બન્ની ગજેરાએ અગાઉ સોશિયલ મીડિયામાં ભાજપ નેતાઓ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરી હતી
સુરતમાં બન્ની ગજેરાના ભાજપ પ્રવેશ પર વિવાદ
સોશિયલ મીડિયામાં ભારે આક્રોશ
ભાજપના કાર્યકરો પૂછી રહ્યા છે તીખા સવાલો
વિધાનસભા ચૂંટણી માટે દરેક પાર્ટી પોત પોતાના સોગઠા ગોઠવી રહી છે. કોઈ ભાજપમાંથી AAPમાં તો કોઈના AAPમાંથી ભાજપનો ખેસ ધારણ કરી રહ્યા છે. પણ સમગ્ર ફેરબદલીમાં બન્ની ગજેરા નામના સામાજિક કાર્યકરની ભાજપમાં એન્ટ્રીથી ભાજપમાં જ ભડકો થયો છે.
સુરતમાં પાર્ટીના એક કાર્યક્રમ દરમિયાન પ્રદીપસિહ વાઘેલા દ્વારા બન્ની ગજેરાને ભાજપનો ખેસ પહેરાવી ભાજપમાં સ્વાગત કરવામાં આવ્યું હતું જે બાદ સોશિયલ મીડિયામાં બન્ની ગજેરાના ભાજપ પ્રવેશનો ફોટો મૂકવામાં આવતા ભાજપ કાર્યકરોએ સોશિયલ મીડિયા પર ભાજપના આ નિર્ણય સામે બળાપો ઠાલવ્યો હતો અને કોમેન્ટમાં લખ્યું હતું કે ભાજપનો સડેચોક વિરોધ કરનારા આવારા તત્વોનો ભાજપમાં પ્રવેશ કેમ?
બન્ની ગજેરાએ ભાજપ નેતાઓ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરી હતી
ભાજપનો ખેસ ધારણ કરવાથી બન્ની ગજેરાનો વિરોધ કેમ થઈ રહ્યો છે તેનું એક માત્ર કારણ છે બન્ની ગજેરાનો ભૂતકાળ.. બન્ની ગજેરા જ્યારે સામાજિક વર્કર તરીકે કામ કરતા હતા ત્યારે અવારનવાર ભાજપના મોટા નેતાઓને ટાર્ગેટ કરી તેમના વિશે અભદ્ર ટિપ્પણી કરતાં હોવાનો આરોપ ભાજપ કાર્યકરો દ્વારા લગાવવામાં આવી રહ્યો છે ત્યારે સોશિયલ મીડિયામાં ભાજપના કાર્યકરો તીખા સવાલો કરી બન્ની ગજેરાનો વિરોધ કરી રહ્યા છે. અને સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરી કહી રહ્યા છે કે ગુજરાતમાં જેની કોઈ વેલ્યૂ નથી તેને કેમ સન્માન આપી ભાજપમાં ભેળવાયા?
અન્ય એક ભાજપના કાર્યકરે પોસ્ટમાં કોમેન્ટ કરી હતી કે જે રૂપાણી અને પાટીલ વિષે જેમ તેમ બોલી શકતો હોય તેનું પાર્ટીમાં શું કામ છે? ત્યારે આગામી દિવસોમાં બન્ની ગજેરાનો ભાજપ પ્રવેશ અનેક કાર્યકર્તાઑનું વિરોધનું કારણ બની શકે છે. આમ તો પાર્ટીના નિર્ણયને ભાજપ કાર્યકર્તા શિસ્ત બદ્ધ રીતે પાલન કરતાં જોવા મળે છે પરંતુ બન્ની ગજેરાએ ભૂતકાળમાં કરેલા ભાજપ સામેના સ્ફોટક નિવેદનના વિરોધ રૂપે કાર્યકર્તા સોશિયલ મીડિયામાં આ નિર્ણયની મજાક ઉડાવી રહ્યા છે ત્યારે આગામી સમયમાં સુરત ભાજપમાં મોટાપાયે ભડકો થાય તો નવાઈની વાત નહીં.