વેદાંતા ગ્રૂપ દ્વારા હિન્દુસ્તાન ઝીંક કંપની સ્થાપવા મુદ્દે આદિવાસી આગેવાનો અને કેબિનેટ મંત્રી ગણપત વસાવાની હાજરીમાં કલેક્ટર કચેરીએ યોજાઈ બેઠક, તાપીના સોનગઢના ડોસવાડામાં પ્લાન્ટ સ્થાપવાનો મામલો
વેદાંતા ગ્રૂપ દ્વારા હિન્દુસ્તાન ઝીંક કંપની સ્થાપવા મુદ્દે બેઠક
આદિવાસી આગેવાનો, મંત્રી ગણપત વસાવાની હાજરીમાં મિટિંગ યોજાઈ
વેદાંતા ગ્રૂપની હિન્દુસ્તાન ઝિકના પ્લાન્ટનો અગાઉ થઈ ચૂક્યો છે વિરોધ
સોનગઢનાં ડોસવાડા ખાતે વેદાંતા ગ્રૂપ દ્વારા હિન્દુસ્તાન ઝીંક કંપની સ્થાપવા મુદ્દે આજે આદિવાસી આગેવાનો સાથે રાજ્યના કેબિનેટ મંત્રી ગણપત વસાવાની હાજરીમાં કલેકટર કચેરીએ સભાખંડમાં મિટિંગ યોજાઈ હતી. તાપી જિલ્લાના સોનગઢના ડોસવાડા ખાતે આવનારા વેદાંતા ગ્રૂપની હિન્દુસ્તાન ઝિકના પ્લાન્ટની ગત 5 જુલાઈના રોજ ઝીંક કંપની મુદ્દે લોક સુનાવણી હતી. જેમાં સ્થાનિક ગ્રામજન સહિત આદિવાસી સમાજ દ્વારા લોક સુનાવણીનો સખ્ત વિરોધ કરવામાં આવ્યો હતો અને વહીવટી તંત્ર દ્વારા લોક સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી.
પરંતુ તે દરમિયાન લોકો દ્વારા હાઇ-વે જામ કરતા પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં પોલીસ પર પથ્થરમારો કરાયો હતો. તે દરમિયાન પોલીસ સહિત લોક સુનાવણીમાં આવેલા અનેક લોકો પણ ઘવાયા હતાં. તો બીજી તરફ વેદાંતા ઝીંક કંપનીનો શરૂઆતથી જ તાપી જિલ્લામાં ભારે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે આજે જિલ્લાના વિવિધ સંગઠનોના આગેવાનો સાથે મંત્રી ગણપત વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ કલેકટર પણ હાજરીમાં બેઠક મળી હતી.
જોક આગેવાનો સાથે મળેલી બેઠકમાં પણ આગેવાનોએ ઝીંક કંપનીનો સખત વિરોધ કર્યો હતો અને આદિવાસી આગેવાનો દ્વારા મંત્રી સહિત ઝીક કંપનીના અધિકારીઓને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જિલ્લાના પર્યાવરણ અને લોકોને નુકસાન પહોંચે તેવી કોઈ પણ કંપનીને જિલ્લામાં સ્થાપવામાં દેવામાં આવશે નહી. હાલ પૂરતું તો ડોસવાડા ખાતે આવનાર હિન્દુસ્તાન ઝીકના પ્લાન્ટને સ્થાપવા અંગે કોઈ નિર્ણય લેવાયો ન હતો.