 2 તબક્કામાં કોરોનામાં ફરજ બજાવી. 10 દિવસની ફરજ દરમિયાન ૨જા તબક્કામાં હતા ત્યારે કોરોનાથી સંક્રમિત થયા પરંતુ જુસ્સો ઓછો ન થયો. સારવાર દરમિયાન પણ એક જ વસ્તુ કહેતા. મારે જલ્દી સાજા થઇને ફરજ પરત ફરવું છે. મારી સિવિલ હોસ્પિટલને મારી જરૂર છે.
સરલાબેને અન્ય કોઇપણ ખાનગી હોસ્પિટલમાં સારવાર ના લઇ સિવિલ હોસ્પિટલમાં જ સારવારને પ્રાથમિકતા આપી કારણ કે તેમને સિવિલની સારવાર-સારસંભાળ પર વિશ્વાસ જ નહીં પરંતુ અતૂટ શ્રધ્ધા પણ હતી. સિવિલની સારવાર પધ્ધતિના તેઓ પોતે પણ સાક્ષી રહ્યા છે અહીં સારવારની સાથે હૂંફ અને પ્રેમ પણ આપવામાં આવે છે. દર્દીને સારવાર પધ્ધતિની સાથે સાથે મનોસ્થિતીની પણ કાળજી રાખી તેનું કાઉન્સેલીંગ કરવામાં આવે છે.
12 દિવસે કોરોનાને મ્હાત આપી ફરી ફરજ પર
સરલાબેન કોરોનાગ્રસ્ત થયા બાદ 12 દિવસ સુઘી કોરોના સામે ઝઝૂમ્યા. શ્વાસ લેવા માટે તરફડી રહ્યા હોય તેવી તકલીફ ઉભી થતા તેઓને ઓક્સિજન પર રાખવા પડ્યા. તે છતાંય તેઓ હિંમત ન હાર્યા. સારવાર દરમિયાન પણ એક જ ઝંખના સેવી રહ્યા હતા કે સાજા થઇને ફરી વખત કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા સુશ્રુષા કરવી છે.
સિવિલ હોસ્પિટલમાં મેં 32 વર્ષ કાઢ્યા છે: સરલાબેન
સરલાબેન લાગણીસભર સ્વરે કહે છે કે સિવિલ હોસ્પિટલમાં મેં 32 વર્ષ કાઢ્યા છે અહીં ફરજ બજાવી છે. સિવિલ હોસ્પિટલ મારો પરિવાર છે માટે જ મારા જીવનની પ્રત્યેક ક્ષણ આ હોસ્પિટલ માટે સમર્પિત છે. દેશ પર રાજ્ય પર એકાએક આવી પડેલી આફતમાં હું જ જોઇ પીછેહઠ કરી જઉં તો મારૂ જીવન વ્યર્થ છે. સૈનિક ધાયલ થાય તે છતાં છેલ્લા ક્ષણ સુધી દુશ્મનની સામે જીત હાંસલ કરવા લડત આપે છે. બસ આ જ ભાવના સાથે હું જ્યારે કોરોનાગ્રસ્ત હતી ત્યારે તેને મ્હાત આપીને ફરજ પરત થવાની ચાહના સેવી રહી હતી.
વધુમાં તેમણે કહ્યું કે કોરોનાને મ્હાત આપ્યા બાદ મારા શરિરમાં બનેલા પ્લાઝમાને હું સિવિલ હોસ્પિટલની પ્લાઝમાં બેન્કમાં ડોનેટ કરી કોઇક જરૂરિયાતમંદ પરિવારનો દિવડો પ્રજવલ્લિત રાખવા માટે તૈયાર છું.
સરલાબેને કહ્યું, સિવિલ હોસ્પિટલના તબીબોની શ્રેષ્ઠ સારવાર, નર્સિંગ સ્ટાફનો સહકાર, દર્દી સહાયકોની સાર-સંભાળ અને સમગ્ર સ્ટાફ મિત્રોની હૂંફ અને મારા સકારાત્મક વલણ ના કારણે જ હું 12 દિવસ કોરોના સામે ઝઝૂમી કોરોનાને મ્હાત આપી શકી છું.
અત્રે ઉલ્લેખનીય છે કે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ.જયંતિ રવિએ પણ 1200 બેડ હોસ્પિટલની મુલાકાત દરમિયાન સરલાબેન મોદીના ખબર અંતર પૂછ્યા હતા. સારવાર અને સારસંભાળ વિશેના તેમના પ્રતિભાવ જાણ્યા હતા. અગ્ર સચિવશ્રીની સંવેદનશીલતા અને દર્દીઓની દરકારની આ મુલાકાતે સરલાબેનના જુસ્સાને પ્રોત્સાહન આપ્યુ હતુ.