ભાવનગરમાં તેમના જ મત વિસ્તારમાં આવેલી સરકારી શાળાઓની ખંડેર હાલત છે માટે શિક્ષણમંત્રીના નિવેદન પ્રમાણે ત્યાંના લોકોને જ અન્ય રાજ્યમાં જવું પડે તેવી સ્થિતિ છે
રાજ્યના શિક્ષણ મુદ્દે વાઘાણીનું નિવેદન
જેમને અહીં ન ફાવતું હોય તે બીજે જાય-વાઘાણી
જે રાજ્યમાં જઈને ભણવું હોય ભણે-વાઘાણી
ગુજરાતનું શિક્ષણ છેલ્લા ઘણા સમયથી રાજકારણની અડફેટે ચડ્યું છે. કારણ એક જ છે ગુજરાત વિધાનસભાની આવનારી ચૂંટણી. AAP હોય કોંગ્રેસ હોય કે પછી ભાજપ શિક્ષણ વ્યવસ્થાના સુધારા પર નહીં, પણ અમે આમ કર્યું અને તમે ન કર્યુંની રાજનીતિ થઈ રહી છે. તેવામાં આજે શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા વિવાદાસ્પદ નિવેદન અપાયું છે. રાજ્યની શિક્ષણ વ્યવસ્થા પર શિક્ષણમંત્રીને ભરોસો ન હોય તેમ જાહેર કાર્યક્રમમાં તેઓ દમખમ સાથે કહી રહ્યા છે કે ગુજરાતનું શિક્ષણ સારું ન લાગે તેને જે રાજ્યમાં જવું હોય ત્યાં જઈ શકે છે. આ નિવેદન પાછળનો હેતુ શું? રાજકારણમાં સરકારમાં બેઠા હોય ત્યારે વિપક્ષ હોય કે જનતા સવાલ તો કરવાની પણ એમાં ગુજરાત છોડી દેવાની વાત પચે તેમ નથી.
આ નિવેદન ભલે શિક્ષણમંત્રીએ કટાક્ષના રૂપમાં આપ્યું હોય પણ જો આ વાતને મતદાતાઓ ગંભીરતાથી લઈ લે તો તો તેમનો મતવિસ્તાર જ ખાલી થઈ જાય. કારણ કે તેમના જ મત વિસ્તારમાં આવેલી સરકારી શાળાઓની ખંડેર હાલત જોઇ ત્યાંના જ લોકોને શિક્ષણમંત્રીના નિવેદન મુજબ અન્ય રાજ્યમાં ભણવા જવું પડે તેમ છે. તો પછી મતવિસ્તારમાં મત આપવા માટે રહેશે કોણ? એટલે ગુજરાતીઓ પોતાની માતૃભૂમિ છોડીને શું કામ બીજા રાજ્યમાં જાય... કારણ કે શિક્ષણ સ્તર સુધારવા માટે તો લોકોએ મત આપ્યા છે એટલે આશા રાખીએ કે આવા નિવેદનોને બદલે જમીની સ્તર પર કામ કરી શિક્ષણને સુધારે જેથી કોઈ ગુજરાતીને તેનું ગુજરાત છોડવાનો વારો ન આવે. કારણ કે ભાવનગર મનપા શાળાની હાલતનો આ વીડિયો જોઈને તમે જ કહેશો નિવેદન કરતા નિવારણની જરૂર છે. વાત રહી વિપક્ષને કટાક્ષ કરવાની તો એમના ટોણાનો જવાબ શિક્ષણના સ્તરને ટકોરા જેવું કરીને પણ આપી શકાય.
ભાવનગર મનપા સંચાલિત શાળાઓમાં 25000 વિદ્યાર્થીઓનો જીવના જોખમે અભ્યાસ
ભાવનગર એટલે રાજ્યના શિક્ષણમંત્રી જિતું વાઘાણીનું ગામ છે અને તેમાંય પશ્ચિમ વિસ્તાર એટલે તો તેમનો મત વિસ્તાર છે. જોઈ લો ભાવનગરમાં મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓની દયનીય હાલત. ભાવનગર મહાનગરપાલિકામાં 55 જેટલી પ્રાથમિક શાળા છે. જેમાં 13 વોર્ડમાં આવેલી શાળાઓમાં 25 હજાર વિદ્યાર્થીઓ જર્જરીત અને ખખડધજ શાળાની બિલ્ડિંગમાં અભ્યાસ કરી રહ્યા છે. તો આ તરફ કુંભારવાડાની શાળા નંબર 1 અને 2 તેમજ હાદાનગરની શાળા નંબર 62માં છતના પોપડા તૂટી ગયા છે.. પિલરમાં સ્લેબના સળીયા દેખાઈ રહ્યા છે. ભણે ગુજરાતના નારા વચ્ચે જીવના જોખમે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. સ્થાનિકો અને વાલીઓ આરોપ કરી રહ્યા છે કે 2019થી મહાનગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છતાં કોઈ ધ્યાન આપવામાં આવતુંનથી , ગ્રાન્ટ આવીને પડી છે પણ અધિકારીઓ ઘોર નિદ્રામાં છે. મનપા કોઈ અનિચ્છનીય ઘટનાની રાહ જોઈ રહ્યું છે..!
શિક્ષણ મંત્રી આ વાતો પર પણ નિવેદન આપે
શિક્ષણ રાજનીતિથી પર હોવું જરૂરી છે પણ ચૂંટણીની મોસમ જામતા શિક્ષણના નામે રોટલા શેકવામાં ન શાસક પક્ષ પાછો પડે છે અને ન વિપક્ષ, ગુજરાતમાં સ્માર્ટ સ્કૂલોની કમી છે તે નકારી શકાય તેમ નથી, ગુજરાતમાં ઓરડાની ઘટ છે તે વધારી શકાતી નથી, ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે જે નિવારી શકાતી નથી, ડિજિટલ ગુજરાત માત્ર વાતો થાય છે શાળાઓમાં કોમ્યુટર નથી તે વાત દેખાતી નથી. બસ ઘ્યાને આવે છે તો માત્ર રાજ રમત સ્કૂલોના રમતના મેદાન નહીં.. આમ જ શિક્ષણ વ્યવસ્થા પર ચર્ચા અને સૂચનને બદલે મનફાવે તેમ નિવેદનો પક્ષો તરફથી કરવામાં આવે છે પણ હકીકતમાં વિપક્ષ માત્ર 2 સવાલો કરી ઠરી ઠામ થઈ જાય છે અને શિક્ષણમંત્રી આવા નિવેદન આપીને...
શિક્ષણમંત્રીએ શું વિવાદિત નિવેદન આપ્યું હતું?
રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત સ્કૂલના લોકાપર્ણ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આમ આદમી પાર્ટીનું નામ લીધા વગર આડકતરા પ્રહારો કર્યા હતાં. અને જણાવ્યું હતું કે, જે લોકોને ગુજરાતમાં શિક્ષણ સારું ન લાગે તે અહીંથી જતા રહે, ગુજરાતનું શિક્ષણ સારું ન લાગે તેને જે રાજ્યમાં જવું હોય ત્યાં જઈ શકે છે. વધુમાં શિક્ષણમંત્રી બોલ્યા હતા કે જે ગુજરાતમાં જન્મ્યા, શિક્ષણ મેળવ્યું હવે બીજા દેશ-રાજ્યો સારા લાગે છે' શિક્ષણને લગતાં સૂચનો કરો પણ એ લોકોને ટીકા જ કરવી છે. આપણે તો કહ્યું છે કે ગુજરાત આવો, વ્યવસ્થાઓ જુઓ શિક્ષણને લગતા સૂચનો કરો પણ એ લોકોને ટીકા જ કરવી છે. જે ગુજરાતમાં જન્મ્યા, શિક્ષણ મેળવ્યું હવે બીજા દેશ-રાજ્યો સારા લાગે છે.
શું રાજ્યનું શિક્ષણ એટલું નબળું છે કે વિદેશ ભણવા જવું પડે?
રાજ્યની શિક્ષણ વ્યવસ્થા પર શિક્ષણમંત્રીને ભરોસો નથી?
રાજ્યના ક્યા ગામની સરકારી સ્કૂલને શિક્ષા મોડલ તરીકે પ્રસ્તુત કરી શકાય ?
રાજ્યની શિક્ષણ વ્યવ્સથા ન ગમે તો ફરિયાદ ન કરી શકાય?
ખાનગી સ્કૂલોમાં વાલીઓ બાળકોને કેમ મૂકે છે એ વિચાર કર્યો છે?
શું ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને વખોડવાનો કોઈને અધિકાર નથી ?
કોઈ ગુજરાતની શિક્ષણની ખરાબ દશા બતાવે તો રાજ્ય બહાર મોકલી દેશે?
જેને શિક્ષા વ્યવસ્થામાં ઉણપ લાગે તે સુધારવાની જગ્યાએ બીજે ભણવા જશે?
સૂચનો આપે એમની સામે ઉપરથી બફાટ કરે છે શિક્ષણમંત્રી : મનીષ દોષી, કોંગ્રેસ પ્રવક્તા
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના નિવેદન પર રાજકારણ ગરમાયું ચૂક્યું છે, કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ શિક્ષણમંત્રીની ટીકા કરી કહ્યું હતું કે શિક્ષણમંત્રી એમની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યા છે તેમ છતાંય શિક્ષણ વ્યવસ્થા સુધારવા સામેથી સૂચનો મેળવવા જોઈએ. તમને સૂચનો આપે એમની સામે ઉપરથી બફાટ કરો છો, વધુમાં તેમણે આકરા શબ્દોમાં કહ્યું હતું કે શિક્ષણમંત્રી જવાબદારી માંથી તેઓ ભાગી રહ્યા છે. શિક્ષણ વ્યવસ્થાના કારણે કોઈએ ગુજરાત છોડવાની જરૂર નથી, વ્યવસ્થા સુધારી ના શકતા હોવ મંત્રી પદ છોડો એવી વાર પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો