વર્ષો પહેલા - 'નામમાં શું રાખ્યું છે?' આ સાહિત્ય પંક્તિ પ્રચલિત બની હતી. પરંતુ હવે ગોધરામાં -'તારીખમાં શું રાખ્યું છે?' આ સવાલ સાથે વિવાદ ઊભો થયો છે. કેમકે સત્તાપક્ષનું માનવું છે ગોધરા સો વર્ષનું થયું. તો વિપક્ષનું માનવું છે કે ગોધરા 144 વર્ષનું થયું. જેને કારણે ગોધરા નગરની જન્મતારીખને લઈને શાસક અને વિપક્ષ વચ્ચે ગજગ્રાહ શરૂ થયો છે. ગોધરાની જનતાને લાગે છે કે તારીખમાં શું રાખ્યુ છે! પરંતુ શાસકો અને વિપક્ષોને તારીખ સાથે ઘણો નિસબત છે. ગોધરાનગર પાલિકામાં તારીખને લઈને કેમ વિવાદ સર્જાયો છે.
એક તારીખે સર્જ્યો વિવાદ
પાલિકાની ઉંમર પર ઊભો થયો ગજગ્રાહ
સુવર્ણ જયંતી પહેલા વિવાદનો વંટોળ
તારીખ પર વિવાદ
આ છે પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક ગોધરા. જિલ્લાની સૌથી મોટી નગરપાલિકા પણ ગોધરા શહેરમાં જ આવેલી છે. એક લાખ છવ્વીસ હજાર જેટલી વસ્તી ધરાવતા ગોધરા શહેરની નગરપાલિકા શહેરના નાગરિકોને તો જન્મ અને મરણના પ્રમાણપત્ર આપે છે. પરંતુ અત્યારે ખુદ નગરપાલિકાને જ પોતાના જન્મનું પ્રમાણપત્ર મેળવવા માટે સત્તાપક્ષ અને વિપક્ષના ગજગ્રાહમાંથી પસાર થવું પડી રહ્યું છે. કેમકે ગોધરા નગરપાલિકાના સત્તાધીશો દ્વારા એક એવો પરિપત્ર સર્ક્યુલેટ કરવામાં આવ્યો છે કે વર્ષ-209માં ડિસેમ્બર માસમાં ગોધરા નગરપાલિકાને 100 વર્ષ પૂર્ણ થાય છે અને તેને લઈને ગોધરા નગરપાલિકા દ્વારા સુવર્ણ જયંતી ઉજવવામાં આવશે. જેના માટે વિવિધ કાર્યક્રમો અને 100 વર્ષ પૂર્ણ થવાની યાદગીરીમાં ગોધરા શહેરમાં વિકાસના કાર્યો પણ કરવામાં આવશે. આ કાર્યક્રમો માટે રાજ્ય સરકાર પાસે પાલિકા દ્વારા ગ્રાન્ટ મેળવવા માટેની દરખાસ્ત કરવા માટે પાલિકાની સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવ્યો. આ ઠરાવ જ હાલ વિવાદનું કેન્દ્ર બની ગયો છે. કેમ કે વિપક્ષ માને છે કે ગોધરાનગર પાલિકાનું સ્થાપના વર્ષ 1919 નહીં પરંતુ 1875 છે. એ હિસાબે ગોધરાનગર પાલિકાની સુવર્ણ જયંતી નહીં પરંતુ 144 વર્ષની ઉજવણી થવી જોઈએ.
વર્ષ-1919માં ગોધરા નગરપાલિકાની પાકી ઈમારત ચણવામાં આવી હતી
ગોધરા નગરપાલિકાના સ્થાપના વર્ષને લઈને ઊભા થયેલા વિવાદના સાચા ઉકેલ માટે ઈતિહાસની તવારિખ પર પણ નજર નાખવી પડશે. થોડા ભૂતકાળ પર નજર કરીએ તો ગુજરાત નગરપાલિકા પરિષદના ગોધરા ખાતે મળેલા 16માં અધિવેશન વખતે ગોધરા નગરપાલિકા દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા `સ્મરણિકા' નામના પુસ્તક તેમજ ઈ ગવર્નન્સ પરિયોજના અંતર્ગત નાગરિક સુવિધા કેન્દ્રના શુભારંભ પ્રસંગે ગોધરા નગરપાલિકા દ્વારા વર્ષ 2004માં પ્રકાશિત કરવામાં આવેલ 'શતદલ' નામના પુસ્તકમાં ગોધરા નગરપાલિકાની સ્થાપના ઈ.સ. 1875માં કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં ગોધરાના મુસ્લિમ સમાજના અગ્રણી દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા 'ગોધરા ઇતિહાસના અરીસામાં' નામના પુસ્તકમાં પણ ગોધરા નગરપાલિકાની સ્થાપના ઈ.સ.1875માં કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ તેમાં એ પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઈ.સ.1875માં ગોધરા નગરપાલિકાની સ્થાપના કરવામાં આવી હતી.
વર્ષ 2019માં પાલિકાના 100 વર્ષ પૂર્ણ થયાનું માનીને સુવર્ણ જયંતી ઉજવવા જઈ રહ્યા છે
શરૂઆતના વર્ષમાં પાલિકાની ઓફિસ હાલ જે જગ્યાએ નગરપાલિકાનું બિલ્ડીંગ છે એની બાજુમાં આવેલ સ્ટુઅર્ટ લાયબ્રેરીની બાજુમાં કાચા મકાનમાં શરૂ કરવામાં આવી હતી. બાદમાં ઈ.સ. 1919માં ગોધરા નગરપાલિકાની પાકી ઈમારત બનવવામાં આવી હતી. ઈ.સ.1992માં તેનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. ત્યારે હાલના પાલિકાના સત્તાધીશો દ્વારા ઈ.સ.1919માં ગોધરા નગરપાલિકાની પાકી ઈમારત ચણવામાં આવી હતી. તે તારીખને પાલિકાની સ્થાપના તારીખ સમજીને વર્ષ 2019માં પાલિકાના 100 વર્ષ પૂર્ણ થતા હોવાનું માનીને સુવર્ણ જયંતી ઉજવવા જઈ રહ્યા છે જે ખોટું હોવાનું અને ગોધરાના નાગરિકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા હોવાનું વિપક્ષ દ્વારા આક્ષેપ કારવામાં આવી રહ્યો છે.
વિપક્ષનો આક્ષેપ છે કે શાસક પક્ષ કે ઉજવણીના નામે કરોડો રૂપિયાની વિકાસ ગ્રાન્ટ મેળવીને ભ્રષ્ટાચાર આચરવાનો કારસો ઘડી રહી છે. પરંતુ શાસક પક્ષ પોતાના આયોજનમાં મક્કમ છે તેઓ ગોધરાનગર પાલિકાના સ્થાપના વર્ષના દાવાના સમર્થનમાં જૂના બિલ્ડિંગ પર લખાયેલી તારીખ અને નગરપાલિકાના રિટાયર્ડ કર્મચારીઓના નિવેદનોને ટાંકી રહ્યા છે.
સાચું કોણ?
જો કે વિપક્ષ દ્વારા એવી પણ માગણી કરવામાં આવી રહી છે કે પાલિકાની ઉંમર શાસકો માને છે તે કરતાં પણ વધારે છે. વિપક્ષ ગોધરા નગર પાલિકાની ઉંમર 144 વર્ષ હોવાની માને છે. તે માટે નગરપાલિકાની સ્થાપનાની ઉજવણી પણ 144મું વર્ષ ગણીને કરવામાં આવે તો વર્ષની સંખ્યા પ્રમાણે વધારે ગ્રાન્ટ મળે તેવું માની રહ્યા છે. ત્યારે હવે તારીખમાં શું રાખ્યું છે? એ સવાલનો જવાબ એ છે કે તારીખમાં ગ્રાન્ટની અપેક્ષા રાખેલી છે.