15 દિવસ પહેલા છેડતીના કેસમાં આરોપી ઝડપાયેલા આરોપનું સુરતની લાજપોર જેલમાં મોત થતા વિવાદ, મીડિયાના પ્રશ્નો પૂછ્યા બાદ જ તંત્રએ કરાવ્યું PM
સુરતની લાજપોર જેલના કેદીનું સારવાર દરમિયાન મૃત્યુ
છેલ્લા 4 દિવસથી આરોપી હતો સારવાર હેઠળ
કેદીના પરિવારજનોનો પોલીસ ઉપર માર માર્યાનો આક્ષેપ
સુરતની લાજપોર જેલના કેદીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. છેલ્લા 4 દિવસથી આરોપી સારવાર હેઠળ હતો. તો કેદીના પરિવારજનોએ પોલીસ પર માર માર્યાનો આક્ષેપ લગાવ્યો છે. જ્યારે કેદી બીમાર હોવાનું પોલીસ રટણ કરી રહી છે. 15 દિવસ પહેલા છેડતીના કેસમાં આરોપી ઝડપાયો હતો. પરિવારે કહ્યું અમને કોઈપણ જાતની જાણ કરવામાં આવી નથી. તંત્રએ પોસ્ટમોર્ટમ કરવાનો પણ ઇનકાર કરી દીધો છે. તો પરિવારે પણ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. મીડિયા હોસ્પિટલ પહોંચતા મૃતદેહને PM માટે ખસેડાયો છે.
સમગ્ર મામલામાં કેદી પર છેડતીનો આક્ષેપ હતો. જેમાં 11 જુલાઈએ સોની ફળિયાની 7 વર્ષની બાળકીની છેડતી કર્યાનો આરોપ હતો. છેડતીની ઘટના બાદ વસંતભાઈને માર મારી પોલીસને સોંપી દીધા હતા. છેડતીના આરોપી વસંત ઠાકોરની ઉંમર 50 વર્ષની હતી. અને તેના પર આરોપ હતો કે, બાળકીને રમડાતા રમાડતા હાથ પર કિસ સાથે શારીરિક અડપલા કર્યા હતા. આ ઘટના અંગે 7 વર્ષની બાળકીએ કહ્યું કે, આ બેડ મેનર્સ છે. જે બાદ પોતાના માતા-પિતા પાસે દોડી ગઈ હતી. સમગ્ર ઘટના બાદ સોસાયટીના લોકોને વાતની જાણ થતા વૃદ્ધને ઢોર માર માર્યો હતો. અને પોલીસને સોંપી દેવાયા હતા. 11 જુલાઈની ઘટના બાદ 24 જુલાઈએ વસંતભાઈનું મોત નિપજ્યું હતું.
50 વર્ષના મૃતક વસંતભાઈની દીકરીએ જેલ તંત્ર પર આક્ષેપ કર્યા હતા. જેમાં તેણે કહ્યું કે, ગત સોમવારે હું મારા પિતાને મળવા ગઈ ત્યારે તેમની તબિયત ખરાબ હતી. તેમને બોટલ ચડાવી હતી. સાથે વ્હિલ ચેર પર મને મળવા માટે લઈ આવ્યા હતા. દીકરીએ કહ્યું કે, મારા પિતાને માર પણ મરાયો હતો. અમે ફરી તેમને મળવા આવ્યા તો, અમને પોલીસે સિવિલ હોસ્પિટલમાં જવાનું કહ્યું હતું. જ્યાં મારા પિતા મૃત હાલતમાં હતા. અમને આ અંગે અગાઉથી કોઈ જાણ કરાઈ નહોતી.