પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક જૂથવાદ તો સપાટી પર આવી ચૂક્યો છે પરંતુ હવે પાર્ટીમાં આરપારનો જંગ પણ છેડાયો છે.
કોંગ્રેસમાં આરપારનો જંગ છેડાયો
બંગાળમાં આઈએસએફ સાથે કોંગ્રેસે ગઠબંધન કર્યું
અધીર રંજન ચોધરી આનંદ શર્મા પર નિશાન સાધ્યું
કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ બંગાળમાં આઈએસએફ સાથેના કોંગ્રેસના ગઠબંધન પર સવાલ ઉઠાવ્યા હતા હવે લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચોધરીએ તેમની પર પલટવાર કર્યો છે.
ચોધરીએ કહ્યું કે આનંદ શર્મા જે કહી રહ્યાં છે તેનાથી ભાજપને ફાયદો થઈ રહ્યો છે. ચોધરીએ આનંદ શર્મા પર નિશાન સાધતા ચાર ટ્વિટ કર્યાં જેનું મથાળું હતું, નો યોર ફેક્ટ્સ હતું. તેમણે પહેલા ટ્વિટમાં લખ્યું કે સીપીઆઈની આગેવાની વાળો ડાબેરી મોરચો પશ્ચિમ બંગાળમાં ધર્મનિરપેક્ષ ગઠબંધનનું નેતૃત્વ કરી રહ્યાં છે જેનો કોંગ્રેસ એક અવિભાજ્ય હિસ્સો છે.
બીજા ટ્વિટમાં તેમણે લખ્યું કે કોંગ્રેસને તેના ભાગની બધી બેઠકો મળવી જોઈએ.સીપીએમની આગેવાનીવાળા ગઠબંધનને કોમી ગણાવવાના તમારો ફેસલો ફક્ત ભાજપના ધ્રુવીકરણના એજન્ડાને ફાયદો પહોંચાડી રહ્યો છે.
તેમણે કહ્યું કે જેઓ ભાજપ અને તેની સાથે જોડાયેલી પાર્ટીઓની સામે લડવા માગે છે તેમને ભાજપના એજન્ડાને માફક આવે તેવા નિવેદનો આપવાને બદલે પાંચ ચૂંટણી રાજ્યોમાં કોંગ્રેસનું સમર્થન અને પ્રચાર કરવો જોઈએ.
કોંગ્રેસીઓએ પીએમની પ્રશંસા કરવામાં સમય ન બગાડવો જોઈએ
છેલ્લા ટ્વિટમાં ચોધરીએ ગુલામ નબી આઝાદનું નામ લીધા વગર કહ્યું કે કોંગ્રેસીઓએ પીએમની પ્રશંસા કરવામાં સમય બગાડવો ન જોઈએ. તેમની ફરજ પાર્ટીને મજબૂત બનાવવાની છે નહીં કે એ વૃક્ષને કાપવાની કે જેણે તેમને ઉછેરીને મોટા કર્યાં છે.