રાજકોટના જૂથવાદ મુદ્દે ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે નિવેદન આપતા કહ્યું કે જે હોય તે શોર્ટ આઉટ કરી દેવાશે હાલ તો...
રાજકોટમાં સ્નેહમિલનમાં જ થઇ માથાકૂટ?
ભાજપના સ્નેહમિલનમાં બબાલ થઇ!
પૂર્વ CM રૂપાણી અને MLA ગોવિંદ પટેલ વચ્ચે બોલાચાલી
ભાજપનું ગુજરાતનું માળખું હોય કે કેન્દ્રનું તેની એક જ ઓળખાણ છે શિસ્ત બધ્ધ પાર્ટી પણ ગુજરાતમાં હમણાં ઘણા સમયથી નેતાઓ વચ્ચે આંતરિક ખટરાગ હોવાના બનાવો જાહેરમાં છતાં થયા છે. રાજકોટમાં પણ કઈક આવું જ બન્યું. ગઇકાલે સ્નેહમિલન કાર્યક્રમમાં આમંત્રણ મુદ્દે સાંસદ રામ મોકરિયા અને MLA ગોવિંદ પટેલ અને વિજય રૂપાણીએ જાહેરમાં સ્ટેજ પર એકબીજા વિરુધ્ધ ચર્ચા કરતાં હોવાનો વીડિયો વાયરલ થતા અનેક તર્ક વિતર્કે જોર પકડયું છે. ભાજપમાં સબ સલામતના દાવા વચ્ચે એક સપ્તાહમાં 2 સ્નેહ મિલન યોજાતા આંતરિક જૂથબંધી પરાકાષ્ટા સામે આવી છે.
પૂર્વ CM વિજય રૂપાણીએ ગોવિદ પટેલ કર્યો સવાલ, રામ મોકરિયાએ રોકડું પરખાવ્યું
શહેર ભાજપ સ્નેહમિલનમાં મંચ પરના બોલાચાલી બાદ વિવાદ થયો છે. સ્નેહ મિલન કાર્યક્રમમાં આમંત્રણ મુદ્દે વિવાદ થયો હોય તેવું લાગી રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પૂર્વ CM વિજય રૂપાણીએ MLA ગોવિંદ પટેલને બોલાવીને આમંત્રણ પત્રિકાને લઈ સવાલ કર્યા હતા, આ દરમિયાન બન્ને વચ્ચે બોલાચાલી થઈ. ત્યાર બાદ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા વચ્ચે કુદયા હતા. રામ મોકરિયાને પૂર્વ CM વિજય રૂપાણીએ કહ્યું કે, તમે બેસી જાઓ, તમારી સાથે વાત કરતો નથી. તેના પર રામ મોકરિયાએ કહ્યું કે, હું પણ તમારી સાથે વાત નથી કરતો, ગોવિંદ પટેલ સાથે વાત કરું છું. થોડીક્ષણ માટે સ્ટેજ પર શિસ્ત ભૂલી નેતાઓ વચ્ચે તનાતણી સર્જાઇ હતી.
તો બીજી તરફ ગોવિંદ પટેલે આ મુદ્દાને લઈ સ્પષ્ટતા કરી હતી કે હું તો દિવાળીની શુભેચ્છા પાઠવવા ગયો હતો, પણ ચહેરાના હાવભાવ અને સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આમંત્રણને લઈ રકાસ થઈ હોય એવું લાગી રહ્યું છે. સિનિયર નેતા વજુભાઈ વાળાની પણ હાજરી ન દેખાતા રાજકોટનું રાજકારણ ચકડોળે ચડ્યું છે
20 નવેમ્બરે યોજનાર સ્નેહમિલન કાર્યક્રમ રદના સંકેત
મહત્વનું છે કે, ભાજપમાં સ્નેહમિલન પણ અલગ-અલગ આયોજન કરાયા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.. પ્રથમ સ્નેહમિલનમાં સાંસદ રામ મોકરિયા અને MLA ગોવિંદ પટેલના નામ ન હતા.. જ્યારે પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં 20 નવેમ્બરે યોજાવા જઈ રહેલા સ્નેહમિલન કાર્યક્રમમાં પૂર્વ CMની બાદબાકી કરાઈ હોવાનું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. ચાર દિવસમાં બીજી વખત સ્નેહમિલન કાર્યક્રમ કરવા પડે તેવી સ્થિતિ ઊભી થતાં ભાજપનો ખટરાગ જાહેરમાં બહાર આવ્યો છે. ત્યારે હવે 20 નવેમ્બરે યોજનાર સ્નેહમિલન કાર્યક્રમ રદ થવાના વરતારા છે.
ખટરાગ મુદ્દે સી આર પાટીલે શું આપ્યા આદેશ
રાજકોટના જૂથવાદ મુદ્દે ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે નિવેદન આપતા કહ્યું છે કે કોઇ પણ જગ્યાએ કોઇ જૂથવાદ નથી, જે પણ છે તે વ્યક્તિગત મુદ્દા હશે, તમામ પ્રશ્નોને શોર્ટ આઉટ કરવામાં આવશે સાથે જ કોઇપણ ટિપ્પણી કોઇની સામે ન કરે તેવી સૂચના આપી દેવામાં આવી છે.