દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં થોડા દિવસ પહેલા પોલીસ કસ્ટડીમાં આરોપીને ઢોર માર મારવાનો બનાવ સામે આવ્યો હતો. આરોપીને દારૂના કેસમાં પોલીસ સ્ટેશનમાં લવાયો હતો. પરતું બાદમાં સગીર આરોપીને કસ્ટડીમાં PSI ગગનીયા અને અન્ય પોલીસ કર્મચારીઓ દ્વારા ઢોર માર મરાતા મામલો કોર્ટ સમક્ષ પહોંચતા આજે કોર્ટમાં પોલીસ કર્મચારીઓની ઓળખ પરેડ થઈ હતી.
ચાર પોલીસકર્મીઓની કોર્ટમાં ઓળખ પરેડ
સગીર આરોપીએ PSI ગગનિયા સહિતના ચારેય પોલીસ કર્મીઓની ઓળખ કરી લીધી છે. કસ્ટડીમાં સગીરને બેફામ ઢોર માર મારવાનો ગંભીર આક્ષેપ બાદ આજે સગીરે કોર્ટમાં પીએસઆઇ ગગનીયા સહિતના ચારેય પોલીસ કર્મચારીઓને ઓળખી બતાવ્યા હતા. જો કે સમગ્ર મામલો સામે આવ્યા બાદ કોર્ટે મેડિકલ રિપોર્ટના આધારે તપાસના આદેશ આપ્યા છે. જેને લઈ DySp હીરેન્દ્ર ચૌધરીએ ખાતાકીય તપાસ શરૂ કરી છે.
પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલો
કલ્યાણપુર પોલીસ કસ્ટડીમાં માર મારવાનો મામલે પોલીસ કર્મચારીઓ પોતે જ આરોપી બની ગયા છે ખાખી વર્દીની આડમાં સગીર આરોપીને માર મારવા મામલે પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. શું પોલીસ લોકોની રક્ષા માટે છે કે, કાયદાના રક્ષક છો તો ભક્ષક જેવું વર્તન કેમ?, પોલીસને માર મારવાનો હક કોણે આપ્યો ? સગીર આરોપી સાથે અમાનુષી વ્યવહાર કરવાની સત્તા કોણે આપી? સગીર પર આટલી હદે અત્યાચાર કેમ ? સત્તાનો દુરઉપયોગ કરવા બદલ કાર્યવાહી થશે ? પોલીસનું આવું વર્તન કેટલું યોગ્ય ?, આવા પોલીસકર્મીઓને પાઠ કોણ ભણાવશે ?
શુ હતો સમગ્ર મામલો
કલ્યાણપુરના રાણ ગામે થોડા સમય પહેલાં દારૂ પ્રકરણમાં PSI ગગનિયાએ કાર્યવાહી કરી હતી. જેમાં એક સગીર વયના આરોપીની અટકાયત કરી હતી. આરોપ છે કે, અટકાયત બાદ PSI ગગનિયા અને તેના ત્રણ સાથી પોલીસકર્મીએ સગીરને માર માર્યો છે. આ મામલે વિવાદ સર્જાયા બાદ PSI ગગનિયા સહિત ચારેય પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાઈ આમ, તપાસ કરનારી પોલીસ જ આ કેસમાં આરોપી બની ગઈ છે. બીજી તરફ પોલીસકર્મચારીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા અને ઓળખ પરેડ કરાવાઈ હતી. આ પરેડમાં સગીર આરોપીએ ચારેય પોલીસકર્મીની ઓળખ કરી છે.