ભગવત ગીતા અભ્યાસક્રમ કમિટીની સભ્યએ શિક્ષણ વિભાગ પર કર્યા આક્ષેપો, તેમણે કહ્યું, ભગવત ગીતાને પાઠ્યક્રમમાં સામેલ કરવામાં સરકારની નક્કર ઈચ્છા શક્તિ હોય એવું અમને નથી લાગતું.
શિક્ષણ વિભાગની ઈચ્છા શક્તિમાં દેખાઈ રહી છે ખોટઃ સંજય ઠાકર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આગામી વર્ષથી BAPSનો કોર્સ ભણાવશે અને તેને લઇને પ્રોફેસર્સ માટે વર્કશોપ શરૂ કરી દેવાયા છે. ત્યારે હવે આ કોર્ષને લઈને વિવાદ સર્જાયો છે. ભગવત ગીતા અભ્યાસક્રમ કમિટીના સભ્યએ શિક્ષણ વિભાગ પર આક્ષેપ કર્યો છે.
રિપોર્ટ તૈયાર કરીને આપ્યો છતાં અભ્યાક્રમમાં નથી કરાયો સમાવેશ
ભગવત ગીતા અભ્યાસક્રમ કમિટીના સભ્ય સંજય ઠાકરે જણાવ્યું છે કે, ચાલુ સત્રમાં ભગવત ગીતાનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવાનો હતો. આ મુદ્દે સરકારે 17 માર્ચે જાહેરાત પણ કરી દીધી હતી. સરકારે અલગ-અલગ 15 તજજ્ઞોની કમિટી બનાવી હતી. આ કમિટીએ અભ્યાક્રમ સામેલ કરવા માટે રિપોર્ટ પણ તૈયાર કર્યો હતો. પરંતુ હજુ સુધી શિક્ષણ વિભાગે અભ્યાસક્રમનો સમાવેશ કર્યો નથી.
સરકારના દેખાડવાના અને ચાવવાના દાંત જૂદા છેઃ સંજય ઠાકર
સંજય ઠાકરે આક્ષેપ કર્યો કે, જો સરકારની ઈચ્છા શક્તિ હોય તો ભગવત ગીતા પાઠ્યક્રમમાં સામેલ થઈ ગઈ હોત. પણ સરકારની નક્કર ઈચ્છા શક્તિ હોય એવું અમને નથી લાગતું. સરકારે જ્યારે એક મક્કમ નિર્ણય કર્યો હોય, તો પછી એનું અમલીકરણ એ પણ તાત્કાલિક થવું જોઈએ. જે અત્યારે નથી થતું આ સરકારની ઈચ્છા શક્તિમાં મને કંઈક ખોટ દેખાઈ રહી છે.
તેઓએ ભગવત ગીતાને લઈને જણાવ્યું કે, સરકારના દેખાડવાના અને ચાવવાના દાંત જૂદા છે. કારણ કે, ગાય, ગીતા અને ગંગા આ ત્રણ હિન્દુત્વની આધારશીલા છે અને આ ત્રણ માટે થઈને નક્કર કામગીરી ન થતી હોય, ગાયો રસ્તે રજડતી હોય, ગાયોની કતલ થતી હોય, ગંગાનું કોઈ શુદ્ધિકરણ ન થતું હોય અને ભગવત ગીતાની આવી જાહેરાત છતાં હજુ એક પણ રાજ્યમાં ભગવત ગીતાના અભ્યાસક્રમનો અમલીકરણ ન થતો હોય તો પછી ગાય, ગીતા અને ગંગા આ ત્રણ હિન્દુત્વની આધારશીલા છે અને એના માટે જો નક્કર કામગીરી ન કરી શકતા હોય તો એને પોકળ જાહેરાતો સિવાય બીજુ શું કહેવું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આગામી વર્ષથી BAPSનો કોર્ષ શરૂ કરશે
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્વામિનારાયણ સંપ્રદાયની સંસ્થા એવી BAPSએ તૈયાર કરેલો કોર્સ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આગામી શૈક્ષણિક વર્ષથી ફરજિયાત કરાયો છે. આ મામલે યુનિવર્સિટીના રજીસ્ટારે એક પરિપત્ર પણ બહાર પાડ્યો છે. સોફ્ટ સ્કિલના નામે યુવાઓને વિદ્યાર્થીકાળથી જ સ્વામિનારાયણ ધર્મ શીખવવામાં આવશે. સંસ્થાએ જે વીડિયો લેક્ચર તૈયાર કર્યા છે તે સૌથી પહેલા કોલેજોના પ્રોફેસરોને શીખવવામાં આવશે અને બાદમાં પ્રોફેસરો વિદ્યાર્થીઓને શીખવશે. પ્રોફેસર માટે અત્યારથી જ વર્કશોપ શરૂ કરી દેવાયા છે.
સિલેબસના એક પુસ્તકની કિંમત રુપિયા 220
ઈન્ટિગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સમાં સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોના ઈતિહાસ, સંપ્રદાયના સંતોના ઉદાહારણો અને વક્તવ્યો છે. સાથે અલગ અલગ મહાનુભાવોના ફોટા અને ક્વોટ છે. BAPSએ તૈયાર કરેલો કોર્સ આગામી શૈક્ષણિક વર્ષથી ફરજિયાત કરાયો છે, જે બે સેમેસ્ટરનો હશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, આ કોર્સ શીખવવા માટે કોઇ લાયકાત નક્કી કરાઈ નથી. વિદ્યાર્થીઓએ આ કોર્સ માટેના પુસ્તકો બીએપીએસ સંસ્થા પાસેથી જ ખરીદવા પડશે. સિલેબસના એક પુસ્તકની કિંમત રૂપિયા 220 છે.