ગુજરાતના બે જાણીતા લોક કલાકાર બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે શાબ્દિક યુદ્ધ વાયરલ થયું છે. લોક ડાયરામાં બ્રિજરાજદાન ગઢવીએ માફીની વાત કરતા દેવાયત ખવડે વળતો જવાબ આપ્યો છે.
બે કલાકારોનું શાબ્દિક યુદ્ધ વાયરલ
લોક કલાકારોનો હોંકાર, ડાયરામાં પડકાર
દેવાયત ખાવડે બ્રિજરાજદાનને આપ્યો વળતો જવાબ
રૂપલ માં જન્મોત્સવ તથા જન્માષ્ટમી નિમિતે યોજાયેલ ભવ્ય લોકડાયરામાં ગુજરાતના જાણીતા લોક કલાકાર બ્રિજરાજદાન ઈશરદાન ગઢવીએ નામ લીધા વિના દેવાયત ખવડ પર આકરા પ્રહારો કર્યા હતા. કાર્યક્રમમાં જોશમાં આવીને બ્રિજરાજદાન ગઢવીએ હજારો લોકોની વચ્ચે કહ્યું હતું કે, 'રૂપલ આઈની સાક્ષીમાં કહું છું કે જે દિવસે આ બ્રિજરાજદાનને માફીનો વીડિયો બનાવવો પડે તે દિવસથી બ્રિજરાજદાન ક્યારેય સ્ટેજ પર નહીં ચઢે, હું ઈશરદાનનું લોહી છું સાહેબ.'
કેટલાક લોકો સ્ટેજ પર મર્દાનગીની વાતો કરીને પછી માફી માગી લે છેઃ બ્રિજરાજદાન
આ તકે તેમણે કહ્યું હતું કે, 'એ તો પોતાને જ ખબર હોવી જોઈએ કે શું આપણે બોલીએ છીએ. કેટલાક લોકો સ્ટેજ પર મર્દાનગીની વાતો કરે છે અને પછી નીચે ઉતરીને માફી માંગી લે છે.'
લોકો મોઢામાં આંગળા નાખીને બોલાવે છેઃ દેવાયત ખવડ
જે બાદ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કોઠ ગામે આવેલા ગણપતિ મંદિર ખાતે ગત શનિવારના રોજ લોકડાયરો યોજાયો હતો. જેમાં દેવાયત ખવડ, અલ્પા પટેલ, દીગુભા ચુડાસમા અને સાગદાન ગઢવીએ ડાયરાની રમઝટ બોલાવી હતી. આ તકે લોકસાહિત્યકાર દેવાયત ખવડે બ્રિજરાજદાનની વાતનો વળતો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, 'મર્દાનગી અને લોહીના પૂરાવા ન આપવાના હોય. કોનું લોહી છે એના પૂરાવા તો માયકાંગલાઓ હોય એને આપવા પડે. લોકો મોઢામાં આંગળા નાખીને બોલાવે છે એટલે જીભ લપસી જાય'
આ પહેલા પણ વિવાદમાં આવી ચૂક્યા છે દેવાયત ખવડ
આપને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી બન્યું કે લોકસાહિત્યકાર દેવાયત ખવડ વિવાદમાં સપડાયા હોય. આ પહેલા પણ રાજપૂત અને આહિર સમાજની લાગણી દુભાયાની બે ઘટનામાં ખાવડ પર ગુસ્સો હતો. જે બાદ તેમણે માફી માગતો વીડિયો પણ જાહેર કર્યો હતો. આ પહેલા પણ ટિકટોક સ્ટાર કિર્તી પટેલ અને ખવડ વચ્ચે સોશિયલ મીડિયાનો જંગ દરેક ગુજરાતી સોશિયલ મીડિયા યુઝર સુધી પહોંચ્યો હતો. ત્યારે પણ બેફામ વાણીવિલાસ થયો હતો અંતે બંને પક્ષે સુખદ સમાધાન થયું હતું