આરોપી મનિષા ચૌધરીના પિતાએ કહ્યું મારી દીકરીને ખોટી રીતે કેસમાં સંડોવવામાં આવી છે, અમારી પાસે માત્ર 1 વીઘા જમીન છે સામાન્ય માણસ છીએ..
ઉનાવા વનરક્ષકની પરીક્ષામાં કોપીકેસનો મામલો
કેસના આરોપી મનિષા ચૌધરીના પિતાનું નિવેદન
મારી દીકરીને ખોટી રીતે સંડોવવામાં આવી છે-પિતા
ગત રોજ રવિવારે લેવાયેલી વન રક્ષકની પરીક્ષામાં પેપરમાં ગેરરીતિ અહેવાલ સામે આવ્યા હતા તો બીજી તરફ પેપર લીકની ઘટનાને લઈને ચૂંટણી પહેલા રાજનીતિ શરૂ થઈ છે. તેવામાં મહેસાણાના ઉનાવા પેપર મામલે મહેસાણા જિલ્લા પોલીસવડા ડૉ પાર્થરાજ સિંહ ગોહિલે નિવેદન કર્યું છે કે પરીક્ષા રદ થશે નહીં. મહેસાણા જિલ્લા પોલીસવડાએ તમામ પરીક્ષાર્થીઓ રાહતના સમાચાર આપતા જણાવ્યું છે કે પેપર કોઇ સ્થળે લીક નથી થયું. માત્ર આ સેન્ટર પર પેપરનો ફોટો પાડવામાં આવ્યો છે. આથી પરીક્ષા રદ થશે નહીં. તેમજ તેમણે પેપર ફૂટવાની અફવા ફેલાવનારા સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ટકોર પણ કરી હતી. અને જણાવ્યું હતું કે કોપી કેસ મામલે 8 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. આન્સર કી સળગાવી દેવા મામલે પુરાવાનો નાશ કરવા અંગેની પણ ફરિયાદ માટેની કલમનો ઉમેરો કરાશે.
ખોટી રીતે દીકરીને સંડોવવામાં આવી: આરોપી મનિષા ચૌધરીના પિતા
મહેસાણા ઉનાવા વનરક્ષકની પરીક્ષામાં કોપીકેસનો મામલે કેસના આરોપી મનિષા ચૌધરીના પિતાનું નિવેદન સામે આવ્યું છે. પિતાએ તમામ આરોપોને ખોટા ગણાવી તેમની દીકરીને ખોટી રીતે ફસાવવામાં આવી હોવાની વાત કરતાં કહ્યું હતું કે અમે સામાન્ય પરિવારના વ્યક્તિ છીએ અને એક વિઘા જમીનમાં ગુજરાન ચલાવીએ છીએ. મારી દીકરી સરકારી ભરતીની પરીક્ષાઓ માટે ખૂબ જ મહેનત કરે છે. રાત્રે અઢી વાગે પણ વાંચતી જોવા મળતી હતી. મારી દીકરીને ખોટી રીતે આ કેસમાં સંડોવવામાં આવી છે.
કોંગ્રેસ યુવાનોને ગેરમાર્ગે દોરી રહી છે: મંત્રી જીતુ વાઘાણી
પેપર લીક આક્ષેપ મામલે જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું છે કે લેખિત એક્ઝામની શરૂવાત નરેન્દ્ર મોદીના નેતુત્વમાં થઈ, ભરતીમાં ફોર્મ ભર્યા વગર પણ લોકોને નોકરી મળી જતી. વન સરક્ષકનું જો પેપર ફૂટ્યું હોય તો આધાર પુરાવા આપે, કોંગ્રેસના યુવાનોનું મનોબળ તોડવાના પ્રયાસ કરી નકારાત્મક માનસિકતા ધરાવી રહી છે. વન રક્ષકની પરીક્ષામાં ચોરી થઈ છે. આકરી તપાસ કરવાના આદેશ સીએમ એ પણ આપ્યા છે. કોંગ્રેસ રાજ્યના યુવાનોને ગેરમાર્ગે ન દોરે આ સાથે જ ચેલેન્જ કર્યો હતો કે પુરાવા હોય તો સરકાર અને જનતા સામે મૂકે, કોંગ્રેસની બેધારી નીતિ છે, આ કેસમાં અમારે કઈ છુપાવવાનુ નથી.
કઈ રીતે આરોપીએ પેપરમાં ગેરરીતિ આચરી?
મહેસાણાના ઉનાવામાં વનરક્ષક પરીક્ષામાં કોપીકેસ મામલે તપાસમાં મોટો ખુલાસો થયો છે. સુમિત ચૌધરીને સવારે 9 વાગે શાળાના ધાબા પર પેપર સોલ્વ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. રાજુ ચૌધરી નામનો શિક્ષક આ કેસમાં મુખ્ય આરોપી છે. માયા ઉર્ફે મનીષા ચૌધરીને પાસ કરાવવા આ ષડયંત્ર રચાયું હતું.. શાળાના પટ્ટાવાળાએ ગેરહાજર વિદ્યાર્થીના પેપરના ફોટો પાડ્યા હતા. પટ્ટાવાળાએ ફોટો પાડીને રાજુ અને સુમિતને મોકલ્યા હતા. આ દરમિયાન પાણી પીવા આવેલો રવિ મકવાણા કોપી જોઈ ગયો હતો. જેથી આરોપીઓએ રવિ મકવાણાને પણ જવાબ આપ્યા હતા. માયા ચૌધરીને પાસ કરાવવા સુપરવાઈઝરે પણ મદદ કરી હતી. પણ રવિ મકવાણા કોપી કરતા પકડાઈ ગયો હતો. અને હોબાળો થતાં પટ્ટાવાળાએ કાગળ સળગાવી દીધો હતો. હવે વિસનગર DySP અતુલ વાળંદને આ તપાસ સોંપવામાં આવી છે.
ઉપરોક્ત આરોપીઓ સામે IPC કલમ 120B,406,409,201,તથા આઇ.ટી.એક્ટ કલમ 72 મુજબ ઉનાવા પેપર ગેરીરીતિ મામલે ફરિયાદ દાખલ કરી તપાસ તેમજ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.