કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે 28 જુન 2022ના દિવસે સહકારી બેન્કોના ગ્રાહકોને એક મોટી સુવિધા આપવાનું જણાવ્યું હતું.
સહકારી બેંકના ગ્રાહકોને મળશે તમામ સરકારી યોજનાઓનો લાભ
સરકાર સહકારી બેંકોને ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર સાથે જોડશે
52 મંત્રાલયો 300 યોજનાઓનો લાભ લાભાર્થીઓને અપાઈ રહ્યો છે
હવે સહકારી બેંકના ગ્રાહકોને સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવામાં આવશે. આ માટે સરકાર સહકારી બેંકોને ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર (ડીબીટી) સાથે જોડશે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે 28 જુન 2022ના દિવસે આ માહિતી આપી હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, "હાલમાં સરકારના 52 મંત્રાલયો દ્વારા સંચાલિત 300 યોજનાઓનો લાભ ડીબીટી દ્વારા લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે, એટલે કે હવે આ તમામ યોજનાઓનો લાભ સહકારી બેંકોના ગ્રાહકોને મળશે."
બેન્કિંગ સેક્ટરમાં પહેલા કરતા ઘણો સુધારો
અમિત શાહે એવી પણ માહિતી આપી હતી કે બેન્કિંગ સેક્ટરમાં પહેલા કરતા ઘણો સુધારો થયો છે અને તેનાથી દેશના નાગરિકોને બેન્કિંગ સેવાઓનો લાભ મળી રહ્યો છે. આ ઉપરાંત જનધન યોજનાને કારણે 45 કરોડ નવા લોકોનું બેંક ખાતું પણ ખુલ્યું છે. અમિત શાહે કહ્યું કે આ બધુ પીએમ મોદીના 'સહયોગથી સમૃદ્ધિના સંકલ્પ'ના કારણે થયું છે.
સહકારી બેંકોને ડીબીટી સાથે જોડવાથી નાગરિકો સાથે વધુ કનેક્ટિવિટી વધશે
અમિત શાહે કહ્યું, "સહકારી ક્ષેત્ર દેશની સમૃદ્ધિ અને આર્થિક ઉત્થાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ ખોલવામાં આવેલા કરોડો નવા ખાતાઓના ડિજિટલ વ્યવહારો એક ટ્રિલિયન ડોલરને પાર કરી ગયા છે. વર્ષ 2017-18માં ડિજિટલ ટ્રાન્ઝેક્શનની તુલનામાં આમાં 50 ગણો વધારો થયો છે. સહકારી બેંકોને ડીબીટી સાથે જોડવાથી નાગરિકો સાથે વધુ કનેક્ટિવિટી વધશે અને સહકારી ક્ષેત્ર મજબૂત બનશે.
કૃષિ લોન સસ્તી થઈ, 10 ટકાના વ્યાજ દરે મળે છે
અમિત શાહે જણાવ્યું હતું કે, આરબીઆઈ અને નાબાર્ડ દ્વારા બેન્કિંગ માટે નક્કી કરવામાં આવેલા તમામ નિયમો અને ધોરણો પર ખેતીવાડી બેંકે પોતાને સાબિત કર્યા છે. પહેલા બેંકને 12થી 15 ટકાના વ્યાજ પર લોન મળતી હતી, જે હવે ઘટીને 10 ટકા થઈ ગઈ છે. એટલું જ નહીં લોન ભરપાઈ કરનાર લાભાર્થીઓને બે ટકાની છૂટ પણ આપવામાં આવે છે.