વડગામ વિધાનસભાની ચૂંટણીના પરિણામ પર ભાજપના ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું છે કે, વડગામની બેઠક પર ભાજપને હરાવી લોકોએ રાષ્ટ્ર સાથે ગદ્દારી કરી છે.
જીગ્નેશ મેવાણીની જીત પર ભાજપ નેતાનું નિવેદન
ભાજપના ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન
"ભાજપને હરાવી લોકોએ રાષ્ટ્ર સાથે ગદ્દારી કરી"
તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં બનાસકાંઠાની વડગામ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જીગ્નેશ મેવાણીની જીત થઈ છે, ભાજપના ઉમેદવાર મણિલાલ વાઘેલા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર લપત ભાટિયાની હાર થઈ છે. ત્યારે વડગામ વિધાનસભાની ચૂંટણીના પરિણામ પર ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
ભાજપના MLAનું વિવાદાસ્પદ નિવેદન
વડગામના વરનાવાડા ગામે નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલે જણાવ્યું કે, 'ભાજપને હરાવી લોકોએ રાષ્ટ્ર સાથે ગદ્દારી કરી છે, જે વડગામ બેઠકની હાર માટે જવાબદાર હોય એમને રાષ્ટ્ર સાથે ગદ્દારી કરી છે. વડગામની બેઠક ન જીતાડી તેનો રંજ છે. ખોટું લાગે તો ખોટું હું તો ચોક્કસ કહીશ કે આ આડંબર કરતા સીટ જીતાડી હોત તો મને ખુશી થઈ હોત.'
વડગામ બેઠક પર જામ્યો હતો ત્રિપાંખિયો જંગ
આપને જણાવી દઈએ કે, ગુજરાતના ફાયરબ્રાન્ડ દલિત નેતા જીગ્નેશ મેવાણી ફરી એકવાર વડગામથી ચૂંટણીના કોંગ્રેસની ટિકિટ પર મેદાનમાં ઉતર્યા હતા. 2017માં જીગ્નેશ મેવાણી કોંગ્રેસના સમર્થનથી જીત્યા હતા અને તેમણે ભાજપના ઉમેદવારને 19,696 મતોના માર્જિનથી હરાવ્યા હતા.
જીગ્નેશ મેવાણી ફરી બાજી મારી ગયા
પાંચ વર્ષ બાદ 2022ની ચૂંટણીમાં જીગ્નેશ મેવાણીને વડગામ બેઠક પરથી કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા હતા. તો તેમને ઘેરવા માટે તેમની સામે ભાજપે કોંગ્રેસના પૂર્વ નેતા અને ધારાસભ્ય મણિલાલ વાઘેલાને મેદાનમાં ઉતાર્યા હતા. AAP તરફથી દલપત ભાટિયાને ટિકિટ આપવામાં આવી હતી. આ ચૂંટણીમાં જીગ્નેશ મેવાણી ફરી બાજી મારી ગયા હતા.