લોકસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કરનારા વિરુદ્ધ કોંગ્રેસ એક્શનમાં આવી ગઈ છે. 26 લોકસભાની ચૂંટણી પ્રચાર અને કામગીરીને લઈને કોંગ્રેસ મે મહિનાના પ્રથમ સપ્તાહમાં સમીક્ષા કરશે. જેમાં નેતાઓએ કેટલી સભાઓ કરી? કેટલું કામ કર્યું? તેનો રિપોર્ટ મંગાવવામાં આવશે.
પક્ષ વિરોધી કામ કરનારા 30થી વધારે લોકોને સસ્પેન્ડ કરવા માટે કોંગ્રેસે મન બનાવી લીધું છે. તો અમદાવાદ સહિતના કેટલાક નેતાઓ પ્રચારમાં ન જોડાયા હોવાનું પણ સામે આવ્યું છે. કેટલાક નેતાઓએ ભાજપને બંધ બારણે મદદ કરી હોવા મામલે હવે નેતાઓ વિરુદ્ધ પગલાં લેવા કોંગ્રેસે લાલ આંખ કરી છે.
મહત્વનું છે કે રાજ્યમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થતાં જ કોંગ્રેસ હવે આક્રમક બની છે. કોંગ્રેસે હવે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરથી સંપૂર્ણ છેડો ફાડી નાખવાનું જોમ દેખાડ્યું છે. પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવા માટે કોંગ્રેસે કવાયત હાથ ધરી છે. તેથી હવે કોંગ્રેસ પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારને રસ્તો બતાવી શકે છે.
શું છે પક્ષ પલ્ટા વિરોધી કાયદો ?
કેવા સંજોગોમાં ઠરે ગેરલાયક ?
કોઈ પણ રાજકીય પક્ષમાંથી ચૂંટાયેલ વ્યક્તિ પક્ષમાંથી રાજીનામું આપે તો
અન્ય પક્ષમાં જોડાય અથવા પક્ષ વિરુદ્ધ મતદાન કરે તો
પક્ષના આદેશ બાદ મતદાન ન કરે તો
જો અપક્ષ સભ્ય કોઈ પક્ષમાં જોડાય તો
રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલ સભ્ય 6 મહિનામાં કોઈ પક્ષમાં જોડાય તો
સભાગૃહના અધ્યક્ષ રજૂઆત સાંભળ્યા બાદ ગેરલાયક ઠેરવે તો
કયા સંજોગોમાં ગેરલાયક ન ઠરે ?
પક્ષ વિરોધી પ્રવૃતિના 15 દિવસ સુધીમાં પક્ષ માફી આપે તો
પક્ષનું વિભાજન થાય અને 1/3 સભ્યો પક્ષનો ત્યાગ કરે તો
2/3 સભ્યોની મંજૂરી સાથે મૂળ પક્ષ અન્ય પક્ષ સાથે જોડાણ કરે તો
સભાગૃહના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને પક્ષાંતર ધારો લાગુ પડતો નથી