ગુપ્તચર વિભાગે દેશમાં આતંકી હુમલાને લઈને અલર્ટ જાહેર કર્યુ છે. ગુપ્તચર વિભાગના અહેવાલ મુજબ, દેશમાં ધાર્મિક સ્થળો અને ભીડભાડવાળા સ્થળોએ આતંકી હુમલો કરી શકે છે. જેને લઇને ગૃહમંત્રાલયે દિલ્લી સહિત દેશના તમામ રાજ્યના પોલીસવડાને પત્ર લખીને પણ અલર્ટ કર્યા છે. અલર્ટના પગલે સુરક્ષાને ધ્યાનમાં રાખીને દિલ્લીમાં સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.
પત્રમાં કહેવામાં આવ્યુ છે કે, શ્રીલંકામાં થયેલા બોમ્બ બ્લાસ્ટ અને અમેરિકાના ધાર્મિક સ્થળે થયેલી ફાયરિંગ બાદ ભારતમાં પણ આતંકી હુમલાનું ષડયંત્ર છે. ખાસ કરીને ધાર્મિક સ્થળો અને ભીડભાડવાળા વિસ્તાર પર આતંકી હુમલાના ઈનપુટ મળ્યા છે. આવામાં સુરક્ષાને લઈને ખાસ પગલા લેવાની જરૂર છે.
ગૃહમંત્રાલયના પત્રમાં એવું પણ કહેવામાં આવ્યુ છે કે, ઈન્ટેલિજન્સ એજન્સીઓ અને ઓપરેશન યૂનિટોએ સાથે મળીને કામ કરવાની જરૂર છે. જ્યારે રાજધાની દિલ્લીમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દિલ્લીમાં આગામી 12 મેના રોજ લોકસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેથી ઠેર ઠેર બેરિકેડ લગાવીને ચેકિંગ પણ હાથ ધરાયુ છે.