આવતા મહિને કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી પહેલા પાર્ટી નેતૃત્વએ ચૂંટણી પ્રક્રિયામાં મોટા ફેરફાર કરવાનો નિર્ણય કર્યો, ઇલેક્ટોરલ કોલેજમાં સમાવિષ્ટ તમામ 9,000 પ્રતિનિધિઓની યાદી જોવા મળશે.
કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી પહેલા નિયમમાં ફેરફાર
તમામ પ્રતિનિધિઓની યાદી હવે મળશે જોવા
પારદર્શિતાને લઈને ઘણા સવાલો ઉઠ્યા હતા
આવતા મહિને કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી પહેલા પાર્ટી નેતૃત્વએ ચૂંટણી પ્રક્રિયામાં મોટા ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ નેતા મધુસૂદન મિસ્ત્રીએ કહ્યું કે, ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવનારા તમામ પક્ષના નેતાઓને ઇલેક્ટોરલ કોલેજમાં સમાવિષ્ટ તમામ 9,000 પ્રતિનિધિઓની યાદી જોવા મળશે. આ સૂચિ 20 સપ્ટેમ્બરથી પાર્ટીના સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટી પાસે ઉપલબ્ધ થશે.
મધુસુદન મિસ્ત્રીને પત્ર લખવામાં આવ્યો
શશિ થરૂર, કાર્તિ ચિદમ્બરમ અને મનીષ તિવારી સહિત કોંગ્રેસના પાંચ સાંસદોએ પાર્ટીના કેન્દ્રીય ચૂંટણી પ્રાધિકરણના અધ્યક્ષ મધુસુદન મિસ્ત્રીને પત્ર લખીને ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાની માંગ કરી હતી. આ પછી કોંગ્રેસની નેતાગીરીએ આ નિર્ણય લીધો હતો.
ઘણા દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસમાં રાજીનામાં આપ્યા
વાસ્તવમાં હાલના દિવસોમાં મોટા મોટા નેતાઓએ કોંગ્રેસમાંથી સતત રાજીનામા આપ્યા છે, આવી સ્થિતિમાં બાકીના નેતાઓની નારાજગી દૂર કરવા માટે પાર્ટી હાઈકમાન્ડે આ પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી 17 ઓક્ટોબરે યોજાવાની છે. 24 થી 30 સપ્ટેમ્બરની વચ્ચે નામાંકન દાખલ કરવામાં આવશે. મધુસૂદન મિસ્ત્રીએ આ પાંચેય નેતાઓને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, જે નેતાઓ આ ચૂંટણીમાં ભાગ લેવા માગે છે તેઓ તેમના રાજ્યના કોંગ્રેસ કાર્યાલયમાં રાજ્યના 10 પ્રતિનિધિઓની યાદી જોઈ શકશે. ઉમેદવારીપત્રો ભરાતાં અને ચીફ રિટર્નિંગ ઓફિસરને સુપરત થતાં જ નેતાઓને પ્રતિનિધિઓની સંપૂર્ણ યાદી મળી જશે.
9000 પ્રતિનિધિઓની યાદી મળશે
મધુસૂદન મીસ્ત્રીએ કહ્યું કે જો કોઈ નેતા અલગ અલગ રાજ્યોમાંથી 10 સમર્થકોનું નામાંકન મેળવવા માંગે છે, તો કોંગ્રેસના દિલ્હી કાર્યાલયમાં મારી ઓફિસને 20 સપ્ટેમ્બર પછી તમામ 9000 પ્રતિનિધિઓની યાદી મળશે. ઉમેદવારીપત્રો ભરવામાં રસ ધરાવતા નેતાઓ આ સૂચિમાંથી તેમના 10 સમર્થકોની પસંદગી કરી શકે છે અને તેમના પર સહી કરી શકે છે અને તેમનો ટેકો લઈ શકે છે. આ પછી, તમે 24 સપ્ટેમ્બર સુધી નામાંકન ભરી શકો છો.
ચૂંટણીની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવ્યા
આ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને અસંતુષ્ટ જી-23 નેતાઓના સભ્ય મનીષ તિવારીએ કોંગ્રેસ સંગઠનની ચૂંટણીની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે મતદાન યાદી વગર નિષ્પક્ષ ચૂંટણી કેવી રીતે થશે? તેમણે નિષ્પક્ષ ચૂંટણી માટે પાર્ટીના મતદાતાનું નામ અને સરનામું પ્રકાશિત કરવાની માંગ કરી હતી.
પારદર્શિતા હોવી જોઈએ
તિવારીએ મિસ્ત્રીને કહ્યું હતું કે કોંગ્રેસની વેબસાઇટ પર પારદર્શક રીતે મતદાન પ્રકાશિત થવું જોઈએ. તેમણે કહ્યું હતું કે નિષ્પક્ષ ચૂંટણીઓની પહેલી શરત એ છે કે મતદારોના નામ અને સરનામાં બહાર લાવવા જોઈએ. આ મુદ્દે પાર્ટીના નેતા શશિ થરૂર અને કાર્તિ ચિદમ્બરમ પણ બોલ્યા છે.