કોરોના મહામારી વચ્ચે ગીર સોમનાથના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. એકબાજુ રાજ્યમાં જ્યાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, ત્યારે બીજી બાજુ સમગ્ર ગીર વિસ્તારમાં કેરી પડવાની શરૂઆત થઇ ચૂકી છે. કેરીમાં ખરણ આવતા ખેડૂતો અને ઇજારદાર મુશ્કેલીમાં મુકાયા છે.
ગીર-સોમનાથના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો
કેરીમાં ખરણ આવતા વધી મુશ્કેલી
કૃષિ યુનિવર્સિટી આવી ખેડૂતોના વ્હારે
જોકે કૃષિ વૈજ્ઞાનિકો આંબા પરથી થતા ખરણને અટકાવવા માર્ગદર્શન આપી રહ્યાં છે. હાલ કોરોના વાયરસના કારણે લોકડાઉન છે અને જેને કારણે ખેડૂતો અને ઇજારદાર પણ યોગ્ય સમયે આંબાની માવજત કરી શક્યા નથી.
ત્યારે નીચે પડેલી કેરી ખેડૂતો બજારમાં વેચવા માટે જાય છે. પરંતુ કોઇ ખરીદતું ન હોવાથી મફતના ભાવે માત્ર 3 રૂપિયે કિલો ખાખડી વેચે છે. આવા સમયે કૃષિ યુનિવર્સિટી ખેડૂતોના વ્હારે આવી છે. જેમાં કેસર કેરીમાં ખરણ અટકાવવા યુનિવર્સિટીએ માર્ગદર્શિકા બહાર પાડી છે.
ભેજનું પ્રમાણ ઘટતા અને ગરમીનું પ્રમાણ વધતા ખરણની સમસ્યા સર્જાઇ છે. ખેડૂતોએ વર્તમાન સમયે જરૂરિયાત મુજબ પાણી આપવાથી ખરણ અટકાવી શકાશે. સમગ્ર ગીર વિસ્તારમાં આવેલા આંબાઓમાં હાલ કેસર કેરીમાં ઝાળી પડવાની શરૂઆત થઈ ચૂકી છે. ટૂંક સમયમાં ગીરની પ્રખ્યાત કેસર કેરી બજારમાં આવશે. પરંતુ ખેડૂતો હાલ ચિંતિત બન્યા છે.
કારણ કેરીમાં ખરણ આવ્યું છે. ખરણ એટલે કે આંબા પરથી ખાખડી(મધ્યમ કદની કેરી) ખરવા લાગી છે. છેલ્લા 20 વર્ષનાં ઇતિહાસમાં કોઈ વર્ષ આંબા પરથી કેરી ન ખરી હોય તેટલી કેરી ખરી રહી છે.જેથી ખેડૂતો અને ઇજારદાર પરેશાન બન્યા છે.