પાલિતાણાના તીર્થ સ્થાનોમાં થયેલી તોડફોડને લઈ વિવાદ વકર્યો છે. આજે સમગ્ર દેશના જૈન સમુદાયના આગેવાનો રેલી યોજીને વિરોધ કરશે.
પાલિતાણાના તીર્થ સ્થાનોમાં તોડફોડનો વિવાદ વકર્યો
સમગ્ર દેશના જૈન સમુદાયના આગેવાનો કરશે વિરોધ
મુંબઈ, મદ્રાસ, સુરત, વડોદરા અને અમદાવાદના જૈન આગેવાનો પહોંચશે
જૈનોના પવિત્ર તિર્થ શેત્રુંજય પર્વત પરના સુરજકુંડ ખાતે આણંદજી કલ્યાણજી પેઢીએ લગાડેલા બોર્ડ અને CCTV કેમેરાના થાંભલાને તોડફોડ કરાતા જૈન સમાજમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો છે. પાલિતાણાના તીર્થ સ્થાનમાં થયેલી તોડફોડને લઈ વિવાદ વકર્યો છે. આજે સમગ્ર દેશના જૈન સમુદાયના આગેવાનો રેલી યોજીને વિરોધ કરશે. સાથે જ મુંબઈ, મદ્રાસ, સુરત, વડોદરા અને અમદાવાદના જૈન આગેવાનો દાદા સાહેબ મંદિર ખાતે પહોંચશે. ભાવનગરનો જૈન સમાજ પણ વાહનો સાથે દાદા સાહેબ ખાતે પહોંચશે. આગામી 25 ડિસેમ્બરે અમદાવાદમાં વિશાળ રેલી યોજવામાં આવશે.
પાલિતાણા તીર્થનગરી ફરી વિવાદોના વમળમાં
પાલિતાણા સ્થિત શેત્રુંજય પર્વત પર આવેલા નિલકંઠ મહાદેવ મંદિરને લઈ અગાઉ અનશન આંદોલન થયા બાદ શરતોને આધિન સમાધાન કરવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી જૈન તીર્થનગરી પાલિતાણા ફરી વિવાદોના વમળમાં ચકરાવે ચડી છે. નિલકંઠ મહાદેવ નજીક શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા સુરજકુંડ વિસામા ખાતે બોર્ડ અને આ વિસ્તારની જગ્યામાં કોઈ ભાંગફોડ કે ધર્મ વિરુદ્ધનું કૃત્ય ન થાય તે માટે CCTV મુકવા સ્ટેન્ડ માટેના થાંભલા ઉભા કરાયા હતા. જ્યારે શિવ મંદિરના પરિસરમાં પેઢી દ્વારા લોખંડના થાંભલાઓ ઊભા કરી દબાણ કરાતું હોવાની શિવ મંદિરના મહંત દ્વારા અરજી કરવામાં આવી હતી. જોકે, આ બોર્ડ અને સીસીટીવી માટેના થાંભલા તોડી નાખવાની ઘટનાથી વિવાદ વકર્યો છે.
ગૃહ વિભાગમાં પહોંચ્યો મામલો
શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા પાલિતાણા પીઆઈને લેખિત પત્ર પાઠવી તોડફોડ કરનાર તત્ત્વો સામે ફરિયાદ દાખલ કરવા અને પોલીસ બંદોબસ્ત આપવા માંગ કરાઈ છે. પાલીતાણા ડુંગર પર તોડફોડ મામલો ગૃહ વિભાગ સુધી પહોંચ્યો હતો. ગૃહ વિભાગે સમગ્ર મામલે લીધી ગંભીર નોંધ લીધી હતી. બે દિવસ અગાઉ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી હાઈ લેવલ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં IG, SP સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.