રાજ્યમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થતાં જ કોંગ્રેસ હવે આક્રમક બની છે. કોંગ્રેસે હવે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરથી સંપૂર્ણ છેડો ફાડી નાખવાનું જોમ દેખાડયું છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવા માટે કોંગ્રેસનાં પ્રતિનિધિમંડળે ગાંધીનગરમાં કોંગ્રેસ સચિવને લેખિત અરજી આપી છે. કોંગ્રેસની આ કવાયતનો ઈશારો સ્પષ્ટ છે કે કોંગ્રેસ પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારને રસ્તો બતાવી શકે છે.
લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસથી નારાજ થયેલાં રાધનપુરનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસનાં ધારાસભ્ય પદ સિવાય તમામ પદેથી રાજીનામું આપી દીધું હતું. જો કે, ત્યારે કોંગ્રેસ ચૂંટણીની તૈયારીઓમાં ગળાડૂબ હતી એટલે અલ્પેશ ઠાકોરનાં ધારાસભ્ય પદ અંગે કશો વિચાર કર્યો ન હતો. પરંતુ હવે રાજ્યમાં લોકસભા અને કેટલીક વિધાનસભા બેઠકોની ચૂંટણી યોજાઈ ચૂકી છે. હવે કોંગ્રેસ હાઈકમાન્ડે આંતરિક મામલાઓ પર ધ્યાન દેવાનું શરૂ કર્યું છે.
કોંગ્રેસ પ્રત્યે અલ્પેશ ઠાકોરની નારાજગી તો ચૂંટણી પહેલાં જગજાહેર થઈ ગઈ હતી પરંતુ હવે અલ્પેશનાં કોંગ્રેસનાં ધારાસભ્ય પદે ચીટકી રહેવા બદલ કોંગ્રેસ પોતાની નારાજગી જાહેર કરી રહ્યો છે. પક્ષવિરોધી પ્રવૃતિને લઈને કોંગ્રેસે અલ્પેશ સામે કાર્યવાહી શરૂ કરી છે. આ મામલે ગાંધીનગરમાં વિધાનસભાનાં સચિવ સાથે કોંગ્રેસનાં પ્રતિનિધિ મંડળે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન કોંગ્રેસનાં બળદેવજી ઠાકોર અને અશ્વિન કોટવાલે અલ્પેશ ઠાકોરનાં સસ્પેન્શન માટેની માંગ કરી હતી. કોંગ્રેસનો આક્ષેપ છે કે, અલ્પેશ ઠાકોરે પક્ષમાંથી રાજીનામું આપ્યું છે એટલે તેને ગેરલાયક ઠેરવી શકાય છે. આ ઉપરાંત અલ્પેશ ઠાકોરે પક્ષ વિરોધી પ્રવૃતિ કરી છે એટલે તેને સસ્પેન્ડ કરવામાં આવે.
અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાં તેમનું કોઈ સાંભળતું ન હોવાની વાત આગળ ધરીને પાર્ટીનાં તમામ સભ્ય પદેથી લોકસભા ચૂંટણી પહેલાં રાજીનામું આપી દીધું હતું. પરંતુ ધારાસભ્ય પદે ટકી રહ્યાં હતાં. જો કે તે વખતે બાયડનાં ધારાસભ્ય જે અલ્પેશ ઠાકોરનાં જૂથનાં ગણાય છે તેવાં ધવલસિંહ ઝાલા અને બેચરાજીનાં ધારાસભ્ય ભરત ઠાકોરે ગમે તે હાલતમાં અલ્પેશની પડખે જ ઊભા રહેવાનું જણાવ્યું હતું.
પરંતુ જ્યારે હવે કોંગ્રેસ દ્વારા અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાંથી રસ્તો દેખાડવાની કવાયત ચાલી રહી છે ત્યારે અલ્પેશ જૂથનાં આ બન્ને ધારાસભ્યો સામે કોંગ્રેસ કૂણુવલણ દાખવ્યું છે. કોંગ્રેસે અલ્પેશ જૂથનાં ધવલસિંહ ઝાલા અને ભરત ઠાકોરને પોતાનાં જ ગણ્યાં છે એટલે તેમનાં વિશે કોઈ નિર્ણય કરવાનું વિચાર પણ કર્યો નથી. કેમ કે કોંગ્રેસને એવું લાગે છે કે એ બન્ને ધારાસભ્યો અલ્પેશ સાથે નથી એટલે પક્ષને તેમનાંથી કોઈ જ ખતરો નથી.
હાલ અલ્પેશ ઠાકોરને લઈને કોંગ્રેસ કડક હાથે કામ લેવાનાં મૂડમાં છે. દંડક તરીકે બળદેવજી ઠાકોર અને અશ્વિન કોટવાલે અલ્પેશ ઠાકોરની કામગીરી વિરુદ્ધ મુસદ્દો ઘડી કાઢ્યો છે અને તે વિધાનસભાનાં સચિવને સુપરત કરી દીધો છે. જો કે આખરી નિર્ણય વિધાનસભાનાં અધ્યક્ષે કરવાનો હોય છે. ત્યારે સામાન્ય વૈધાનિક માહિતી માટે એ જાણવું મહત્વનું બની રહેશે કે આખરે આ પક્ષપલટા વિરોધી કાયદો શું છે? લોકોને સવાલ થતો હોય છે કે, કેવાં સંજોગોમાં કોઈ પણ ધારાસભ્ય ગેરલાયક ઠરે છે?
તો એ જાણવું રસપ્રદ રહેશે કે, કોઈ પણ રાજકીય પક્ષમાંથી ચૂંટાયેલ વ્યક્તિ પક્ષમાંથી રાજીનામું આપે તો તે ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠરે છે. અન્ય પક્ષમાં જોડાય અથવા પક્ષ વિરુદ્ધ મતદાન કરે તો પણ ગેરલાયક ઠરે છે. પક્ષનાં આદેશ બાદ મતદાન ન કરે તો તો પણ તે ગેરલાયક ઠરે છે. જો અપક્ષ સભ્ય કોઈ પક્ષમાં જોડાય અથવા તો રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલ સભ્ય 6 મહિનામાં કોઈ પક્ષમાં જોડાય તો અથવા સભાગૃહનાં અધ્યક્ષ રજૂઆત સાંભળ્યાં બાદ ગેરલાયક ઠેરવે તો કોઈ પણ ધારાસભ્ય પક્ષાંતર ધારા હેઠળ ગેરલાયક ઠરે છે.
આ સાથે જ એ પણ જાણી લેવું રસપ્રદ રહેશે કે, કયાં સંજોગોમાં ધારાસભ્ય પદ ગેરલાયક ઠરતું નથી. જો જે તે સભ્ય પક્ષ વિરોધી પ્રવૃતિનાં 15 દિવસ સુધીમાં પક્ષ માફી આપે તો ઉપરાંત પક્ષનું વિભાજન થાય અને 1/3 સભ્યો પક્ષનો ત્યાગ કરે તો વળી 2/3 સભ્યોની મંજૂરી સાથે મૂળ પક્ષ અન્ય પક્ષ સાથે જોડાણ કરે તો ધારાસભ્ય પદ ગેરલાયક ઠરતું નથી. આ સિવાય સભાગૃહનાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને પક્ષાંતર ધારો લાગુ પડતો નથી.