ચીનમાં કોરોના વાઈરસથી હાહાકાર છે. ચીનના વુહાન અને હુબઇ પ્રાંતમાં ફેલાયેલા જીવલેણ કોરોના વાઈરસ ભારતમાં ફેલાવાની દહેશતને પગલે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે અમદાવાદ અને રાજ્યભરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં વિન્ટેલેટર, પીપીઇ કિટ અને એન્ટિવાઇરલ દવાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રાખવા અને જરૂર જણાય તો આઇસોલેશન વોર્ડ શરૂ કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવા તંત્રને સૂચના આપી છે.
શહેરની સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યો છે, જેથી અસરગ્રસ્ત કે શંકાસ્પદ વ્યક્તિના કારણે અન્ય લોકોમાં વાઈરસ ન ફેલાય. દેશમાં અત્યાર સુધી કોઈ કોરોના વાઈરસનો કેસ નોંધાયો નથી, પરંતુ મહારાષ્ટ્રમાં શુક્રવારે પ અને રાજસ્થાનમાં એક એમ કુલ છ જેટલા શંકાસ્પદ કેસ સામે આવ્યા છે.
વુહાનમાં એમબીબીએસમાં અભ્યાસ કરતા રાજસ્થાનના એક યુવકને કોરોના વાઇરસના ઈન્ફેક્શનની શંકા પછી જયપુરની એક હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે. તપાસ માટે સેમ્પલ પુણેની લેબમાં મોકલવામાં આવ્યા છે. પાડોશી રાજ્યની આ ઘટનાના પગલે શહેરની કેડી હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ, ઝાયડસ, સાલ હોસ્પિટલ, અેપોલો, શેલ્બી, એચસીજી, સિમ્સ હોસ્પિટલ સહિતની અનેક મોટી મિલ્ટ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર રાખવાની સૂચના આપવામાં આવી છે.
હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓની તપાસ દરમિયાન એક્યૂટ રેિસ્પરેટરી ઇન્ફેક્શન કે ઇન્ફ્લુએન્ઝા જેવી બીમારીનાં લક્ષણ ધરાવતા દર્દીઓની છેલ્લા ૧૪ દિવસની ટ્રાવેલ હિસ્ટ્રી ચેક કરવાની સૂચના અપાઈ છે.
ગુજરાતમાં ચીનથી મોટી સંખ્યામાં બિઝનેસ માટે લોકો આવતા-જતા રહે છે ત્યારે અહીં પણ કોરોના વાઈરસ ઝડપથી ફેલાય તેવો ભય રહેલો છે. રાજ્યના મુખ્ય આરોગ્ય સચિવ જયંતી રવિએ કહ્યું હતું કે સરકાર વાઈરસના કોઈ પણ કેસ માટે ઈન્ટરનેશનલ ગાઈડલાઈન ફોલો કરી રહી છે. અત્યાર સુધી ભારતમાં કોરોના વાઈરસનો કોઈ કેસ નોંધાયો નથી. અમને શંકાસ્પદ લોકોને સ્ક્રીન કરવાનો કોઈ આદેશ અપાયો નથી, પરંતુ અમે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સ્ક્રીનિંગ સુવિધા સાથે તૈયાર છીએ.
શહેરની એક ખાનગી હોસ્પિટલના અધિકારીએ જણાવ્યું હતું કે ચીન સાથે ગુજરાતનો વેપાર વાઈરસ ફેલાવાના ચાન્સ વધારે છે. અમે ડોક્ટર અને સ્ટાફમાં ઈન્ટરનેશનલ ગાઈડલાઈન સર્ક્યુલેટ કરી દીધી છે અને રૂમ પણ તૈયાર રાખ્યા છે. કોઈ પણ વ્યક્તિમાં કોરોના વાઈરસનાં લક્ષણો દેખાય અને તે નજીકના સમયમાં ચીનથી આવ્યો હોય તો તેનું સ્ક્રીનિંગ થશે.
સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. ગુણવંત રાઠોડે કહ્યું કે સ્ટાફને કોરોના વાઈરસ સંબંધિત લક્ષણોની ટ્રેનિંગ આપી દેવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદમાં કોઈ પણ શંકાસ્પદ કેસ ધ્યાનમાં આવશે તો તેને સિવિલ હોસ્પિટલ મોકલાશે. કોરોના વાઈરસના દર્દીને દેખાતાં લક્ષણોમાં શરદી-છીંક આવવી જેવી સમસ્યા થાય છે, પરંતુ સીવિયર એક્યૂટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ (સાર્સ)થી તેનો સંબંધ ખતરનાક છે.