વારંવાર પેરાસીટામોલ લેવાની જો તમને ટેવ હોય તો સાવધાન થઇ જવાની જરુર, વધારે પડતી પેરાસીટામોલ લેવાથી ગંભીર રોગોને આમંત્રણ આપતા હોવાનો રિસર્ચમાં દાવો
નિયમિત પેરાસિટામોલ લેવી નુકસાનકારક
બ્લડ પ્રેશન અને સ્ટ્રોક આવવાનો વધે છે ખતરો
એડિનબર્ગ યુનિવર્સિટી દ્વારા કરાયુ રિસર્ચ
કોરોના મહામારી દરમિયાન પેરાસિટામોલનો વપરાશ વધી ગયો છે. હવે તો આ દવા દરેકના ખિસ્સામાં જોવા મળે છે. ત્યારે જો તમે વારે ઘડીએ પેરાસિટામોલ લેતા હોવ તો ચેતી જવાની જરુર છે. કારણ કે વધારે પ્રમાણમાં પેરાસિટામોલ લેવાથી બ્લડ પ્રેશર, હાર્ટ એટેક અને સ્ટ્રોક આવવાના ચાન્સિસ વધી જાય છે. એડિનબર્ગ યુનિવર્સિટી દ્વારા એક રિસર્ચ કરવામાં આવ્યુ જેમાં પેરાસિટામોલના રોજિંદા સેવનથી થતી આડઅસરનો ખુલાસો થયો છે.
ડોક્ટરની સલાહ લીધી પછી દવા લેવી
રિસર્ચમાં સામેલ એક્સપર્ટનું કહેવુ છે કે ડોક્ટરની સલાહ લીધા બાદ જ પેરાસિટામોલ લેવી જોઇએ, તેમાં પણ હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ધરાવતા લોકોએ આ દવા લેતા પહેલા અવશ્ય ડોક્ટરનો સંપર્ક કરવો
110 દર્દીઓ પર કરવામાં આવ્યુ રિસર્ચ
એડિનબર્ગ યુનિવર્સિટીના નિષ્ણાંતોએ હાઈ બ્લડ પ્રેશર ધરાવતા દર્દીઓ પર આ સંશોધન કર્યું હતું.જેમાં 110 દર્દીઓ પર રિસર્ચ કરવામાં આવ્યુ.
દર્દીઓને બે અઠવાડિયા સુધી દિવસમાં ચાર વખત પેરાસીટામોલની ગોળીઓ આપવામાં આવી હતી. ચાર દિવસ પછી તપાસ કરવામાં આવી તો આ દર્દીઓનું બ્લડ પ્રેશર નોંધપાત્ર રીતે વધી ગયું હતું. હાઈ બ્લડ પ્રેશરને કારણે આ દર્દીઓમાં હાર્ટ એટેકની શક્યતા 20 ટકા વધી ગઈ હતી.
બ્રિટનમાં સૌથી વધારે વપરાય છે પેરાસિટામોલ
આ રિસર્ચ બ્રિટનના લોકો પર કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે યુકેમાં લગભગ 10માંથી એક વ્યક્તિ ક્રોનિક પેઈન માટે દરરોજ પેરાસિટામોલ સપ્લિમેન્ટ લે છે. નોંધનીય છે કે યુકેમાં લગભગ ત્રણમાંથી એક પુખ્ત વ્યક્તિ હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે.
આ દર્દીઓએ પેરાસિટામોલથી દૂર રહેવું
એડિનબર્ગ યુનિવર્સિટીના પ્રોફેસર ડેવિડ વેબે કહ્યું કે અત્યાર સુધી પેરાસિટામોલને સુરક્ષિત દવા તરીકે જોવામાં આવી રહી હતી. પરંતુ આ સંશોધન પછી અમે કહીશું કે હાર્ટ એટેકનું જોખમ ધરાવતા દર્દીઓએ પેરાસિટામોલથી દૂર રહેવું જોઈએ. ડોકટરોએ પેરાસીટામોલની જરૂર હોય તેટલી જ માત્રા આપવા વિનંતી કરી છે.
પેરાસીટામોલ કોઇક વાર લઇ શકો
એનએચએસ લોથિયન ખાતે ક્લિનિકલ ફાર્માકોલોજી અને નેફ્રોલોજીમાં કન્સલ્ટન્ટ લીડ ઇન્વેસ્ટિગેટર ડૉ. ઇયાન મેકઇન્ટાયરે કહ્યુ હતું કે 'માથાનો દુખાવો અથવા તાવ માટે પેરાસિટામોલનો પ્રસંગોપાત ઉપયોગ યોગ્ય છે. પરંતુ જે લોકો લાંબા સમયથી સામાન્ય રીતે ક્રોનિક પેઇન માટે નિયમિતપણે તેને લેતા હોય છે, તેઓનું જોખમ વધારે હોય છે.
બીપીના દર્દીઓએ ન લેવી પેરાસિટામોલ
નિષ્ણાતોએ કહ્યું કે સંશોધનમાં જાણવા મળ્યું છે કે જ્યારે લોકોએ પેરાસિટામોલ લેવાનું બંધ કર્યું, ત્યારે તેમનું બ્લડ પ્રેશર સામાન્ય થઈ ગયું. તેથી પેરાસીટામોલ લેતા દર્દીઓને નિયમિતપણે તેના જોખમો વિશે ડોકટરો જાણ કરે તે મહત્વનું છે.