મ્યુનિ. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની સફાઈની કામગીરીનું સ્તર સાવ કથળ્યું છે. રસ્તા પર કચરાના ઢગલાં સમયસર ઉપડતા નથી, અને ખુદ કર્મચારીઓ કચરાને જાહેરમાં સળગાવે છે. સિલ્વર ટ્રોલી આસપાસની ગંદકી પણ ત્રાસ ફેલાવે છે. રોડની દિવસની સફાઈમાં ભલીવાર નથી જ્યારે રાત્રી સફાઈ તો થતી જ નથી. ફક્ત દિવાળીના તહેવારો પૂરતી દેખાવ ખાતર રાત્રી સફાઈ થાય છે. શાક માર્કેટ, ખાણી-પીણીનાં બજારો, જાહેર સ્થળો પણ ગંદગીનાં ધામ બન્યાં છે. ડોર ટુ ડોરની કામગીરીમાં થતાં કૌભાંડ તો છાશવારે પ્રકાશમાં આવે છે. આમ છતાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ડાયરેક્ટર હર્ષદ સોલંકીની ફરજ પ્રત્યેની ઘોર બેદરકારીથી સમગ્ર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ પણ બેદરકાર બની ગયો છે.
'યથા રાજા તથા પ્રજા'ની જેમ આ વિભાગની સાવ કંગાળ કામગીરીથી શહેરીજનો ત્રસ્ત છે. આપણું શહેર ભલે કેન્દ્રનાં સ્વચ્છ સર્વેક્ષણમાં સારા ક્રમાંક લાવતું હોય, પરંતુ તેમાં પણ 'સેટિંગ' જ મુખ્ય ભાગ ભજવે છે તે બાબતથી સૌ અમદાવાદીઓ સારી વાકેફ છે અને લોકો મનોમન આખા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં 'ટોપથી બોટમ' ફેરફાર થાય તેવું ઇચ્છે છે.
કેન્દ્રનાં સ્વચ્છ સર્વેક્ષણ અભિયાનના કારણે મ્યુનિ. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગને હેલ્થ વિભાગમાંથી વધારાના પબ્લિક હેલ્થ સુપરવાઇઝર, સેનિટરી ઇન્સ્પેક્ટર વગેરે મળતાં તેમાં સ્ટાફની કોઈ અછત નથી. ઉપરી અધિકારીઓની પણ નવી નવી જગ્યા ઊભી કરીને તેમાં ભરતી થઈ છે. સ્વચ્છ સર્વેક્ષણ અભિયાનના ઓઠા હેઠળ આજે ફક્ત મેનપાવર જ નહીં, પરંતુ મ્યુનિ. બજેટની ફાળવણીના મામલે પણ ખાસ્સો એવો મની પાવર ધરાવતો આ વિભાગ બન્યો છે. તેમાંય આ વિભાગના ડાયરેક્ટર હર્ષદ સોલંકી તો જાણે કે અદ્ધર જ ઊડી રહ્યા છે.
'મિમ' જેવા વિપક્ષના નેતાને પણ હર્ષદ સોલંકી ગાંઠતા નથી. તે તો જમાલપુરના ઉદ્ધતકાંડથી પુરવાર થઈ ચૂક્યું છે, પરંતુ તેઓ તો શાસક ભાજપના નેતાઓ- કોર્પોરેટરોને પણ ભાજી મૂળા જેવા સમજે છે. મ્યુનિ. હેલ્થ કમિટી જેવી જવાબદાર કમિટીમાં તો શાસક પક્ષના સભ્યો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની નબળી કામગીરી અંગે રજૂઆત કરે તો પણ હર્ષદ સોલંકીને કોઈ ફરક પડતો નથી.
4 ઓગસ્ટે એટલે કે લગભગ એક મહિના પહેલાં મળેલી હેલ્થ કમિટીમાં ભાજપનાં મહિલા સભ્ય વૈશાલી જોશીએ શાક માર્કેટોની ગંદકીના મામલે ઉગ્ર રજૂઆતો કરી હતી. તેમણે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના હર્ષદ સોલંકી સહિતના સંબંધિત અધિકારીઓને એવો પ્રશ્ન પૂછ્યો હતો કે, ''શહેરમાં જે સ્થળોએ શાક માર્કેટ ભરાય છે ત્યાં સાફ સફાઈ કેમ કરાવતા નથી? શાક માર્કેટનાં સડેલાં શાક ભાજી અને ફળફળાદિનો કચરો ત્યાં કેમ પડ્યો રહીને ગંદકી ફેલાવે છે? આનાથી રખડતાં ઢોર અને કૂતરાંને ગંદકી ફેલાવવાનું મોકળું મેદાન કેમ આપો છો?'' જોકે તે વખતે તો અધિકારીઓએ કમિટીમાં ઠાલાં આશ્વાસન આપ્યાં હતાં.
જોકે ગઈકાલે મળેલી હેલ્થ કમિટીમાં પણ શાક માર્કેટની ગંદકીનો મામલો ફરી ઊઠતાં હર્ષદ સોલંકીની ગંભીર બેદરકારી ખુલ્લી પડી હતી. જો એક મહિના બાદ પણ શાક માર્કેટો ગંદાં-ગોબરાં જ હોય અને શાસકોને ફરી ફરીને રજૂઆતો કરવી પડે તો તેનો મતલબ સાફ છે કે હર્ષદ સોલંકી કોઈને પણ ગાંઠતાં નથી.