મિશન 2022ની કોંગ્રેસની રણનીતિને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આદિવાસી સમાજ બાદ હવે કોંગ્રેસ OBC સમાજ માટે સત્યાગ્રહ કરશે.
મિશન 2022ની કોંગ્રેસની રણનીતિને લઇ મોટા સમાચાર
આદિવાસી સમાજ બાદ OBC સમાજ માટે કોંગ્રેસ કરશે સત્યાગ્રહ
મહારાષ્ટ્રના પૂર્વ મંત્રીની નિરીક્ષક તરીકે નિમણૂંક કરાઇ
કોંગ્રેસ હવે OBC સમાજ માટે સત્યાગ્રહ કરશે. જેમાં મહારાષ્ટ્રના પૂર્વ મંત્રીની નિરીક્ષક તરીકે નિમણૂંક કરાઇ છે. વિજય વદીતવારને OBC અધિકારી સત્યાગ્રહના નિરીક્ષક બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસ આગામી ચૂંટણીના અનુસંધાને 'OBC અધિકાર સત્યાગ્રહ' શરૂ કરશે. 182માંથી 40 બેઠકો પર OBC સમાજના મતો સીધી નિર્ણાયક સ્થિતિમાં છે.
કોંગ્રેસ OBC સમાજના દરેક ઘર સુધી પોતાની વાત પહોંચાડશે
તમામ 40 બેઠકો પર OBC અધિકાર સત્યાગ્રહ કાર્યક્રમ અમલમાં મુકાશે. કોંગ્રેસ OBC સમાજના દરેક ઘર સુધી પોતાની વાત પહોંચાડશે. 2022 માટે કોંગ્રેસે આદિવાસી અધિકાર સત્યાગ્રહ શરૂ કર્યો છે. 10મી મેએ દાહોદ ખાતેથી રાહુલ ગાંધીએ આદિવાસી અધિકાર સત્યાગ્રહનો પ્રારંભ કરાવ્યો હતો.
OBC મુદ્દે અમિત ચાવડાએ કર્યા હતા પ્રહાર
ઉલ્લેખનીય છે કે, OBC મુદ્દે અગાઉ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, 'OBCનું રાજકીય અસ્તિત્વ ખતમ કરી નાખવા સ્થાનિક ચૂંટણીઓમાં 10 ટકા અનામત દૂર કરી નાખી છે. વસ્તીના પ્રમાણમાં બજેટમાં હિસ્સો મળવો જોઈએ આ સહીતની માંગો સંતોષવાની વાત તો બાજુ પર રહી પરંતુ પછાત વર્ગના બોર્ડ નિગામોને પૂરતું બજેટ ન ફાળવવું અને એક પણ રૂપિયાની સહાય વગર ફક્ત ચૂંટણી આવે ત્યારે મત બેન્ક તરીકે ઉપયોગ કરાયો છે. વધુમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા અનામત હતી. જેને નાબૂદ કરી દેવામાં આવી છે જેનો રોષ ઉઠતાં આયોગની રચના કરવામાં આવી છે. જે આયોગને લાભ આપવાને બદલે તેમની વ્યવસ્થા પણ જળવાઈ નથી. આ મામલે વધુમાં અમિત ચાવડાએ જણાવ્યું કર વાંધા સૂચનો માટે અમને 10 દિવસનો સમય આપ્યો છે તેમાં પણ જાહેર રજાઑ આવતી હોવાથી આ સમય પૂરતો નથી જેને વધારવો જોઇએ.'
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, 'જેમ શિક્ષણ અને નોકરીમાં 27 ટકા અનામત અપાઈ છે તેમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ તેનું પાલન થવું જોઇએ. તથા બજેટમાં પણ રકમ ફાળવવી જોઈએ. જો સરકાર આ દિશામાં પગલાં નહીં ભારે તો આવનારા દિવસોમાં તેના માઠા પરિણામ ભોગવવા તૈયાર રહે.'
અશોક ગેહલોત મંગળવારે રાજકોટ આવશે
બીજી બાજુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ એક્શનમાં આવતા રાજસ્થાનના CM અશોક ગેહલોત મંગળવારે રાજકોટની મુલાકાતે આવવાના છે. જેમાં ગેહલોત સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકોનો રિપોર્ટ મેળવશે. હેમુ ગઢવી હોલમાં રાજકોટ સૌરાષ્ટ્રના આગેવાનો સાથે ગેહલોત બેઠક કરશે. પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષકોએ આપેલા રિપોર્ટની સમીક્ષા કરશે. અશોક ગેહલોત ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. ક્રોસ વોટિંગ કરનાર MLAના પક્ષ પલટાની ભીતી વચ્ચે અશોક ગેહલોતની મુલાકાત ભારે ચર્ચાસ્પદ રહેશે.