ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હજુ દોઢ વર્ષ જેટલી વાર હોવા છતાં રાજકીય પક્ષોએ અત્યારથી તડામાર તૈયારીઓ આદરી દીધી છે. રાજ્યમાં ઘણા વર્ષોથી સત્તાથી વિમુખ રહેલી કોંગ્રેસ આ વખતે ચૂંટણી જીતવા મરણિયા પ્રયાસ કરી રહી છે. બીજી તરફ ભાજપના નેતાઓની પણ ગાંધીનગર ખાતે બેઠક યોજાઇ રહી છે.
જો કે, ભાજપની બેઠક અગાઉ ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ નિવેદન આપતાં જણાવ્યું કે, રાજ્યમાં મુખ્યમંત્રી બદલાઈ રહ્યા છે. ભરતસિંહે જણાવ્યું કે આજે યોજાઈ રહેલી ભાજપનાં ધારાસભ્યોની બેઠકમાં મુખ્યમંત્રીની બદલીને માહોલ સુધારવાનો પ્રયાસ થઈ શકે છે.
ભાજપે આનંદીબહેનને કાઢ્યા હતા
બીજી તરફ ભરતસિંહે રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનું નામ લઈને કહ્યું હતું કે ભાજપ સત્તાલાલચું પક્ષ છે. અને રાજ્યનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેનને હાંકી કાઢ્યા હતા. સરકાર પેટ્રોલ અને ડીઝલનાં વધતાં ભાવને નાથવામાં સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે. જેના કારણે સમગ્ર ભારતમાં પ્રધાનમંત્રી મોદી અને ભાજપ પ્રત્યે લોકરોષ વધતો જઈ રહ્યો છે. તેઓએ પશ્ચિમ બંગાળમાં ભાજપની હાર થઈ હોવાનો ટોણો પણ માર્યો હતો.
ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ બદલાશે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસને મળેલી જબરદસ્ત હાર બાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીએ રાજીનામું આપી દીધું હતું. જોકે હવે ટૂંક સમયમાં દિલ્હી સ્થિત કોંગ્રેસ હાઇકમાન્ડ રાજ્યમાં નવા સેનપતિઓ મૂકે તેવી ઘડીઓ ગણાઈ રહી છે. ભરતસિંહ સોલંકીએ ટૂંક સમયમાં નેતા વિપક્ષ અને પ્રદેશ અધ્યક્ષની નિમણૂક થશે તેવા સંકેત આપ્યા છે.
ભરતસિંહ સોલંકી પ્રદેશ પ્રમુખ માટે પ્રબળ દાવેદાર
ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ માટેની રેસમાં ભરતસિંહ સોલંકી સૌથી આગળ દોડી રહ્યાં છે. જે બાદ અર્જુન મોઢવાડીયા તેમજ શક્તિસિંહ ગોહિલનું નામ પણ પ્રદેશ પ્રમુખ માટે ચર્ચાયું છે. બીજી તરફ વિધાનસભામાં વિપક્ષનાં નેતા તરીકે પૂંજા વંશ, વિરજી ઠુમ્મર અને શૈલેષ પરમારના નામ સામે આવ્યા છે. જોકે આ નિમણૂકો અંગે ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે હાઇકમાન્ડ જે નિર્ણય લેશે તે અમને માન્ય રહેશે.