રાજકોટમાં કોળી સમાજનું સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કોળી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગામી ચૂંટણીને ધ્યાને રાખી કોળી આગેવાનોને કોંગ્રેસ સાથે રાખવા આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિત મોટી સંખ્યામાં કોળી આગેવાનો ઉપસ્થિત હતા.
બીજી તરફ વધુ એક કોળી નેતા કોંગ્રેસથી નારાજ જોવા મળી રહ્યા છે. પ્રદેશ કોંગ્રેસ બક્ષીપંચ મોરચાના મંત્રી માવજી શિયાળે કોંગ્રેસ સામે પોતાનો રોષ વ્યક્ત કરતા કહ્યું કે કોંગ્રેસમાં કોળી સમાજને ઓછું મહત્વ મળી રહ્યું છે. ભાજપ કરતા કોંગ્રેસમાં કોળી સમાજને ઓછુ મહત્વ આપવામાં આવી રહ્યું છે.
પ્રદેશ લેવલે કોળી સમાજને વધુમાં વધુ સ્થાન આપવા માટે રજૂઆત કરવામાં આવશે. આ સાથે માવજી શિયાળે કોંગ્રસમાંથી ભાજપમાં ગયેલા કુંવરજી બાવળિયાને લઈ કહ્યું કે કુંવરજીના જવાથી કોંગ્રેસને મોટી અસર પડશે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના પીઢ નેતા કુંવરજી બાવળિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યા બાદ સૌરાષ્ટ્રના કોળી સમાજમાં નવા ઉમેદવારને લઇને ચર્ચાઓ શરૂ થઇ હતી. ત્યારે આજરોજ રાજકોટ ખાતે યોજાયેલ કોળી સંમેલનમાં કોંગ્રેસી નેતાઓની હાજરીમાં નવા ચહેરાને લઇને ચર્ચા કરવામાં આવી હતી.