ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ મોટા સમાચારઃ ભારતીય નૌસેના અને NCB દ્વારા હાથ ધરાયેલ સંયુક્ત ઓપરેશનમાં કોચીનાં દરિયામાંથી ડ્રગ્સનું કન્સાઈન્મેન્ટ ઝડપાયું
ભારતીય નૌસેના અને NCB દ્વારા હાથ ધરાયેલ સંયુક્ત ઓપરેશનમાં કોચીનાં દરિયામાંથી ડ્રગ્સનું કન્સાઈન્મેન્ટ ઝડપાયું હતું. ગુજરાત સહિત દેશભરમાં અનેક વાર દરિયાઈ માર્ગે ડ્રગ્સનો મોટો જથ્થો ઘૂસાડવામાં આવતો હોય છે. જોકે આ વખતે નાર્કોટિક્સ સેન્ટ્રલ બ્યુરોની ટીમે કોચીના દરિયામાં મોટી કાર્યવાહી કરી અત્યાર સુધીનું સૌથી મોટું ડ્રગ્સનું કન્સાઈન્મેન્ટ ઝડપ્યું છે. NCB અને ભારતીય નૌકાદળે શનિવારે કોચીના દરિયામાંથી લગભગ 2,500 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું. જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમત લગભગ 15000 કરોડ રૂપિયા છે. નાર્કોટિક્સ સેન્ટ્રલ બ્યુરોની ટીમે દરિયામાં મોટી કાર્યવાહી કરી છે.એનસીબીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સંજય કુમાર સિંહે જણાવ્યું હતું કે જપ્ત કરાયેલા કેટલાક પેકેટમાં 'મેડ ઇન પાકિસ્તાન' સીલ છે. તેમણે કહ્યું કે આ ડ્રગ્સ ભારત, શ્રીલંકા અને માલદીવમાં આપવાનું હતું.
ગુજરાતના ધરતી પુત્રો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે.આંતરાષ્ટ્રીય મિલેટ વર્ષે નિમિતે રાજ્ય સરકારે ખેડૂત હિતમાં નિર્ણય લીધો છે કે, 15 મેથી 15 જૂન સુધી ટેકાના ભાવે ખરીદી કરાશે. જેમાં બાજરી, જુવાર અને રાગીની ખરીદી કરાશે.બાજરી 2650 તેમજ જુવાર 3290 અને રાગી 3878ના ભાવે ખરીદી કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ટેકાના ભાવે ખરીદી માટેની નોધણીની મુદતમાં પણ વધારો કરાયો છે. 15 મેથી 31 મે સુધી ખેડૂતો નોધણી કરાવી શકશે. ખેડૂત ખાતેદારો ગ્રામ્ય વિસ્તારના ઈ ધારા કેન્દ્રમાં નોધણી કરાવી શકશે. તેમજ નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાં ખરીદી કરવામાં આવશે.
બોટાદમાં મોટી દુર્ઘટના ઘટી છે, કૃષ્ણસાગર તળાવમાં ડૂબી જવાથી પાંચ વ્યક્તિઓના મોત થયા હતા. વિગતો મુજબ પાંચ વ્યક્તિઓ તળાવમાં ન્હાવા પડ્યાં હતા જ્યાં તેમનુ ડૂબવાથી મોત થયું હતું. સમગ્ર બાબતની જાણ પોલીસને થતાં એસપી, પ્રાંત અધિકારી સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો તેમજ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પાપ્ત વિગતો મુજબ ન્હાવા પડેલા બે વ્યક્તિઓ ડૂબવા લાગ્યા હતાં ત્યારે તેમને બચાવવા માટે અન્ય ત્રણ વ્યક્તિઓ પણ તળાવમાં છલાંગ લગાવી હતી પરંતુ તેમને પાણીમાં તરતા ન આવડતું હોવાથી તે પણ ડૂબ્યા હતા. આમ પાંચ વ્યક્તિઓનું ડૂબવાથી મોત થયું હતું.ફાયર વિભાગે મૃતદેહોને બહાર નીકાળવા માટે લગભગ દોઢ કલાક જેટલો સમય જહેમત ઉપાડી હતી. જે બાદ પાંચેય યુવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 13, 2023
રાજ્યમાં ગઈકાલે એક સાથે ઘર આંગણે રમતા રમતા મોત થયુ હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદ અને વલસાડમાં બાળકોના માતા-પિતાની આંખ ઉઘાડતી ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરના અસારવામાં બાળક રમતા રમતા પોતાના ઘરની ટાંકીમાં ડૂબ્યો હતો. તેવી જ એક ઘટના વલસાડના પારડીમાં ઘટી હતી. જેમાં બાળકી રમતા સમયે ઘરમાં પાણી ભરેલી ડોલમા પડી જતા બાળકીનુ મોત થયુ હતુ.અમદાવાદ શહેરમાં અસારવામાં હોડી ચકલા વિસ્તારમાં બે વર્ષનો બાળક રમતા રમતા ઘરની પાણીની ટાંકીમાં પડી ગયો હતો. જે અંગેની જાણ પરિવારજનોને થતા પરિવારજનો દ્વારા બાળકને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન સોહમ પટ્ટણી નામના બાળકનું મોત નિપજ્યું હતું.વલસાડમાં માતા-પિતા માટે આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વલસાડનાં પારડીના નાના વાઘછીપા ગામે દોઢ વર્ષની બાળકી ડોલમાં પડી જતા મોત નિપજ્યું હતું. ત્યારે શ્રમિક પરિવારની દોઢ વર્ષની બાળકીનું મોત નિપજતા પરિવારજનોમાં શોક વ્યાપી જવા પામ્યો હતો. ભાઈ-બહેન સાથે દોઢ વર્ષની બાળકી રમતી હતી. ત્યારે રમતા રમતા અચાનક બાળકી ડોલમાં પડી ગઈ હતી. બાળકીનું માથું પાણી ભરેલી ડોલમાં ડૂબી જતા મોત નિપજ્યું હતું. ત્યારે આ બાબતે પારડી પોલીસે ગુનો નોંધી કાર્યવાહિ હાથ ધરી હતી.
બિશ્નોઇ ગેંગના તાર રાજકોટ સુધી લંબાયા હોવાનુ સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, દિલ્લીમાં બે કરોડની ખંડણી કેસમાં ત્રણ શખ્સોની ધરપકડ કરાઇ છે. જેમાં રાજકોટના હરેન નામના શખ્સની પણ ધરપકડ કરાઇ હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, બિશ્નોઇ ગેંગે રાજકોટના હરેનનો ઇન્સટાગ્રામથી સંપર્ક કર્યો હતો. આ તરફ હવે રાજકોટના હરેને કઈ રીતે ખંડણી માંગવામાં આવી તેની સમગ્ર હકીકત કબૂલી હતી. દેશના વિવિધ રાજ્યમાં આતંક ફેલાવનાર લોરેન્સ બિશ્નોઈનું કનેક્શન પાકિસ્તાનથી ખુલ્યું છે તેમને જણાવી દઈએ કે, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ગુજરાત લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ નલિયા કોર્ટેમાં રજૂ કરાઈ રિમાન્ડની માગણી કરવામાં આવતા કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે અગાઉ 14 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કચ્છની નલિયા કોર્ટમાં રજૂ કરાયો હતો.
તાજેતરમાં યોજાયેલ તલાટીની પરીક્ષામાં વડોદરાની MS યુનિવર્સિટીના પોલીટેકનિક સેન્ટરમાં 123 ઉમેદવારના થમ્બ ઇમ્પ્રેશન ન લીધા હોવાનો ખુલાસો થતાં હડકંપ મચી ગયો છે. આ તરફ હવે સમગ્ર મામલે હસમુખ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ પોલિટેકનિક યુનિટના 8માં બ્લોકમાં આ પ્રકારની ગંભીર બેદરકારી સામે આવી છે. હસમુખ પટેલે કહ્યું કે, ડમી ઉમેદવાર અંગે માહિતી મળશે કે આક્ષેપ થશે તો ચકાસણી માટેના પૂરતા પુરાવા છે. આ સાથે કહ્યું કે, ઉમેદવારની સહી અને તેમના લખાણના પુરાવા અમારી પાસે છે.
રાજ્યભરમાં મોટા ભાગના શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીની આજુબાજુ પહોંચ્યો છે. રાજ્યમાં અંગ દજાડતી સખત ગરમી પડી રહી છે ત્યાર સૌથી મોટી જરૂરીયાત પાણીની હોય છે જો કે, કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમા પાણીની સ્થિતિ સકારાત્મક છે. જો કે રાજ્યના વિવિધ જળાશયોમાં પાણીની સ્થિતી વિશે વાત કરીએ તો નર્મદા સહિત 207 જળાશયોમા 43.14 ટકા પાણીનો જથ્થો છે જ્યારે નર્મદા સરદાર સરોવર ડેમમાં 47.90 ટકા સાથે 4530 MCM પાણીનો જથ્થો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમોમા 35.92 ટકા 693 MCM પાણીનો જથ્થો છે અને મધ્ય ગુજરાતના 17 ડેમોમા 36.10 ટકા સાથે 841 MCM પાણી છે.દક્ષિણ ગુજરાતના 13 ડેમોમા 47.75 ટકા 4118 MCM પાણીનો જથ્થો ઉપલ્બધ છે જ્યારે કચ્છના 20 ડેમોમા 31.78 ટકા સાથે 105 MCM જેટલુ પાણી છે. સૌરાષ્ટ્રના 141 ડેમો 23.57 ટકા ભરાયેલા છે. સૌરાષ્ટ્રના 141 ડેમોમાં 610 MCM પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં પાણીની સ્થિતિ સકારાત્મક, નર્મદા સહિત 207 જળાશયોમા 43.14 ટકા પાણીનો જથ્થો, સૌરાષ્ટ્રના 141 ડેમોમાં 610 MCM પાણીનો જથ્થો ઉપલબ્ધ, ઉત્તર ગુજરાતના 15 ડેમોમા 35.92 ટકા તેમજ કચ્છના 20 ડેમોમા 31.78 MCM જેટલુ પાણી#dam#vtvgujarati#waterpic.twitter.com/oKvUdQOq4T
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 13, 2023
શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડનું વધુ એક ફરમાન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, જેઠા ભરવાડે પોતાના મત વિસ્તારના સરપંચો અને કાર્યકરોને પાણી પુરવઠા કે વાસ્મો વિભાગને કોઈ કામગીરી ન કરવા દેવા ફરમાન કર્યું છે. આ સાથે કહ્યું કે, જ્યાં સુધી 'નલ સે જલ' યોજનામાં તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કામ ન કરવા દેવા ફરમાન કર્યું છે. નોંધનીય છે કે, અગાઉ જેઠા ભરવાડે 'નલ સે જલ' યોજનામાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ કર્યા હતા. આ પહેલા પોતાના મત વિસ્તારમાં નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ લગાવ્યા અને મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો હતો. આ તરફ હવે પોતાના મત વિસ્તારના સરપંચો અને કાર્યકરોને પાણી પુરવઠા કે વાસ્મો વિભાગને કોઈ કામગીરી ન કરવા દેવા ફરમાન કર્યું છે.
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં પ્રજાનો વિશ્વાસ મેળવવામાં કોંગ્રેસ સફળ રહી હોય તેવું પરિણામો પરથી લાગી રહ્યું છે. ચૂંટણી બાદ ગઈકાલે વિધાનસભાની બેઠકોનું પરિણામ આવી ગયું છે. જેમાં કોંગ્રેસ તરફ બહુમતીથી આંકડા દર્શાવી રહ્યા છે. બીજી તરફ કર્ણાટકમાં સરકાર હોવા છતાં પણ બીજેપી હારી છે છતાં જનતાની નજરમાં ભાજપનો દબદબો અકબંધ રહ્યો છે. કારણ કે ભાજપની હાર છતાં પોતાના મતની ટકાવારીમાં કોઈ ખાસ ઘટાડો નોંધાયો નથી. 136 બેઠકો પર કોંગ્રેસની જીત થઈ છે જ્યારે 65 બેઠક પર ભાજપની જીત થઈ અને 19 બેઠકો પર જેડીએસનો વિજય થયો છે.જ્યારે 4 સિટ અન્યના ખાતામાં ગઈ છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા આંકડા પર નજર કરીએ તો 2023 ના ચૂંટણીના પરિણામમાં ભારતીય જનતા પાર્ટીના મતની ટકાવારી 35.7 ટકા છે. જ્યારે પાંચ વર્ષ અગાઉ એટલે કે 2018 માં કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપના મત 36.2 ટકા રહ્યા હતા. આવી સ્થિતિમાં આ વખતે ભાજપે માત્ર એક ટકા જેટલા મત ગુમાવ્યા છે જે નહિવત ગણાય છે.
દિલ્હીમાં 'કુસ્તીબાજો રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે કાર્યવાહીની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે. છેલ્લા બે અઠવાડિયાથી ભારતીય કુસ્તીબાજો દિલ્હીના જંતર-મંતર પર WFIના વડા બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જાતીય સતામણીનો વિરોધ કરી રહ્યાં છે. જેના સમર્થનમા ખેડૂત સંગઠનો પણ આવ્યા છે.આમ સમગ્ર દેશમાં મુદ્દો ગાજી રહ્યો છે. ત્યારે WFIના વડા બ્રિજભૂષણ શરણસિંહને રેશલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ પદેથી ઉતારી દેવામાં આવ્યા છે. સાથે સાથે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના તમામ પદાધિકારીઓને મહાસંગના સમારોહમાં ભાગ લેવા અને કાર્યવાહી પર રોક લગાવી દેવાય છે.મહત્વનું છે કે મહિલા ખેલાડીઓની ચોંકાવનારી ફરિયાદ બાદ દિલ્હી પોલીસે બ્રિજભૂષણ શરણસિંહ સામે એફઆઇઆર દાખલ કરી કેસ નોંધવામાં આવ્યો છે. યૌન શોષણના આરોપો સર ભાજપ સાંસદ અને ભારતીય કુશ્તી સંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ સિંહ સામે પોકસો એક્ટ તળે કાર્યવાહી થઈ રહી છે.
13 મેનો દિવસ અભિનેત્રી પરિણીતા ચોપડા અને રાઘવ ચઢ્ઢા માટે યાદગાર બની ગયો છે. લાંબા ઇન્તજાર બાદ પરિણીતા ચોપડા અને રાઘવ ચઢ્ઢાની ગઈકાલે સગાઈ થઈ છે. રાજકીય આગેવાનો અને બોલીવુડના દિગજ્જોની હાજરીમાં બનેં જોડાએ એક બીજાને રિંગ પહેરાવી હતી. દિલ્હીના કપૂરથલા હાઉસમાં ભવ્ય ધમાકેદાર અને જાજરમાન સમારોહ યોજાયો હતો.સગાઈના આ મંગલ પ્રસંગે અભિનેત્રી પરિણીતા ચોપડાના ભાઈ સહજ ચોપડા અને શિવાંગ ચોપડા સહિતનાઓએ મીઠાઈ વહેંચી અને ખુશી લૂંટી હતી. મહત્વનું છે કે પરિણીતા ચોપડા અને રાઘવે સગાઈ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે તસવીર ખેંચી હતી. આ દરમિયાન તેમની સાથે કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ પંજાબના સીએમ ભગવંત માન તથા તેમની પત્ની ગુરુપ્રીત કોર સહિતના સાથે જોડાયા હતા.