લોકસભા ચૂંટણીનું ગુજરાતમાં મતદાન પૂર્ણ થયું છે. ત્યારે ગુજરાતની રાજનીતિમાં હજુ ગરમાવો છે. ત્યારે મહત્વકાંક્ષા સંતોષવાની લહાયમાં, પોતાના જ સમાજમાં વિશ્વસનીયતા ગુમાવી બેઠેલા અલ્પેશ ઠાકોરની સ્થિતિ, ઘરનાય નહીં અને ઘાટનાય નહીં તેવી થઈ છે.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થતા અલ્પેશ ઠાકોર સામે કોંગ્રેસે કાર્યવાહી શરૂ કરી છે. પક્ષવિરોધી પ્રવૃતિને લઈને કોંગ્રેસ આક્રામક બની છે. આ મામલે વિધાનસભાના સચિવ સાથે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે મુલાકાત કરી હતી. ગાંધીનગરમાં કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે મુલાકાત કરી હતી. જેમાં કોંગ્રેસના બળદેવજી ઠાકોર અને અશ્વિન કોટવાલે અલ્પેશ ઠાકોરના સસ્પેન્શન માટેની માગ કરી હતી.
કોંગ્રેસનો આક્ષેપ છે કે, અલ્પેશ ઠાકોરે પક્ષમાંથી રાજીનામું આપ્યું છે એટલે તેને ગેરલાયક ઠેરવી શકાય છે. આ ઉપરાંત અલ્પેશ ઠાકોરે પક્ષ વિરોધી પ્રવૃતિ કરી છે એટલે તેને સસ્પેન્ડ કરવામાં આવે.
શું છે પક્ષ પલ્ટા વિરોધી કાયદો ?
કેવા સંજોગોમાં થાય ગેરલાયક ?
કોઈપણ રાજકીય પક્ષમાંથી ચૂંટાયેલ વ્યક્તિ પક્ષમાંથી રાજીનામું આપે
અન્ય પક્ષમાં જોડાય અથવા પક્ષ વિરુદ્ધ મતદાન કરે
પક્ષના આદેશ બાદ મતદાન ન કરે
જો અપક્ષ સભ્ય કોઈ પક્ષમાં જોડાય
રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલ સભ્ય 6 મહિનામાં કોઈ પક્ષમાં જોડાય
સભાગૃહના અધ્યક્ષ રજૂઆત સાંભળ્યા બાદ ગેરલાયક ઠેરવે
ક્યા સંજોગોમાં ગેરલાયક ન ઠરે ?
પક્ષ વિરોધી પ્રવૃતિના 15 દિવસ સુધીમાં પક્ષ માફી આપે તો
પક્ષનું વિભાજન થાય અને 1/3 સભ્યો પક્ષનો ત્યાગ કરે તો
2/3 સભ્યોની મંજૂરી સાથે મૂળ પક્ષ અન્ય પક્ષ સાથે જોડાણ કરે તો
સભાગૃહના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને પક્ષાંતર ધારો લાગુ પડતો નથી
અત્રે ઉલ્લેખનીય છે કે, 2017માં વિધાનસભા ચૂંટણી પહેલા પહેલા પોતે યુવા અને શક્તિશાળી નેતા તરીકેની છાપ પાડીને કોંગ્રેસમાંથી પોતે અને પોતાના સાથીદારોને ટિકિટ અપાવવામાં સફળ રહેલા અલ્પેશ ઠાકોર વિધાનસભા ચૂંટણી જીતતાં જ પોતે રાષ્ટ્રીય નેતા હોય તેમ અન્યને તુચ્છ સમજવા લાગ્યા હતા. એટલું જ નહીં વારંવાર સમૂળી કોંગ્રેસ પર દબાણ પણ કરવા લાગ્યા હતા. કોંગ્રેસની ટિકિટ પરથી રાધનપુર બેઠક જીતીને પ્રથમવાર ધારાસભ્ય બનનાર અલ્પેશ ઠાકોરે સંકટ સમયે જ કોંગ્રેસને દગો આપી દીધો. અલ્પેશ ઠાકોરે પક્ષમાંથી રાજીનામું આપી દીધું ત્યારે હવે કોંગ્રેસ કાર્યવાહીના મૂડમાં છે.