વલસાડથી સુરત સુધી કચરાના ટેમ્પોમાં વેન્ટેલટર સિસ્ટમ લઈ જવાતા વિવાદ, જે બાદ વલસાડ કલેક્ટર આર.આર.રાવલે આપ્યા તપાસના આદેશ
વલસાડથી સુરત આવેલા વેન્ટિલેટરનો મામલો
સુરત SMCના કચરા ટ્રકમાં લઇ જવાયા હતા વેન્ટિલેટર
વલસાડ કલેક્ટર આર.આર.રાવલે આપ્યા તપાસના આદેશ
સુરત શહેરમાં વધતા કોરોનાના કેસને લઈને તંત્ર હરકતમાં આવી ગયું છે. તો બીજી તરફ વલસાડથી સુરત સુધી કચરાના ટેમ્પોમાં વેન્ટેલટર સિસ્ટમ લઈ જવાતા વિવાદ ઉભો થયો છે. વિવાદ વકરતા વલસાડ કલેક્ટર આર.આર.રાવલે તપાસના આદેશ આપ્યા છે. SMCના કચરા ટ્રકમાં વેન્ટિલેટર લઇ જવાયા તેને લઇને સિવિલ સુપરિટેન્ડેન્ટ પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે. સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં કચરાના ટેમ્પોમાં વેન્ટેલટર લઈ જવાયા હતાં.
સુરતમાં કોરોનાના વધતા કેસ સાથે ઓક્સિજનની પણ જરૂરીયાત વધી
સુરતમાં કોરોનાના કેસોની સાથે સારવારમાં પણ તકલીફ ઉભી થઈ રહી છે. કોરોનાના કેસમાં ICUના દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. છેલ્લા કેટલાક સમયમાં 6 હજાર જેટલા ઓક્સિજન સિલિન્ડરની સપ્લાઈ સુરતની સિવિલ હોસ્પિટલમાં થયા છે. આ સાથે ઓક્સિજનની માગ પણ વધી છે. આશરે ઓક્સિજનની માગ 200 ટન જેટલી છે.
સુરતમાં કોરોનાના કેસની સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો હોવાનું સામે આવ્યું છે. VTVએ કરેલી તપાસમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. સુરતના અશ્વિની કુમાર સ્મશાન ખાતે આજે કોવિડની ગાઇડલાઇન પ્રમાણે અત્યાર સુધીમાં 20 મૃતદેહો લાવવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કાર માટે લાઈનો લાગવા છતાં તંત્ર સાચા આંકડા છુપાવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સુરત મહાનગર પાલિકાએ ગતરોજની યાદીમાં ગરબડ કર્યાનો આક્ષેપ કરાયો છે. આજે સ્મીમેર હોસ્પિટલમાં 6 કોરોના પોઝિટિવ દર્દીઓના મૃત્યુ થયા છે. પરંતુ પ્રશાસન કેટલા મોત દર્શાવે છે તેના પરથી સાચી હકીકત સામે આવશે. જો કે કોરોનાના મૃતકોના આંકડા સામે અનેક સવાલો ઉભા થયા છે.
આવતીકાલથી સુરત માંડવી નગરમાં સ્વૈચ્છીક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. 15 એપ્રિલ સુધી લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. સવારે 8 થી બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લી દુકાનો રહેશે. કોરોનાના વધી રહેલા સંક્રમણને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જયારે આવશ્યક સેવાઓ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવશે.