હાર્દિક પટેલ 'પાટીદાર કાર્ડ' ન ચલાવે એટલાં માટે કોંગ્રેસ હાર્દિક પટેલ વિરૂદ્ધ કોઇ પણ કાર્યવાહી નહીં કરે.
કોંગ્રેસ હાર્દિક પટેલ વિરૂદ્ધ કોઇ પણ કાર્યવાહી નહીં કરે
હાર્દિક પટેલ 'પાટીદાર કાર્ડ' ન ચલાવે એટલે કાર્યવાહી નહીં થાય
હાર્દિક પટેલ કોંગ્રેસને નુકસાન થાય એવાં નિવેદન આપી રહ્યાં છે
કોંગ્રેસને લઇને એક બાદ એક તીખા નિવેદનો આપી હાર્દિક સતત કોંગ્રેસથી નારાજ હોવાનું સાબિત કરી રહ્યો છે. એવામાં શું કોંગ્રેસ હાર્દિક પટેલ સામે કોઇ કાર્યવાહી કરશે કે કેમ તેને લઇને પ્રશ્ન ઊભા થઇ રહ્યાં છે. ત્યારે તાજેતરમાં જ મહત્વના સમાચાર સામે આવ્યાં છે કે, કોંગ્રેસ હાર્દિક પટેલ વિરૂદ્ધ કોઇ પણ કાર્યવાહી નહીં કરે.
હાર્દિક પટેલ 'પાટીદાર કાર્ડ' ન ચલાવે એટલા માટે કોંગ્રેસ કાર્યવાહી નહીં કરે
હાર્દિક પટેલ સતત કોંગ્રેસ પક્ષને નુકસાન થાય એવાં નિવેદન આપી રહ્યાં છે તેમ છતાં સંભવિત નુકસાનને ધ્યાને લઇ હાર્દિક વિરૂદ્ધ કોંગ્રેસ કોઇ જ કાર્યવાહી નહીં કરે. કોંગ્રેસ હાર્દિકને સિમ્પથી મેળવવાનો મોકો નહીં આપે. હાર્દિક પટેલ 'પાટીદાર કાર્ડ' ન ચલાવે એટલા માટે કોંગ્રેસ હાર્દિક વિરૂદ્ધ કાર્યવાહી નહીં કરે. જો કોંગ્રેસ પગલાં ભરે તો હાર્દિક પાટીદાર યુવાન સાથે અન્યાયનો રાગ આલાપી શકે છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ખોડલધામમાં 4 પાટીદાર આગેવાનો અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણીયા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સાથે નરેશ પટેલ વચ્ચે બંધ બારણે મહત્વની બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, 'હું કોંગ્રેસથી નારાજ છું જ, કોણ ના પાડે છે, આ વાત જગજાહેર છે. કોઈ પણ પાર્ટીની અંદર કોઈ પણ નેતા હોય તેની જવાબદારી નક્કી હોય છે. આજે હું ગુજરાતનો કાર્યકારી પ્રમુખ છું તો મારી જવાબદારી નક્કી હોય ને.'
અમે લોકોએ પાર્ટીને આપ્યું છે, પાર્ટી જોડેથી અમે લોકોએ આજ દિન સુધી કંઇ લીધુ નથી: હાર્દિક
આ સિવાય હાર્દિકે કોંગ્રેસથી નારાજગી મુદ્દે જણાવ્યું કે, "જ્યાં સુધી મુદ્દાનું નિરાકરણ ના આવે ત્યાં સુધી હું ઉદયપુરની બેઠકમાં જઇને શું કરું. અમે લોકોએ પાર્ટીને આપ્યું છે, પાર્ટી જોડેથી અમે લોકોએ આજ દિન સુધી કંઇ લીધુ નથી. 2015 હોય, 2017 હોય કે પછી એના પછીનો સમય હોય, અમે હંમેશા અમારા 100 ટકા આપ્યા છે. ગુજરાતની જનતાની અંદર જાગૃતિ લાવીને કોંગ્રેસ સાથે લોકોને જોડવાનું કામ કર્યું છે. નારાજગી કરતા પણ વધારે પાર્ટી ફોરમમાં સ્વતંત્રતાની રીતે સાચી વાત મૂકવી ખૂબ જરૂરી હોય છે.'
નોંધનીય છે કે, અત્યાર સુધી દૂર-દૂર સુધી વાહવાહી કરી રહેલા હાર્દિકે ફરી કોંગ્રેસથી નારાજ હોવાનો ખુલ્લીને બળાપો કાઢ્યો છે અને કોંગ્રેસની ચિંતન શિબિરમાં ન જવાના તારણો પણ આપ્યા છે. એવામાં જગદીશ ઠાકોર, અમિત ચાવડા, અર્જુન મોઢવાડિયા, ભરતસિંહ સોલંકીએ હાર્દિક પટેલની નારાજગી પર તીખા નિવેદનો આપ્યા છે.
કોઈએ બહાર જવું હોય તો તેમણે નિર્ણય કરી લેવો જોઇએ: અર્જુન મોઢવાડીયા
વિવાદ વકરાતા ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓએ મોરચો સંભાળી લીધો છે. એક બાદ એક નેતા હાર્દિક સામે આડકતરી રીતે પ્રહાર કરી રહ્યા છે અને શિસ્ત ભંગની કાર્યવાહીનો અંદેશો પણ આપી રહ્યા છે.હાર્દિક પટેલની નારાજગી મુદ્દે અર્જુન મોઢવાડિયાનું સૂચક નિવેદન સામે આવ્યું છે. તેમને સ્પષ્ટ રીતે વાત મૂકતાં કહ્યું છે કે કાર્યકરો કે આગેવાનોએ પોતાની લક્ષ્મણ રેખા ઓળંગવી જોઈએ નહીં. લક્ષ્મણ રેખામાં ન રહે તો પક્ષ કાર્યવાહી કરી શકે છે. કોંગ્રેસ પક્ષ દરેકને સુધારવાનો મોકો આપે છે. કોંગ્રેસ કામ કરવા અંગે કે આગેવાની કરવા માટે કોઈને રોકતુ નથી. કોઈએ બહાર જવું હોય તો તેમણે નિર્ણય કરી લેવો જોઇએ. હોદ્દો મળ્યા બાદ વારંવાર સન્માન મળે તે જરૂરી નથી. હાર્દિક પટેલે જવાબદારી નિભાવવી જોઈએ.
હું તો કોંગ્રેસનો કાર્યકર્તા છું અને હાર્દિકભાઈ નેતા છે: પૂર્વ પ્રદેશપ્રમુખે માર્યો ટોણો
હાર્દિકની નારાજગી અંગે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ મહત્વનું નિવેદન આપ્યું છે. ભરતસિંહે જણાવ્યું કે, 'હાર્દિક પટેલ અંગે હાર્દિકને પૂછવું જ યોગ્ય કહેવાય. કોંગ્રેસ પાર્ટી સક્ષમ છે. જ્યારે જે પણ નિર્ણય લેવા પડશે તે નિર્ણય કોંગ્રેસ દ્વારા લેવામાં આવશે. કોંગ્રેસ બંધારણ પ્રમાણે નેતૃત્વ નિર્ણય કરશે. હું તો કોંગ્રેસનો કાર્યકર્તા છું અને હાર્દિકભાઈ નેતા છે. એમને હું ક્યાં સલાહ આપવા જઉં.'
હાર્દિક પ્રદેશના નેતાઓ સાથે વાત નથી કરતાઃ જગદીશ ઠાકોર
હાર્દિક પટેલથી પ્રદેશ કોંગ્રેસના નેતાઓ નારાજ ચાલી રહ્યા છે. કારણ કે હાર્દિક પટેલ જાહેરમાં નિવેદન આપી નારાજ હોવાની વાતો વહેતી કરે છે. જેના પર ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ગઈ કાલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે હાર્દિક પ્રદેશના નેતાઓ સાથે વાત નથી કરતા, હાર્દિક કોઇ પણ પ્રકારનો સંવાદ નથી કરતા. આ વલણ પરથી લાગી રહ્યું છે કે હાર્દિક પટેલને કોંગ્રેસમાંથી ટાટા બાય બાય કહેવાનો કારસો રચાઇ ગયો છે. હાર્દિક પટેલ સામે પ્રદેશ કોંગ્રેસ શિસ્ત ભંગની કાર્યવાહી કરી સસ્પેન્ડ સુધીના પગલાં લઈ શકે છે.
કોંગ્રેસે હાર્દિકને નાની ઉંમરમાં મોટી જવાબદારી સોંપી: અમિત ચાવડા
તો સમગ્ર મામલે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાનું પણ નિવેદન સામે આવ્યું છે. તેઓએ હાર્દિક પટેલને ટકોરની ભાષામાં કહ્યું છે કે નિમંત્રણ હોવા છતાં ચિંતન શિબિરમાં હાર્દિક કેમ નથી આવ્યા તે હું નથી જાણતો પણ કોંગ્રેસે નાની ઉમંરમાં હાર્દિકને સૌથી મોટી જવાબદારી સોંપી છે. ત્યારે હવે હાર્દિકને સમજવાની જરૂર છે કે આ જવાબદારી શિરે લઈ પાર્ટી માટે સારું કરે.