છેલ્લાં ઘણાં સમયથી સહકારી ક્ષેત્ર અને વિવાદ બન્ને એકબીજાનાં પર્યાય બની ગયાં છે. ત્યારે સુરત ખાતેની સુમુલ ડેરીનો વિવાદ પણ હવે વકરતો જાય છે. સુમુલ પર ચડેલા દેવાનાં ભારણને લઈને સુમુલનાં એમ.ડી અને ડાયરેક્ટર વચ્ચે વિખવાદ વધી રહ્યો છે. આક્ષેપો અને બચાવનાં આ દ્વંદ્વયુદ્ધ માટે કેવી છે સુમૂલની સ્થિતિ જોઈએ આ અહેવાલમાં.
રાજ્યમાં સહકારી ક્ષેત્ર જાણે વિવાદનું પર્યાય બની રહ્યું છે. ત્યારે તેમાં સુરત ખાતેની સુમુલ ડેરીનો વિવાદ ફરી પાછો સપાટી પર આવ્યો છે. સુરત ખાતે છેલ્લાં 30 વર્ષથી કાર્યરત સુમુલ ડેરી છેલ્લાં ચાર વર્ષથી 1 હજાર કરોડનાં દેવામાં હોવાનો આક્ષેપ સુમૂલનાં એક ડાયરેક્ટર જયેશ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. તેમનાં આક્ષેપ મુજબ જ્યારથી નવું શાસન સુમુલમાં આવ્યું છે ત્યારથી વહીવટી અણઆવડતને કારણે ડેરી ઉદ્યોગ ફડચામાં જઇ રહ્યો છે.
એટલું જ નહીં, સુમુલ 1 હજાર કરોડનાં દેવાં સામે દૈનિક 30 લાખ રૂપિયા વ્યાજ ચૂકવી રહી છે. જો કે, સુરતની સુમુલ ડેરીનાં વહીવટીતંત્ર પર જે આક્ષેપ લગાવવામાં આવ્યાં છે એ આક્ષેપને સુરત સુમુલ દ્વારા નકારી કાઢવામાં આવ્યાં છે. સુરત સુમુલનાં કહેવાં પ્રમાણે આ તમામ આરોપો પાયાવિહોણા છે અને સુમુલનાં દેવાની વાત તો દૂર રહી સુમુલ પાસે પડેલાં સ્ટોકની સામે સુમુલે પોતે લોન લીધેલી છે.
સુમુલનાં વિવાદનું કારણ માત્ર લોન જ નથી. ભારે વ્યાજ ચૂકવવાને કારણે પશુપાલકોને દૂધનાં ભાવ વધુ નથી મળી રહ્યાં. આ ઉપરાંત છેલ્લાં કેટલાંય સમયથી દૂધનાં ભાવો જે પશુપાલકોને ચૂકવવામાં આવે છે તે ભાવોમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. ઉપરાંત ગ્રાહકો સુધી આ દૂધ જે પહોંચે છે તે બીજા શહેરો કરતાં વધુ ભાવે વેચવામાં આવે છે આ પ્રકારનાં આક્ષેપો સુમુલ ડાયરેક્ટર દ્વારા કરવામાં આવી રહ્યાં છે. તો તેની સામે પશુપાલકોને આપવામાં આવતા ભાવ બાબતે પણ સુમુલ એમ.ડી. દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે તેમનું કહેવું છે કે દૂઘની આવક વધુ હોય તે સમયમાં ખરેખર ભાવ ઓછાં થાય છે.
સુરત સુમુલમાં હાલ ચાલી રહેલાં આક્ષેપ સામે સુમુલ દ્વારા ખુલાસા કરવામાં આવ્યાં છે પરંતુ સુમુલની વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ કાઢવો હાલ મુશ્કેલ છે. પરંતુ જો ડાયરેક્ટર કક્ષાનાં વ્યક્તિ જો આક્ષેપ લગાવે તો આ આક્ષેપો ખરેખર પાયાવિહોણા હોય કે કેમ તે તો મંડળીનાં સભાસદો જ નક્કી કરી શકે.