હિન્દુસ્તાની અવામ મોરચાના સંરક્ષકે કહ્યું, એકસો પચાસ ગ્રામ અથવા અઢીસો ગ્રામ દારૂ પીનારાઓને પકડવામાં ન આવે
દારૂબંધી ધરાવતા રાજ્યમાં દિગ્ગજ નેતાના નિવેદનથી વિવાદ
જીતન રામ માંઝીએ દારૂ પર પ્રતિબંધ પર સવાલ ઉઠાવ્યા
એકાદ ક્વૉર્ટર દારૂ પીધું હોય તો ચાલે: જીતન રામ માંઝી
બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને હિન્દુસ્તાની અવામ મોરચા (HAM)ના સંરક્ષક જીતન રામ માંઝીએ ફરી એકવાર દારૂ પર પ્રતિબંધ પર સવાલ ઉઠાવ્યા છે. જીતનરામ માંઝીએ મદ્યપાનની પ્રક્રિયાને યોગ્ય ઠેરવતા ધીમે ધીમે પીવાની હિમાયત કરી છે. જીતન રામ માંઝીએ કહ્યું- પ્રતિબંધ ખરાબ નથી, પરંતુ જે રીતે તેને લાગુ કરવામાં આવ્યો છે, તેમાં ઘણી ગેરરીતિઓ છે.
નીતીશ સરકારમાં સામેલ પાર્ટી HAMના સંરક્ષક માંઝીએ કહ્યું હતું કે, એકસો પચાસ ગ્રામ અથવા અઢીસો ગ્રામ દારૂ પીનારાઓને પકડવામાં ન આવે. આ સાથે દારૂના પ્રતિબંધની સમીક્ષાની માંગ કરતા જીતન રામ માંઝીએ કહ્યું કે, પોલીસ બ્રેથ એનાલાઈઝરનો ઉપયોગ કરીને લોકોની તપાસ કરે છે. શ્વાસ વિશ્લેષક (બ્રેથ એનાલાઈઝર) શું છે, તે માત્ર એક મશીન જ છે ને ? ક્યારેક મશીન પણ ખોટું બોલે છે, જેના કારણે નિર્દોષ લોકો પણ પકડાય છે.
દિલ્હીમાં હિન્દુસ્તાની અવામ મોરચાની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા જીતન રામ માંઝીએ કહ્યું હતું કે, પ્રતિબંધ કાયદાના કારણે અડધા લીટર કે ક્વાર્ટર દારૂ પીવાના કારણે ઘણા ગરીબ લોકો જેલમાં છે. આ ખોટું છે અને તેની સમીક્ષા થવી જોઈએ. આવા લોકોને પકડવા ન જોઈએ.
દારૂબંધીના કારણે દાણચોરો અમીર બન્યા: જીતનરામ માંઝી
જીતનરામ માંઝીએ આ સાથે ઉમેર્યું હતું કે, દારૂબંધીને કારણે દાણચોરો અમીર થઈ રહ્યા છે અને ગરીબો જેલમાં જઈ રહ્યા છે. આ ગરીબ લોકો સાથે અન્યાય છે. જીતનરામ માંઝીની પાર્ટી મહાગઠબંધન સરકારમાં સામેલ છે. તેમના પુત્ર અને HAMના રાષ્ટ્રીય અધ્યક્ષ સંતોષ કુમાર સુમન નીતીશ સરકારમાં મંત્રી છે. મહત્વનું છે કે, અગાઉની એનડીએ સરકારમાં પણ તેમણે દારૂબંધી પર સવાલ ઉઠાવ્યા હતા અને ધીમે ધીમે પીવાની હિમાયત કરતા તેમણે કહ્યું હતું કે, બે પેગ દારૂ પીવો એ ખોટું નથી. લોકો હોબાળો મચાવે છે અને પકડાઈ જાય છે જ્યારે ઉચ્ચ અધિકારીઓ રાત્રે ચૂપચાપ થોડી ચૂસકી લે છે અને સૂઈ જાય છે અને ક્યારેય પકડાતા નથી.
CM નીતિશ દારૂબંધીને લઈને સક્રિય
માંઝીએ પ્રતિબંધ પર ત્યારે સવાલ ઉઠાવ્યા જ્યારે નીતિશ કુમારે સોમવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી અને દારૂના સપ્લાયરો, દાણચોરો અને દારૂના વેચાણકર્તાઓ અને પીનારાઓ પર પ્રાથમિકતાના ધોરણે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. નીતિશ કુમારે કહ્યું છે કે, દારૂ પીનારાઓ કરતાં દારૂની હેરાફેરી અને તેના ધંધામાં સામેલ લોકોની ધરપકડ કરવી અને સજા કરવી એ અમારી પ્રાથમિકતા હોવી જોઈએ. જોકે સીએમએ પણ સ્પષ્ટ કહ્યું છે કે, દારૂ પીનારા પકડાશે તો છોડવામાં આવશે નહીં.