રાઈડ્સ દુર્ઘટના બાદ અમદાવાદમાં બંધ એમ્યુઝમેન્ટ પાર્ક શરૂ કરવામાં આવી રહયા છે. ફરી કોન્ટ્રાકટર સુપર સ્ટાર એમ્યુઝમેન્ટ પ્રા.લી.ને કોન્ટ્રાકટ આપતા વિવાદ જાગ્યો છે.
કાંકરિયા રાઇડકાંડના મામલે AMCનો આશ્ચર્યજનક નિર્ણય
કાર્યવાહી કરવાને બદલે ફરીથી કોન્ટ્રાક્ટ અપાયો
સુપરસ્ટાર એમ્યુઝમેન્ટને અપાયો રાઇડનો કોન્ટ્રાક્ટ
વિવાદીત નિર્ણય લેવામાં પંકાયેલી AMC નો વધુ એક ચોંકાવનારો અને આશ્ચર્યજનક નિર્ણય સામે આવ્યો છે. મહત્વનું છે કે, અમદાવાદમાં વર્ષ 2019 માં રાઈડકાંડ થયો હતો. જેમાં બે લોકો મોતના ખપ્પરમાં હોમાયા હતા. આમ બે-બે મોતનું પાપ જેના માથે છે તેવા કોન્ટ્રાકટર સામે કડક કાર્યવાહી કરવાને બદલે માનીતા સુપરસ્ટાર એમ્યુઝમેન્ટને ફરી એક વખત રાઇડના કોન્ટ્રાક્ટની લહાણી કરાતા તંત્રનો આ 'ગોઠવણ' રૂપ નિર્ણય ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
સતાધીશોને લોકોના જીવનની કોઈ કિંમત નથી : વિપક્ષ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈતિહાસમાં કલંકિત કહી શકાય તેવી દુર્ઘટના ૨૦૧૯ની સાલમાં કાંકરીયા લેક ફ્રન્ટ ખાતે થઈ હતી. કાંકરીયા બાલવાટિકાના એમ્યુઝમેન્ટ પાર્કની ડીસ્કવરી રાઈડ્સ તુટી પડતા બે વ્યક્તિના કરૂણ મૃત્યુ થયા હતા તથા પાંચ કરતા વધુ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી જેના કારણે કાંકરીયા ફ્રન્ટના એમ્યુઝમેન્ટ પાર્ક બંધ કરવામાં આવ્યા હતા. હવે મ્યુનિ. કોર્પોરેશને ત્રણ વર્ષ બાદ ફરીથી તે કોન્ટ્રાકટર ને રાઈડ્સ શરૂ કરવા મંજૂરી આપી છે. આમ કોન્ટ્રાકટર ને સજા કરવાને બદલે છાવરવામાં આવ્યો છે. આ અંગે વિપક્ષનું કહેવું છે કે સતાધીશોને લોકોના જીવનની કોઈ કિંમત નથી. બેદરકારી બતાવનાર કોન્ટ્રાકટરને ફરી કામગીરી કંઈ રીતે આપી શકાય?
AMC એ ફરી સુપરસ્ટાર એમ્યુઝમેન્ટને રાઇડનો કોન્ટ્રાક્ટ આપ્યો
અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશનના જવાબદારોની આડોડાઇને પગલે તંત્ર હંમેશા ચર્ચાના ચકડોળે ચડે છે. તેવામાં વિરોધની આગ લગાવી શકે તેવો વધુ એક નિર્ણય AMC દ્વારા કરવામાં આવ્યો છે. AMC એ સુપરસ્ટાર એમ્યુઝમેન્ટને રાઇડનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. અહીં આશ્ચર્યની વાત એ છે કે 2019 માં જે રાઈડકાંડ થયો હતો તેને લઈને કાર્યવાહી કરવાને બદલે આ વર્ષે ફરી એક વાર એ જ કોન્ટ્રેક્ટરોને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. આપને જણાવી દઇએ કે વર્ષ 2019 દરમ્યાન રાઈડ તૂટતાં 2 લોકોના મોત થયા હતા. ત્યારે પણ આ જ સુપરસ્ટાર એમ્યુઝમેન્ટનો કોન્ટ્રાકટ હતો. જેની વિરુદ્ધ આકરી કાર્યવાહી તો દૂરની વાત છે પરંતું કોન્ટ્રાકટને થાબડભાણાની માફક ફરી એ જ કોન્ટ્રાકટરને કોન્ટ્રાકટ આપી તંત્ર શુ સાબિત કરવા માંગે છે? નોંધનિય છે કે આવી બેદરકારી બદલ કોન્ટ્રાકટ એજન્સીને બ્લેકલિસ્ટ કરવા અને દંડ વસૂલવાને બદલે તંત્રએ નીતિ-નિયમ નેવે મૂકી અને એજન્સીને છાવરવા સમાન આ કૃત્ય કરતાં લોકોમાં અનેક આણીયારા સવાલ ઊભા થયા છે.
શુ હતી સમગ્ર ઘટના ?
આશરે ત્રણ વર્ષ અગાઉ કાંકરિયાના બાલવાટિકા ગેટ નંબર-૪ પાસેની ડિસ્કવરી નામની રાઇડ તૂટતા બે લોકોના મોત નિપજ્યાં હતા. ૩૧ લોકો જે રાઈડમાં બેઠેલા હતા તે રાઇડ ૬૦ ફૂટ ઉંચી ગયા બાદ અધવચ્ચે ટેકનીકલ ખામી સર્જાવાના કારણે તૂટી પડતાં હાહાકાર મચી જવા પામ્યો હતો. જેમાં બેઠેલા લોકો નીચે પટકાયા હતા. જેમાં બે વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા જ્યારે ૨૯ લોકોને ગંભીર ઇજાઓ થઇ હતી. ત્યારબાદ અમદાવાદના કાંકરીયામાં રાઈડ તૂટવાના મામલે 2 લોકોનાં મોત થયા બાદ બેદરકારી બદલ રાઈડના માલિક અને સંચાલક સામે જે-તે સમયે ગુનો નોંધાયો હતો. મણિનગર પોલીસ સ્ટેશનમાં ઘનશ્યામ કાનજી પટેલ, ભાવેશ ઘનશ્યામ પટેલ, તુષાર મધુકાત ચોકસી, યસ ઉર્ફે વિકાસ ઉર્ફે લાલા મહેન્દ્રભાઈ પટેલ, કિશન મહંતી અને મનીષ સતીષ વાઘેલા સહિતનાઓ સામે ફરિયાદ નોંધાઈ હતી.