સુરત ખાતે વિશ્વના સૌથી મોટા ડાયમંડ બુર્સનું બાંધકામ તૈયાર થઇ ચૂક્યું છે.
સુરતમાં વિશ્વનું સૌથી મોટું ડાયમંડ બુર્સ તૈયાર
5 જુને ગણેશ સ્થાપના સાથે જ મહાઆરતી કરાશે
ડાયમન્ડ બુર્સના 4200 વેપારીઓ એક સાથે કરશે મહાઆરતી
સુરત ખાતે આભને આંબતા વિશ્વના સૌથી મોટા ડાયમંડ બુર્સનું નિર્માણ કાર્ય પૂર્ણ થઇ ચૂક્યું છે. આગામી 5 જૂનના રોજ સુરતના ડાયમંડ બુર્સમાં ગણેશ સ્થાપનાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. નવનિર્મિત ડાયમંડ બુર્સના ઉદ્ઘાટનને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ કોર્પોરેટ ડાયમંડ બુર્સના લોકાર્પણ બાદ દુનિયા ભરના 175 દેશના લોકો હીરાની ખરીદી કરવા માટે સુરત ખાતે આવશે. જેને પગલે વિશ્વ ફલક પર ગુજરાતનો વટ વધશે તથા સુરતના ઇતિહાસમાં ડાયમંડ બુર્સનું નામ સોનેરી અક્ષરે કંડારાશે.
5 જૂનના રોજ ડાયમંડ બુર્સમાં કરાશે ગણેશ સ્થાપના
આગામી તા. 5 ના રોજ ગણેશ સ્થાપના બાદ 4200 ઓફિસોના માલિક દ્વારા 4200 જેટલા દિવડા પ્રગટાવી એક સાથે મહાઆરતી કરવામાં આવશે. ત્યારબાદ સભાસદોના સ્નેહમિલનનું આયોજન સાંજે 5 વાગ્યે સુરત ડાયમંડ બુર્સ ખજોદ ખાતે કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, 5મી ડિસેમ્બર 2017થી ડાયમંડ બુર્સના નિર્માણ કાર્યના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા. જે કામ 2022 માં પૂર્ણ થયું છે. દેશ અને વિદેશના 4,000થી વધુ વેપારીઓએ મળીને આ પ્રોજેક્ટને પૂર્ણ કર્યો છે. એટલું જ નહી આ પ્રોજેક્ટ અંતરરાષ્ટ્રીય ગ્રીન બિલ્ડિંગના માપદંડ હેઠળ તૈયાર કરવામાં આવ્યુ હોવાનું પણ જાહેર થયું છે.
ડાયમંડ બુર્સની વિશેષતા
ડાયમંડ બુર્સની વિશેષતાની વાત કરવામાં આવે તો સુરત ડાયમંડ બુર્સનું વર્ષ 2017 થી માંડી વર્ષ 2022 સુધી બાંધકામ ચાલ્યું હતું. આ ગગનચૂંબી બાંધકામ માટે 6000 કારીગરો અને 9 મહાકાય ક્રેઈનની મદદ લેવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.આ બાંધકામમાં 10 હજારથી વધુ ટુ વ્હીલર અને 4500થી વધુ ફોર વ્હીલર પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 15 એકરને ગ્રીન એરિયા તરીકે ડેવલોપ કરવામાં આવશે અને તમામ લેન્ડસ્કેપ પંચ તત્વ થીમ પર ડિઝાઈન કરવામાં આવશે. ટાવર વચ્ચેની 3 વીઘા જગ્યામાં પણ લેન્ડસ્કેપીંગ ડિઝાઈન કરાશે. 9 ટાવરની હાઈટ વધવાની સાથે તમામ એકબીજા સાથે જોડાયેલા હશે. આ ઉપરાંત બિલ્ડિંગમાં કુલ 128 ડેસ્ટિનેશન કંટ્રોલ લિફ્ટ મૂકવામાં આવશે અને અમેરિકાના પેન્ટાગોન કરતાં પણ વધુ 66 લાખ ચોરસ ફૂટમાં નિર્માણ થયું સહિતની ખાસિયતથી ભરપૂર છે.