પંજાબમાં કોંગ્રેસનાં કેપ્ટન અમરિન્દરસિંઘનાં મુખ્યમંત્રી પદનાં રાજીનામાં બાદથી રાજકારણ ગરમાયું છે ત્યારે હવે કોંગ્રેસ હાઇકમાંડે મોટો દાવ ખેલ્યો હોવાનું સામે આવી રહ્યું છે. સિદ્ધુની જગ્યાએ હવે નવું જ નામ મુખ્યમંત્રીની રેસમાં આગળ આવ્યું છે.
પંજાબ મુખ્યમંત્રીને લઈને નવો ટ્વીસ્ટ
હાઇકમાંડે અંબિકા સોનીનાં નામ પર મારી મહોર
અત્યાર સુધી સુનિલ જાખડનું નામ હતું સૌથી આગળ
અચાનક કોંગ્રેસમાં મોટો ટ્વીસ્ટ
પંજાબમાં ગઇકાલથી રાજકીય ઘમાસાણની વચ્ચે મુખ્યમંત્રી પદને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુખ્યમંત્રી પદ માટે અચાનક જ નવું નામ સામે આવ્યું છે. કોંગ્રેસ પંજાબમાં મહિલા મુખ્યમંત્રી બનવવા જઈ રહી છે, ગઇકાલથી પંજાબમાં ત્રણ નામો સૌથી આગળ ચાલી રહ્યા હતા પરંતુ હવે અંબિકા સોનીનું નામ ફાઇનલ થઈ ગયું હોવાના સાંચાર સામે આવી રહ્યા છે. આજે કોંગ્રેસનાં ધારાસભ્યોની બેઠકમાં અંબિકા સોનીનાં નામની જાહેરાત કરવામાં આવી શકે છે. નોંધનીય છે કે અંબિકા સોની પંજાબ ખત્રી હિન્દુ છે. મુખ્યમંત્રી પદની રેસમાં સુનિલ જાખડ આગળ ચાલી રહ્યા હતા પરંતુ નવજોત સિંઘ સિદ્ધુએ સુનિલનો વિરોધ કર્યો હોવાના સૂત્રો તરફથી અહેવાલ સામે આવી રહ્યા છે.
શું રહ્ચો છે ઘટનાક્રમ
અત્યારસુધીના ઘટનાક્રમને જોતાં પંજાબના નવા સીએમને લઈને નિર્ણય પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી પર છોડવામાં આવ્યો છે. કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામા બાદ પંજાબ કોંગ્રેસ વિધાયક દળની શનિવારે સાંજે એક બેઠકમાં નક્કી કરાયું કે નવા સીએમનો નિર્ણય પાર્ટી અધ્યક્ષ કરશે. ઉલ્લેખનીય છે કે કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામા બાદ વિધાયક દળની બેઠક બોલાવવામાં આવી હતી પણ તેમાં કેપ્ટન પહોંચ્યા ન હતા. આ બેઠકમાં કેપ્ટનના સમર્થક દરેક ધારાસભ્યો હાજર હતા. શનિવારની મીટિંગ બાદ જાહેર કરાયુ છે કે ધારાસભ્યોની બેઠકમાં સર્વસંમતિથી 2 પ્રસ્તાવ પારિત કરાયા છે એકમાં ધારાસભ્યોએ કેપ્નનનો ધન્યવાદ કર્યો અને પાર્ટી માટેના તેમના યોગદાનની પ્રશંસા કરી હતી. અન્યમાં પંજાબના નવા મુખ્યમંત્રીને પસંદ કરવાનો અધિકાર હાઈકમાનને આપ્યો છે.
સિદ્ધુ નકામો માણસ, એક વિભાગ ન સંભાળી શક્યો, રાજ્ય કેવી રીતે સંભાળશે-અમરિન્દર
નવજોતસિંહ સિદ્ધુને લપેટામાં લેતા અમરિન્દર સિંહે કહ્યું કે મારા દેશની ખાતર પંજાબના સીએમ તરીકે નવજોત સિંહ સિદ્ધૂનો વિરોધ કરીશ. આ રાષ્ટ્રીય સુરક્ષાનો વિષય છે. હું જાણું છું કે નવજોત સિંઘ સિદ્ધુના પાકિસ્તાન સાથે કેવા સંબંધ છે, તેનો મિત્ર ત્યાં PM છે અને સિદ્ધુ પાકિસ્તાની આર્મી ચીફ જનરલ કમર બાજવા સાથે પણ ઘરોબો ધરાવે છે. અમરિન્દરે કહ્યું કે સિદ્ધુ નકામો માણસ છે. તે દેશ માટે એક આફત બનશે. મેં સિદ્ધુને જે એક મંત્રાલય સોંપ્યું તે પણ તે સંભાળી શક્યો નથી તો પછી તે રાજ્ય કેવી રીતે ચલાવશે. અમરિન્દર સિંહે કહ્યું કે જો સિદ્ધુને CM બનાવ્યો તો હું મારા દેશની રક્ષા માટે તેનો વિરોધ કરીશ.
કોંગ્રેસનો ધારાસભ્ય છું, પાર્ટી માટે કામ કરતો રહીશ-અમરિન્દર
પૂર્વ સીએમ અમરિન્દરે કહ્યું કે હું કોંગ્રેસનો ધારાસભ્ય છું, પાર્ટી માટે કામ કરતો રહીશ. તેમણે કહ્યું કે મને લાગી રહ્યું છે મારો પર ભરોસો નથી. મેં હાઈકમાન્ડના આદેશનું પાલન કર્યું છે. અમરિન્દરે કહ્યું કે મેં પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને ફોન કરીને જણાવ્યું કે આવા અપમાન સાથે હું પાર્ટીમાં રહી શકું તેમ નથી. હાઈકમાન્ડે મને રાજીનામું આપવાનું જણાવ્યું હતું. મેં પાર્ટી અધ્યક્ષના આદેશનું પાલન કર્યું છે.