મહેશ્વરમાં સલમાનખાનની ફિલ્મ ‘દબંગ ૩’ શૂટિંગના ત્રીજા દિવસે પણ વિવાદોમાં ઘેરાઇ ગઇ છે. ફિલ્મના સેટ પર શિવલિંગની ઉપર સ્ટેજ રાખવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર તેનો ફોટો વાઇરલ થતાં તેનો વિરોધ શરૂ થયો છે. આ ઘટનાએ એટલો વિવાદ ઊભો કર્યો કે સલમાનખાને ખુદ સ્પષ્ટતા કરવી પડી.
સલમાને કહ્યું કે શિવલિંગની ઉપર કંપનીના લોકોએ સ્ટેજ એટલે રાખી દીધું હશે, કેમ કે તેને કોઇ નુકસાન ન થાય, જોકે બપોરે ફિલ્મ કંપનીએ તખ્ત હટાવી લીધું હતું. સલમાને કહ્યું કે અમારો સેટઅપ ઉત્તર પ્રદેશમાં લાગવાનો હતો. બે મહિના પહેલાં મુખ્યપ્રધાન કમલનાથે કહ્યું હતું કે તમે ઇન્દોરથી છો, તેથી મધ્યપ્રદેશમાં ફિલ્મનું શૂટિંગ કરો, જેથી મહેશ્વરની પસંદગી કરી. હું ખુદ મોટો શિવભક્ત છું તમે શુટિંગ કરવા દેવા નહીં ઈચ્છતા હો તો હું પેકઅપ કરીને યુપી ચાલ્યો જઈશ.
ફિલ્મની શરૂઆતમાં મહેશ્વરનો ઉલ્લેખ આવશે. મારા દાદાજી અહીં ડીઆઇજી હતા. મારું ઘર સમજીને હું અહીં આવ્યો છું. હું સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતો નથી, પરંતુ મહેશ્વરનું નામ થાય તેથી સતત ફોટા અને વીડિયો પોસ્ટ કરી રહ્યો છું. ફિલ્મના સેટ પર ફિલ્મી સાધુઓના સિગારેટ પીવા પર સલમાને કહ્યું કે તેઓ સિગારેટ પીએ તેમાં હું શું કરું?