ધારાસભ્યોને લોકસભા નહીં લડાવવાનાં કોંગ્રેસનાં નિર્ણયમાં ફેરવિચારણા થશે. 4 બેઠકો પર ધારાસભ્યોને ચૂંટણી લડાવવાનું લગભગ નક્કી જ છે. જેમાં વાત કરીએ તો સુરેન્દ્રનગરની બેઠક પરથી કોંગ્રેસ સોમા ગાંડાને ફરી મેદાને ઉતારશે. સોમાભાઈ હાલમાં લીંબડી-સાયલાનાં ધારાસભ્ય છે. સુરેન્દ્રનગર મતવિસ્તાર કોળી સમાજનાં મતદારોથી પ્રભાવિત છે.
કોંગ્રેસ પાસે સોમાભાઈ સિવાય કોળી સમાજનો મજબૂત દાવેદાર અન્ય કોઇ નથી. જૂનાગઢ લોકસભામાંથી કોંગ્રેસ બે ધારાસભ્યોની પસંદગી કરી શકે છે. પૂંજા વંશ અથવા વિમલ ચૂડાસમાને કોંગ્રેસ જૂનાગઢ લોકસભા લડાવી શકે છે. પૂંજા વંશ ઉનાનાં ધારાસભ્ય છે જ્યારે વિમલ ચૂડાસમા સોમનાથનાં ધારાસભ્ય છે. જૂનાગઢનાં આ બન્ને ધારાસભ્યો પણ કોળી સમાજનાં અગ્રણી છે.
જૂનાગઢ લોકસભા બેઠક પર પણ કોળી સમાજનાં મતદારોનો દબદબો છે. પોરબંદર લોકસભા બેઠક પરથી ધોરાજીનાં ધારાસભ્યને ચૂંટણી લડાવશે. લલિત વસોયાને કોંગ્રેસ પોરબંદર લોકસભા બેઠકનાં ઉમેદવાર બનાવશે. લલિત વસોયા લેઉવા પાટીદાર સમાજનાં નેતા છે. પોરબંદરમાં ગોંડલ, જેતપુર,ધોરાજી, માણાવદર અને કેશોદનો સમાવેશ થાય છે.
આ પાંચેય બેઠકો પર લેઉવા પાટીદાર સમાજનાં મતો નિર્ણાયક છે. જ્યારે પોરબંદર અને કુતિયાણા બેઠક પર અર્જુન મોઢવાડિયા મહેનત કરશે. આમ, લલિત વસોયાની પોરબંદરનાં સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેરાત જ બાકી છે. ગેનીબેન ઠાકોરને બનાસકાંઠા લોકસભાથી કોંગ્રેસ ચૂંટણી લડાવી શકે છે. ગેનીબેન ઠાકોર હાલ બનાસકાંઠાનાં વાવ-થરાદનાં ધારાસભ્ય છે. ઠાકોર સમાજનાં પ્રભુત્વવાળી બનાસકાંઠા બેઠક પરથી ગેનીબેન ચૂંટણી લડશે. ધારાસભ્ય તરીકે ગેનીબેને પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.