નકલી ચલણી નોટોનો ગોરખધંધો ચલાવવામાં પાકિસ્તાની દૂતાવાસના કેટલાક અધિકારીઓની ભૂમિકા હોવાનો ચોંકાવનારો ખુલાસો નેશનલ ઈનવેસ્ટિગેશન ટીમ (એનઆઈએ)ની તપાસ દરમિયાન થયો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બે હજાર રૂપિયાની ભારતીય ચલણી નોટ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ કરાચીમાં હાઈસિક્યોરિટી ધરાવતા એક પ્રિન્ટિંગ પ્રેસમાં છાપી રહી છે.
D-Company સાથે કનેક્શ હોવાનું પણ આવ્યું
દાઉદ ઈબ્રાહિમની 'ડી કંપની' નકલી ચલણી નોટોની સૌથી મોટી વિતરક હોવાની માહિતી પણ સામે આવી છે.ભાગેડુ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ગુંડાઓ નકલી નોટોનું રેકેટ ચલાવવા માટે કાઠમાંડુ સ્થિત પાકિસ્તાની દૂતાવાસના અધિકારીઓની મદદ લઈ રહ્યા છે. દાઉદના એક ખાસ માણસ યુનુસ અન્સારીની હાલમાં જ નેપાળ પોલીસે ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, અન્સારી નકલી ચલણી નોટોનું કૌભાંડ કાઠમાંડુના ચક્રપથ વિસ્તારમાં આવેલી એક નાનકડી હોટલમાંથી ચલાવતો હતો. કાઠમાંડુનો આ વિસ્તાર પાકિસ્તાની દૂતાવાસની સાવ નજીક આવેલો છે. NIAના સૂત્રોનો દાવો છે કે, દાઉદનો ખાસ વિશ્વાસુ અન્સારીના ભાઈ યુનુસ અને નસીમ કાઠમાંડુમાં આવેલા પાકિસ્તાની દૂતાવાસમાં નિયમિત આવતા-જતા હતા. તેઓ પાકિસ્તાનના ડિફેન્સ એટેચીના પણ સતત સંપર્કમાં હતા.
પાકિસ્તાની નાગરિકોની કરી હતી ધરપકડ
ભારતીય એજન્સીઓની ટીપના આધારે કાઠમાંડુ પોલીસની એક સ્પેશિયલ ટીમે ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી યુનુસ અન્સારી અને ત્રણ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી હતી.
તેમની પાસેથી 7.67 કરોડ રૂપિયાની નકલી ભારતીય ચલણી નોટો ભરેલી ચાર સુટકેસ પણ મળી આવી હતી. એનઆઈએના અધિકારીઓનો દાવો છે કે, નકલી નોટોનું એક મોટું કન્સાઈન્મેન્ટ સમુદ્રના રસ્તેથી બાંગ્લાદેશ પહોંચાડવામાં આવ્યું છે.
છેલ્લા થોડા મહિનાઓમાં એનઆઈએની ટીમોએ પશ્ચિમ બંગાળના સરહદી વિસ્તારોથી લઈને હરિયાણાના ગુરુગ્રામ સુધી દરોડા પાડ્યા હતા. ઈન્ટેલિજન્સ બ્યૂરો (આઈબી)ના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જપ્ત કરવામાં આવેલી નકલી ચલણી નોટોને જો યુવી કાઉન્ટરફીટ ડિટેક્શન મશીનથી ચકાસવામાં ન આવે તો તે અસલી છે કે નકલી તે કહેવું મુશ્કેલ છે.