NCP સુપ્રીમો શરદ પવાર દ્વારા રાહુલ ગાંધી અંગે કરવામાં આવેલી ટિપ્પણી બાદ કોંગ્રેસ પાર્ટીએ મહા વિકાસ આઘાડી ગઠબંધનને લઈને નિવેદન આપ્યું છે. શરદ પવારે એક અખબારને આપેલી મુલાકાતમાં કહ્યું કે રાહુલ ગાંધીમાં રાજકીય સ્થિરતા અને નિરંતરતાનો અભાવ છે. જેને લઈને કોંગ્રેસ પાર્ટી તરફથી આ પ્રતિક્રિયા આપવામાં આવી હતી.
શરદ પવારને કોંગ્રેસે આપ્યો વળતો જવાબ
ગઠબંધનના નિયમોનું પાલન કરે દરેક પક્ષ : કોંગ્રેસ
શરદ પવારે રાહુલ ગાંધીને લઈને કરી હતી ટિપ્પણી
આ નિવેદન પછી, કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ કાર્યકારી પ્રમુખ, યશોમતી ઠાકુરે કહ્યું કે, જો મહા વિકાસ આઘાડીના પક્ષો મહારાષ્ટ્ર સરકારને સ્થિર રાખવા માંગે છે, તો તેઓએ કોંગ્રેસ ના ટોચના નેતાઓ પર કોઈ ખોટી ટિપ્પણી કરવાનું બંધ કરવું પડશે.
સરકારમાં બધુ ઠીક નથી : વિપક્ષ
ભલે ગઠબંધનના પક્ષો કોંગ્રેસ પાર્ટીના આ નિવેદનને ફક્ત સામાન્ય પ્રતિક્રિયા ગણાવી રહ્યા છે, તેમ છતાં વિપક્ષનું કહેવું છે કે મહારાષ્ટ્ર સરકારમાં બધુ ઠીક નથી. શરદ પવાર ના નિવેદન અને કોંગ્રેસની નારાજગીના આધારે ભાજપ સહિત તમામ રાજકીય પક્ષો કહી રહ્યા છે કે મહારાષ્ટ્ર ના મહાગઠબંધનમાં હવે બધુ ઠીક નથી.
શરદ પવારના નિવેદન પર કોંગ્રેસ નારાજ
હકીકતમાં, એક અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં શરદ પવારે કહ્યું હતું કે રાહુલ ગાંધીની અંદર રાજકીય સ્થિરતાનો અભાવ છે. આ નિવેદન પછી, કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને મહારાષ્ટ્ર માં સરકારના પ્રધાન યશોમતી ઠાકુરે કહ્યું હતું કે, જો તમને મહારાષ્ટ્રમાં સ્થિર સરકાર જોઈએ છે, તો તમારે કોંગ્રેસ ના નેતાઓ અંગે ખોટા નિવેદનો બંધ કરવા જોઈએ. બધાએ ગઠબંધનના નિયમોનું પાલન કરવું જોઈએ. મહારાષ્ટ્ર માં મહા વિકાસ આઘાડી લોકશાહી મૂલ્યોના આધારે બનાવવામાં આવી છે.
શિવસેનાએ શું કહ્યું ?
બીજી તરફ શિવસેનાએ રાહુલ ગાંધી પર કરેલી ટિપ્પણી શરદ પવાર નું દિશા નિર્દેશ ગણાવ્યું હતું. પાર્ટીના સાંસદ સંજય રાઉતે કહ્યું કે શરદ પવાર ખૂબ મોટા નેતા છે. જો તેમના જેવા દિગ્ગજ નેતા કોઈપણ રાજકારણી વિશે કોઈ ટિપ્પણી કરે તો તેને તેનું માર્ગદર્શન માનવું જોઈએ.