અમદાવાદમાં ફી માફીને લઇ ગુજરાત વાલી મંડળનું સરકારને અલ્ટીમેટમ અપાયું , જો સરકાર 50 ટકા ફી માફ નહીં કરે તો, હાઇકોર્ટના દ્વાર ખખડાવશે
આ વર્ષે પણ સરકાર ફીમાં આપે રાહત
સ્કૂલ ફીમાં 50 ટકા રાહત આપવા માગ
ગુજરાત વાલી મંડળે ફીમાં રાહત આપવા કરી માગ
આ વર્ષે પણ સરકાર સ્કૂલ ફીમાં 50 ટકા રાહત આપે તેવી માગ ઓલ ગુજરાત વાલી મંડળે કરી છે. ફી માફીને લઇ ગુજરાત વાલી મંડળનું સરકારને અલ્ટીમેટમ અપાઈ ગયું છે. જો સરકાર 50 ટકા ફી માફ નહીં કરે તો, હાઇકોર્ટના દ્વાર ખખડાવશે. કોરોનાને કારણે વાલીઓની આવક બંધ હોવાનો વાલી મંડળનો દાવો છે. કોરોનામાં ધંધા રોજગાર બંધ હોવાથી વાલીઓની હાલત કફોડી થઈ હોવાનું નિવેદન અપાયું છે.
ખાનગી શાળાઓમાં ફી માફી મુદ્દે શિક્ષણમંત્રીએ યુ ટર્ન લઈ લીધો છે. રાજ્યની ખાનગી શાળાઓમાં 25 ટકા ફી માફી સમગ્ર વર્ષ દરમિયાન યથાવત રહેશે કે, કેમ તે અંગે હજુ નક્કર નિર્ણય લેવાયો નથી. ગત વર્ષે લેવાયેલા 25 ટકા ફી માફીનો નિર્ણય નવા નિર્ણય ન આવે ત્યાં સુધી જ ચાલુ રહેશે. આ અંગે નવા નિર્ણય સુધી જ 25 ટકા ફી માફી માન્ય રહેશે. તેવુ કહીને શિક્ષણમંત્રીએ નવા નિર્ણયનો અણસાર આપી દીધો છે. ઉલ્લેખનીય છે કે શાળાઓની ફી માફીને લઈને ટૂંક સમયમાં જ નવો નિર્ણય લેવાઈ શકે છે.
તો સરકારના 25 ટકા સ્કૂલ ફી માફીના યથાવત્ નિર્ણયને લઈ ખાનગી શાળાના સંચાલકો પણ નારાજ થયા છે. સરકારના આ નિર્ણયને લઇ વિરોધ દર્શાવ્યો છે. સેલ્ફ ફાયનાન્સના સ્કૂલ સંચાલકોએ પણ કોર્ટમાં જવા ચીમકી આપી છે. 25 ટકા ફી માફીની જાહેરાતમાં સંચાલકોને વિશ્વાસમાં ન લીધાનો આક્ષેપ કર્યો છે. ગુજરાત સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ મહામંડલના પ્રમુખ ભરત ગાજીપરાનો આક્ષેપ છે. ગત વર્ષે 25% ફી રાહત યોગ્ય હતી. પરંતુ આ વર્ષ સંચાલકોને પૂછ્યા વગર નિર્ણય લેવાયો હોવાની વાત ભરત ગાજીપરાએ કરી છે.
ધોરણ-10ના રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન માટે કોર્ટમાં અરજી
તો આ તરફ ઓલ ગુજરાત વાલી મંડળે ધોરણ-10ના રિપીટર વિદ્યાર્થીઓને લઈ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. વાલી મંડળના પ્રમુખે કહ્યું કે, એક માનવતાના મુદ્દે અમે વિદ્યાર્થીઓ માટે અરજી કરી છે. જો કોરોનાના કારણે જ ધો.10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું હોય તો, શું રિપીટર વિદ્યાર્થીઓને કોરોના થવાનો નથી. શા માટે સરકાર આ પ્રકારનું સાહસ કરી રહી છે. હજુ પણ 18થી નીચેના બાળકોને વેક્સિન અપાઈ નથી. આમ છતાં તેમની પરીક્ષા ગોઠવવામાં આવી છે. આ કારણે જ અમે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે.